બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તનની અસર: તારિક રહેમાન સરકારે ભારતીય એરલાઇન્સ માટે એરસ્પેસ બંધ કરી, જાણો શું છે કારણ
બાંગ્લાદેશમાં રાજકીય પલટા બાદ હવે તેની સીધી અસર ભારત સાથેના હવાઈ વ્યવહાર પર જોવા મળી રહી છે. બાંગ્લાદેશની નવી તારિક રહેમાન સરકારે ભારતીય બજેટ એરલાઇન સ્પાઈસજેટ (SpiceJet) વિરુદ્ધ કડક વલણ અપનાવતા તેના એરસ્પેસ (હવાઈ ક્ષેત્ર) ના ઉપયોગ પર પ્રતિબંધ મૂકી દીધો છે. બાંગ્લાદેશ સરકારના જણાવ્યા અનુસાર, લાંબા સમયથી બાકી રહેલા પેમેન્ટની ચુકવણી ન થવાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ભારતીય ફ્લાઇટ્સ પર શું અસર પડશે?
બાંગ્લાદેશ દ્વારા એરસ્પેસ બંધ કરવામાં આવતા ખાસ કરીને પૂર્વોત્તર ભારતના રૂટ પર અસર પડી છે. કોલકાતાથી ગુવાહાટી અને ઈમ્ફાલ જતી ફ્લાઈટ્સને હવે બાંગ્લાદેશના ઉપરથી ઉડવાને બદલે લાંબો રૂટ લેવો પડી રહ્યો છે. આનાથી મુસાફરીના સમયમાં વધારો થશે અને એરલાઇન માટે ઓપરેશનલ ખર્ચ પણ વધશે. જોકે, સ્પાઈસજેટનું કહેવું છે કે તેઓ વૈકલ્પિક રૂટ દ્વારા મુસાફરોને સેવા આપી રહ્યા છે.
સ્પાઈસજેટના પ્રવક્તાએ શું કહ્યું?
આ વિવાદ પર સ્પાઈસજેટના પ્રવક્તાએ ગુરુવારે (૧૯ ફેબ્રુઆરી) જણાવ્યું હતું કે, “એરલાઇન નેવિગેશન ફી સહિતના સંચાલન મુદ્દાઓ પર સંબંધિત સત્તાવાળાઓ સાથે સતત સંપર્કમાં છે. ઉદ્યોગમાં આવા સામાન્ય મુદ્દાઓ આવતા રહે છે અને અમે તેનો રચનાત્મક ઉકેલ લાવવા માટે કામ કરી રહ્યા છીએ.” કંપનીએ ખાતરી આપી છે કે તેમની નિર્ધારિત સેવાઓ નિયમો મુજબ ચાલુ રહેશે.
કેટલું દેવું છે અને કેમ સર્જાઈ આ સ્થિતિ?
સૂત્રોના જણાવ્યા અનુસાર, નેવિગેશન અને એરપોર્ટ યુસેજ ચાર્જિસ પેટે મોટી રકમ બાકી હોવાને કારણે બાંગ્લાદેશ સરકારે આ પગલું ભર્યું છે. જોકે, બાકી રકમનો ચોક્કસ આંકડો હજુ જાહેર કરવામાં આવ્યો નથી. ફ્લાઇટ ટ્રેકિંગ ડેટા દર્શાવે છે કે સ્પાઈસજેટની ફ્લાઈટ્સ હવે બાંગ્લાદેશી એરસ્પેસથી બચીને લાંબા માર્ગે મુસાફરી કરી રહી છે.
શેરબજાર અને એરલાઇનની આર્થિક હાલત
આ સમાચારની અસર શેરબજાર પર પણ જોવા મળી હતી. BSE પર બપોરના ટ્રેડિંગ દરમિયાન સ્પાઈસજેટના શેરમાં લગભગ ૧ ટકાનો ઘટાડો નોંધાયો હતો. ઉલ્લેખનીય છે કે, કંપનીએ ડિસેમ્બર ૨૦૨૫ ના ત્રિમાસિક ગાળામાં ₹૨૬૯.૨૭ કરોડની ખોટ કરી છે, જેનું મુખ્ય કારણ વધતો ખર્ચ અને વન-ટાઇમ ખર્ચ હોવાનું જણાવાયું છે.

