AI આધારિત બહુભાષી કૃષિ સલાહકાર Bharat-VISTAAR પ્લેટફોર્મથી ખેડૂતોને મળશે સીધી માહિતી
નવસારી કૃષિ યુનિવર્સિટીના માર્ગદર્શન હેઠળ કાર્યરત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વઘઇ ખાતે ખેડૂતો માટે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં યુનિવર્સિટીના વિસ્તરણ શિક્ષણ નિયામક ડૉ. હેમંત શર્મા અને કેન્દ્રના વડા ડૉ. જે. બી. ડોબરીયાની આગેવાનીમાં ખેડૂતોને ભારત-VISTAAR (Bharat-VISTAAR) ફેઝ-૧ ના લોન્ચિંગનું જીવંત પ્રસારણ નિહાળવાની તક મળી હતી. જયપુર ખાતેથી કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણ અને રાજસ્થાનના મુખ્યમંત્રી ભજન લાલ શર્મા દ્વારા આ આધુનિક ડિજિટલ પ્લેટફોર્મનો ઓનલાઈન પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેનું સીધું પ્રસારણ ડાંગ જિલ્લાના ખેડૂતો માટે વઘઇ કેન્દ્ર ખાતે ગોઠવવામાં આવ્યું હતું.
ભારત-VISTAAR એ ભારત સરકાર દ્વારા વિકસાવવામાં આવેલું એક ક્રાંતિકારી, બહુભાષી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત કૃષિ સલાહકાર પ્લેટફોર્મ છે. આ ડિજિટલ માધ્યમનો મુખ્ય હેતુ ખેડૂતોને તેમની પોતાની ભાષામાં ખેતી વિષયક સચોટ માહિતી ઝડપથી ઉપલબ્ધ કરાવવાનો છે. આ પ્લેટફોર્મ દ્વારા ખેડૂતો હવામાનની આગાહી, બજારના તાજા ભાવો, પાક ઉત્પાદન અંગેની તકનીકી સલાહ, જમીનની ફળદ્રુપતાની સ્થિતિ અને કેન્દ્ર સરકારની વિવિધ લોકકલ્યાણકારી યોજનાઓની વિગતો સીધી જ મેળવી શકશે.
વઘઇ ખાતે યોજાયેલા આ જીવંત પ્રસારણ કાર્યક્રમમાં ૮૫થી વધુ મહિલા અને પુરુષ ખેડૂતોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વૈજ્ઞાનિકોએ ખેડૂતોને સમજાવ્યું હતું કે આ AI પ્લેટફોર્મ આધુનિક ખેતીમાં ખેડૂતો માટે પથદર્શક સાબિત થશે, જેનાથી ખેતી ખર્ચમાં ઘટાડો અને ઉત્પાદનમાં વધારો કરી શકાશે. ટેકનોલોજીના ઉપયોગથી છેવાડાના ખેડૂતો પણ હવે વૈશ્વિક કૃષિ પ્રવાહ સાથે જોડાઈ શકશે અને સચોટ માહિતીના અભાવે થતા નુકસાનથી બચી શકશે.
