નિદ્રાનો અભાવ: શું તમારી પણ રાત્રે વારંવાર ઊંઘ ઉડી જાય છે? જાણો કઈ બીમારીઓ હોઈ શકે છે જવાબદાર
આજના ભાગદોડભર્યા જીવનમાં અનેક લોકો રાત્રે વારંવાર ઊંઘ ઉડી જવાની સમસ્યાથી પરેશાન હોય છે. તબીબી ભાષામાં આને ‘ઇન્સોમ્નિયા’ (અનિદ્રા) કહેવામાં આવે છે. આ સમસ્યા માત્ર રાત પૂરતી મર્યાદિત નથી, પરંતુ તે તમારા આખા દિવસના કામકાજ, મૂડ અને એનર્જી લેવલ પર પણ ખરાબ અસર પાડે છે. જો તમને પણ રાત્રે ઊંઘ આવવામાં તકલીફ પડતી હોય અથવા વહેલી સવારે આંખ ખૂલી ગયા પછી ફરી ઊંઘ ન આવતી હોય, તો આ લેખ તમારા માટે છે.
કેમ થાય છે આ તકલીફ?
સ્વાસ્થ્ય નિષ્ણાતો અને ‘મેયો ક્લિનિક’ના અહેવાલ મુજબ, એક સ્વસ્થ પુખ્ત વ્યક્તિને રોજના ૭ થી ૯ કલાકની ઊંઘની જરૂર હોય છે. ઘણા લોકોને તણાવ, ચિંતા અથવા કોઈ ભાવનાત્મક ઘટનાને કારણે થોડા દિવસો કે અઠવાડિયા માટે ઊંઘની સમસ્યા થઈ શકે છે. પરંતુ જો આ તકલીફ ત્રણ મહિના કે તેથી વધુ સમય સુધી ચાલે, તો તેને ‘ક્રોનિક ઇન્સોમ્નિયા’ કહેવામાં આવે છે. આ સ્થિતિમાં શરીરની કુદરતી ઊંઘની સાયકલ (સર્કેડિયન રિધમ) ખોરવાય જાય છે.
કઈ બીમારીઓ અને કારણોથી વધે છે મુશ્કેલી?
રાત્રે ઊંઘ ન આવવા પાછળ માત્ર માનસિક તણાવ જ નહીં, પણ અન્ય શારીરિક કારણો પણ હોઈ શકે છે:
- માનસિક સ્વાસ્થ્ય: એન્ઝાયટી (ચિંતા) અથવા ડિપ્રેશનના દર્દીઓને ઘણીવાર અનિદ્રાની સમસ્યા રહે છે.
- શારીરિક બીમારીઓ: અસ્થમા, થાઈરોઈડ, એસિડિટી, લાંબા સમયનો દુખાવો અથવા ‘સ્લીપ એપનિયા’ (ઊંઘમાં શ્વાસ લેવામાં તકલીફ) જેવી બીમારીઓ ઊંઘમાં ખલેલ પહોંચાડે છે.
- રેસ્ટલેસ લેગ્સ સિન્ડ્રોમ: આ સ્થિતિમાં પગમાં અજીબ બેચેની અનુભવાય છે, જેના કારણે ઊંઘ ઉડી જાય છે.
- વધતી ઉંમર: ઉંમર વધવાની સાથે ઊંઘ હળવી થઈ જાય છે અને અન્ય દવાઓના સેવનથી પણ ઊંઘમાં વિક્ષેપ પડે છે.
ક્યારે ડોક્ટરને મળવું જોઈએ?
જ્યારે ઊંઘની ઉણપ તમારા રોજિંદા જીવન પર અસર પાડવા લાગે ત્યારે ડોક્ટરની સલાહ લેવી અનિવાર્ય છે. તેના મુખ્ય લક્ષણો આ મુજબ છે:
- દિવસ દરમિયાન સતત થાક અને સુસ્તી અનુભવવી.
- સ્વભાવમાં ચીડિયાપણું, ઉદાસી કે ગભરામણ થવી.
- કોઈપણ કામમાં ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી પડવી અને ભૂલો થવી.
- નાની વાતોમાં વધુ પડતી ચિંતા થવી.

