બાંગ્લાદેશની નવી કેબિનેટમાં લઘુમતીઓને સ્થાન: તારિક રહેમાનની સરકારમાં એક હિન્દુ અને એક બૌદ્ધ મંત્રીનો સમાવેશ, જાણો કોણ છે આ નેતાઓ?
બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન બાદ નવી સરકારના ગઠન સાથે જ સર્વસમાવેશક રાજકારણની ઝલક જોવા મળી રહી છે. વડાપ્રધાન તારિક રહેમાનના નેતૃત્વ હેઠળની નવી કેબિનેટમાં લઘુમતી સમુદાયના બે પ્રતિષ્ઠિત ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે. બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP) એ હિન્દુ નેતા નિતાઈ રોય ચૌધરી અને બૌદ્ધ નેતા દીપેન દીવાન ચકમાને મંત્રી પદની જવાબદારી સોંપી છે. આ પગલાને બાંગ્લાદેશમાં લઘુમતીઓના વિશ્વાસને જીતવા માટેના એક વ્યૂહાત્મક પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યો છે.
હિન્દુ નેતા નિતાઈ રોય ચૌધરી: બીએનપીના દિગ્ગજ રણનીતિકાર
કેબિનેટમાં હિન્દુ પ્રતિનિધિ તરીકે સામેલ થયેલા નિતાઈ રોય ચૌધરી બીએનપીના સૌથી વરિષ્ઠ અને પ્રભાવશાળી નેતાઓ પૈકીના એક છે. જાન્યુઆરી ૧૯૪૯માં જન્મેલા નિતાઈ રોય વ્યવસાયે પ્રતિષ્ઠિત વકીલ છે અને પાર્ટીની સર્વોચ્ચ ‘સ્થાયી સમિતિ’ના સભ્ય પણ છે. તેઓ લાંબા સમયથી ઝિયા પરિવારના સલાહકાર અને વ્યૂહરચનાકાર તરીકે કાર્યરત છે.

તાજેતરની ચૂંટણીમાં તેમણે પશ્ચિમી માગુરા મતવિસ્તારમાંથી વિજય મેળવ્યો હતો, જ્યાં તેમણે જમાત-એ-ઈસ્લામીના ઉમેદવારને માત આપી હતી. અગાઉ પણ સાંસદ તરીકે સેવા આપી ચૂકેલા નિતાઈ રોય નવી સરકારમાં હિન્દુ સમુદાયના પ્રશ્નોને વાચા આપશે તેવી અપેક્ષા રાખવામાં આવે છે.
બૌદ્ધ નેતા દીપેન દીવાન ચકમા: પહાડી વિસ્તારનો પ્રબળ અવાજ
બીજી તરફ, બૌદ્ધ સમુદાયના પ્રતિનિધિ તરીકે દીપેન દીવાન ચકમાએ મંત્રી તરીકે શપથ લીધા છે. તેઓ દક્ષિણ-પૂર્વના રંગમતી પહાડી જિલ્લાના નિર્વાચન ક્ષેત્રમાંથી ચૂંટાઈ આવ્યા છે. ૮ જૂન, ૧૯૬૩ના રોજ જન્મેલા દીપેન દીવાન ચકમા ચકમા વંશીય લઘુમતી જૂથમાંથી આવે છે.
તેમના પિતા સુબિમલ દીવાન પૂર્વ રાષ્ટ્રપતિ ઝિયાઉર રહેમાનના આદિવાસી બાબતોના સલાહકાર રહી ચૂક્યા હતા. દીપેન દીવાન પોતે પણ વકીલ છે અને પહાડી વિસ્તારોના આદિવાસી સમુદાયો અને બૌદ્ધ લઘુમતીઓમાં તેમની મજબૂત પકડ છે. તેમણે રંગમતીમાં એક અપક્ષ ચકમા ઉમેદવારને હરાવીને જીત હાંસલ કરી હતી.
ચૂંટણીમાં લઘુમતી ઉમેદવારોનું પ્રદર્શન
બાંગ્લાદેશની આ સંસદીય ચૂંટણીમાં બીએનપીની ટિકિટ પર લઘુમતી સમુદાયના કુલ ૪ ઉમેદવારોએ વિજય મેળવ્યો હતો. જેમાં બે હિન્દુ નેતાઓ (ગાયેશ્વર ચંદ્ર રોય અને નિતાઈ રોય ચૌધરી) અને બે બૌદ્ધ નેતાઓ (સચિન પ્રૂ અને દીપેન દીવાન ચકમા)નો સમાવેશ થાય છે. તારિક રહેમાને આ ચારમાંથી બે નેતાઓને મંત્રીમંડળમાં સ્થાન આપીને સંતુલન જાળવવાનો પ્રયાસ કર્યો છે.
બે દાયકા બાદ પુરુષ નેતૃત્વ હેઠળ સરકાર
બાંગ્લાદેશના રાજકારણમાં આ શપથ ગ્રહણ સમારોહ વધુ એક રીતે રસપ્રદ રહ્યો છે. છેલ્લા ૨૪ વર્ષથી બાંગ્લાદેશની સત્તા કાં તો ખાલિદા ઝિયા અથવા શેખ હસીનાના હાથમાં રહી છે. ૨૦૦૯ થી ૨૦૨૪ સુધી શેખ હસીનાનું શાસન હતું. તારિક રહેમાન બે દાયકા બાદ બાંગ્લાદેશના પ્રથમ પુરુષ વડાપ્રધાન બન્યા છે. તેમણે કુલ ૪૯ સભ્યોનું મંત્રીમંડળ જાહેર કર્યું છે, જેમાં ૨૫ કેબિનેટ અને ૨૪ રાજ્ય મંત્રીઓ છે. જોકે, હજુ સુધી વિભાગોની ફાળવણી કરવામાં આવી નથી.
