શું જમ્મુ-કાશ્મીરનું નામ બદલાશે? કેરળનું નામ ‘કેરલમ’ થતા CM ઉમર અબ્દુલ્લાએ આપી મોટી પ્રતિક્રિયા
કેન્દ્રીય કેબિનેટ દ્વારા કેરળ રાજ્યનું નામ બદલીને ‘કેરલમ’ કરવાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવ્યા બાદ દેશના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. આ નિર્ણય પર જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કેન્દ્ર સરકારને સલાહ આપી છે કે જો કેરળનું નામ બદલી શકાતું હોય, તો પશ્ચિમ બંગાળની મમતા બેનર્જી સરકારની વર્ષો જૂની માંગણી પણ સ્વીકારવી જોઈએ.
કેરળ બન્યું ‘કેરલમ’, પણ બંગાળનો પ્રસ્તાવ કેમ અટવાયેલો?
તાજેતરમાં કેન્દ્રીય કેબિનેટે કેરળ સરકારના પ્રસ્તાવ પર મહોર મારી દીધી છે, જેના કારણે હવે સત્તાવાર રીતે કેરળને ‘કેરલમ’ તરીકે ઓળખવામાં આવશે. જોકે, આ નિર્ણયથી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી નારાજ થયા છે. તેમનું કહેવું છે કે પશ્ચિમ બંગાળનું નામ બદલવાનો પ્રસ્તાવ કેન્દ્ર પાસે લાંબા સમયથી પેન્ડિંગ છે, છતાં તેને મંજૂરી આપવામાં આવી નથી. આ ભેદભાવ પર તેમણે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો.
ઉમર અબ્દુલ્લાએ જમ્મુ-કાશ્મીરના નામ અંગે શું કહ્યું?
શ્રીનગરમાં એક કાર્યક્રમ દરમિયાન પત્રકારો સાથે વાત કરતા મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ મમતા બેનર્જીનું સમર્થન કર્યું હતું. તેમણે કહ્યું, “અન્ય રાજ્યોએ પણ તેમના નામ બદલવા માટે પ્રસ્તાવ મોકલ્યા છે. જો પશ્ચિમ બંગાળ વિધાનસભા નામ બદલવાની માંગ કરી રહી હોય, તો કેન્દ્ર સરકારે તે સ્વીકારી લેવી જોઈએ.”
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું ભવિષ્યમાં જમ્મુ-કાશ્મીરનું નામ પણ બદલાશે? ત્યારે તેમણે સૂચક નિવેદન આપતા કહ્યું કે, “જો ભવિષ્યમાં જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં પણ આવો કોઈ પ્રસ્તાવ લાવવામાં આવે, તો કેન્દ્ર સરકારે તેના પર પણ ધ્યાન આપવું જોઈએ.” અબ્દુલ્લાના આ નિવેદનથી સંકેત મળે છે કે આવનારા સમયમાં કાશ્મીર ખીણમાં પણ નામ બદલવાની રાજનીતિ શરૂ થઈ શકે છે.
ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણનનું કાશ્મીરમાં સ્વાગત
રાજકીય ચર્ચાઓની સાથે મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણનની મુલાકાત વિશે પણ વાત કરી હતી. તેમણે જણાવ્યું કે ઉપરાષ્ટ્રપતિ બન્યા બાદ રાધાકૃષ્ણનની આ પ્રથમ કાશ્મીર મુલાકાત છે. તેઓ કાશ્મીર યુનિવર્સિટીના 21માં પદવીદાન સમારોહમાં હાજરી આપશે, જ્યાં વિદ્યાર્થીઓ તેમની પાસેથી ડિગ્રી અને મેડલ મેળવવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

