ગાંધીનગર- ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રાજ્યમાં પ્રવર્તી રહેલા કોરોના વાયરસ સંદર્ભે ચાર મહાનગરોમાં કોરોના દર્દીઓ માટે ઉભી કરાયેલી ખાસ હોસ્પિટલોની સુવિધાઓ અંગે વિડીયો કોન્ફરન્સના માધ્યમ દ્વારા સમીક્ષા કરી હતી.
અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરત ખાતે જે ખાસ હોસ્પિટલો કાર્યરત કરવામાં આવી છે તેમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર, બેડની સંખ્યા, ઓક્સિજનની સુવિધા, વેન્ટિલેટર, માસ્ક, PPE (પર્સનલ પ્રોટેક્ટ ઇક્વિપમેન્ટ) , સેનિટાઈઝર્સ અને આવશ્યક દવાઓના પૂરતી માત્રામાં જથ્થા સંદર્ભે તેમણે વિસ્તૃત સમીક્ષા કરી હતી.
ગુજરાતમાં કોરોના વાયરસ સંદર્ભે ચાર શહેરોમાં ઉભી કરવામાં આવેલી સ્પેશ્યલ હોસ્પિટલોમાં બેડની સંખ્યા વધારવા અંગેની વિચારણા ચાલી રહી છે. આ હોસ્પિટલોમાં અત્યારે 2200 બેડની સંખ્યા છે અને જરૂર પડશે તો બીજા વધારાના બેડ ઉભા કરાશે તેવું નક્કી કરવામાં આવ્યું છે.
ચારેય મહાનગરોના મ્યુનિસિપલ કમિશનર, જિલ્લા કલેકટરઓ સહિત અત્રેથી નોડલ ઓફિસરોની ખાસ નિમણૂક કરાઇ છે જેમાં, મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમાર, શિક્ષણ વિભાગના સચિવ વિનોદ રાવ, મ્યુનિસિપલ એડમિનિસ્ટ્રેશન કમિશનર એમ.એસ પટેલ અને ઉદ્યોગ કમિશનર રાહુલ ગુપ્તા કે જેઓ રૂબરૂ રોજ-બરોજ સમીક્ષા કરે છે તેની માહિતી મેળવી હતી.
નાયબ મુખ્ય મંત્રીએ આ ચારેય મહાનગરપાલિકાઓમાં કાર્યરત હોસ્પિટલમાં જે અલાયદી વ્યવસ્થા ઊભી કરાઇ છે તેમાં શું શું વ્યવસ્થા છે તેનું કેટલોગ બનાવીને સંભવિત પરિસ્થિતિમાં દર્દીઓને વધુને વધુ સારી સારવાર કેવી રીતે આપી શકાય તે માટે સંનિષ્ઠ પ્રયાસો કરવા સૂચનાઓ આપી હતી. તેમણે હોસ્પિટલોમાં 14 દિવસના કોરેન્ટાઈનવાળા દર્દીઓની સારવાર માટે કાર્યરત તમામ આરોગ્ય કર્મીઓને પણ પૂરતી તકેદારી રાખવા તથા PPE કિટ સહિતની સુવિધાઓનું અને જે કર્મીઓ સિફ્ટ મુજબ ડ્યુટી કરે છે તેમને ડ્યુટી બાદ પણ એ જ કેમ્પસમાં પૂરતી તકેદારી સાથે સવલતો મળી રહે તેમ પણ ઝીણવટપૂર્વક સમીક્ષા કરી હતી.
ખાનગી તબીબો પણ પોતાનું ક્લિનિક રાબેતા મુજબ ચાલુ રાખીને ઓપીડી ચલાવે અને રૂટિનના દર્દીઓની પણ સારવાર કરે અને સહકાર આપે એ માટે અનુરોધ કર્યો છે. આ ઉપરાંત ખાનગી તબીબો સરકારી હોસ્પિટલોમાં પણ સેવાઓ આપે તે માટે પણ અપીલ કરી છે.
આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ જયંતિ રવિએ કહ્યુ કે રાજ્યના ચારેય મહાનગરોમાં ખાસ હોસ્પિટલો ઉભી કરાઈ છે તેમાં, અમદાવાદમાં 1200 બેડ, સુરતમાં 500 બેડ, વડોદરા અને રાજકોટમાં 250-250 બેડની સુવિધા ઉપલબ્ધ છે. જરૂર પડે તો બેડની સુવિધામાં પણ વધારો કરવાનું આયોજન કરવામાં આવશે. રાજ્યમાં હાલ કેસોની સંખ્યા ઓછી છે પરંતુ જો વધે તો આગોતરાં પગલાં લેવાશે.