AI સમિટ હંગામો: યુથ કોંગ્રેસના ચાર કાર્યકરોની જામીન અરજી ફગાવી, કોર્ટે 5 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા
દિલ્હીના ભારત મંડપમ ખાતે આયોજિત પ્રતિષ્ઠિત ‘AI ઈમ્પેક્ટ સમિટ’ દરમિયાન વિરોધ પ્રદર્શન કરનાર યુથ કોંગ્રેસના ચાર કાર્યકરોની મુશ્કેલીઓ વધી ગઈ છે. શનિવારે પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કરવામાં આવેલા આ ચારેય આરોપીઓને કોર્ટે પાંચ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યા છે. કોર્ટે દિલ્હી પોલીસની પૂછપરછની દલીલોને ગ્રાહ્ય રાખી તેમની જામીન અરજી પણ ફગાવી દીધી છે.
પોલીસનો ગંભીર આરોપ: દેશવિરોધી સૂત્રોચ્ચાર અને પોલીસ સાથે ઘર્ષણ
સરકારી વકીલે કોર્ટમાં રજૂઆત કરી હતી કે જ્યારે વિદેશી પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં હાજર હતા, ત્યારે આ કાર્યકરોએ પ્રતિબંધિત વિસ્તારમાં પ્રદર્શન કર્યું હતું. પોલીસનો દાવો છે કે આરોપીઓએ માત્ર હંગામો જ નથી કર્યો, પરંતુ દેશવિરોધી અને ‘દેશને વહેંચનારા’ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. એટલું જ નહીં, વડાપ્રધાનની તસવીરવાળી ટી-શર્ટ લહેરાવીને વિરોધ પ્રદર્શિત કર્યો હતો અને જ્યારે તેમને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે પોલીસ જવાનો સાથે ઝપાઝપી કરી હતી, જેમાં ૩ થી ૪ જવાનો ઘાયલ થયા હતા.
તપાસનો વ્યાપ: ફંડિંગ અને કાવતરાની થશે પૂછપરછ
દિલ્હી પોલીસે કોર્ટને જણાવ્યું કે આ ચારેય આરોપીઓ (કૃષ્ણા હરિ, કુંદન યાદવ, અજય કુમાર અને નરસિમ્હા યાદવ) અલગ-અલગ રાજ્યોના રહેવાસી છે. તેમના મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યા છે. પોલીસ હવે આ કેસમાં કોઈ મોટું કાવતરું, ફંડિંગનો સ્ત્રોત અને વિરોધ માટે વપરાયેલી ટી-શર્ટ ક્યાં છપાઈ હતી તેવા તથ્યોની તપાસ કરવા માટે તેમને અલગ-અલગ રાજ્યોમાં લઈ જશે. આ તમામ સામે BNS ની કલમ 132 સહિતની અન્ય ગંભીર કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
બચાવ પક્ષની દલીલ: ‘લોકશાહીમાં વિરોધ એ બંધારણીય અધિકાર’
બીજી તરફ, આરોપીઓના વકીલે પોલીસની દલીલોનો સખત વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે આ એક શાંતિપૂર્ણ પ્રદર્શન હતું અને લોકશાહીમાં વિરોધ કરવો એ દરેક નાગરિકનો બંધારણીય અધિકાર છે. તેમણે દલીલ કરી હતી કે કોઈને ઈજા પહોંચાડ્યાના કોઈ પુરાવા નથી અને માત્ર રાજકીય વિરોધને કારણે આટલી કડક કાર્યવાહી કરવી તે લોકશાહીની ગરિમાને ઠેસ પહોંચાડવા જેવું છે. બચાવ પક્ષે આરોપીઓ યુવાન હોવાથી અને તેમના ભવિષ્યને ધ્યાનમાં રાખીને જામીન આપવા વિનંતી કરી હતી, જેને કોર્ટે ફગાવી દીધી હતી.
#WATCH | Delhi: Indian Youth Congress workers staged a topless protest and chanted anti-Modi slogans at Bharat Mandapam
(Source: Indian Youth Congress) pic.twitter.com/WCZgCMwkFZ
— ANI (@ANI) February 20, 2026
રાજધાનીમાં રાજકીય ગરમાવો
આ ઘટના બાદ દિલ્હીમાં રાજકીય વાતાવરણ તંગ બની ગયું છે. એક તરફ કોંગ્રેસ આ કાર્યવાહીને દમન ગણાવી રહી છે, તો બીજી તરફ ભાજપના કાર્યકરોએ પણ કોંગ્રેસ મુખ્યાલય તરફ કૂચ કરવાનો પ્રયાસ કર્યો હતો. સ્થિતિને કાબૂમાં લેવા માટે RAF ની બેરિકેડિંગ તોડવાનો પ્રયાસ કરનાર કેટલાક ભાજપ કાર્યકરોની પણ અટકાયત કરવામાં આવી હોવાના અહેવાલો છે.
