ભારત-બાંગ્લાદેશ સંબંધોમાં નવી આશા: વિઝા બાદ હવે ‘મૈત્રી બસ સેવા’ ફરી શરૂ, 24 ફેબ્રુઆરીથી દોડશે બસો
ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના રાજદ્વારી સંબંધોમાં ફરી એકવાર ગરમાવો જોવા મળી રહ્યો છે. બાંગ્લાદેશમાં તારિક રહેમાનના વડાપ્રધાન બન્યા બાદ બંને દેશો વચ્ચેની કડવાશ દૂર થઈ રહી હોય તેવું જણાય છે. વિઝા સેવાઓ પુનઃસ્થાપિત થયા પછી, હવે ગુવાહાટી અને અગરતલાથી ઢાકા થઈને કોલકાતા જતી લોકપ્રિય ‘મૈત્રી બસ સેવા’ 24 ફેબ્રુઆરીથી ફરી શરૂ થવા જઈ રહી છે. આ નિર્ણયથી સરહદની બંને તરફ રહેતા મુસાફરો અને વેપારીઓને મોટી રાહત મળશે.
રાજકીય સ્થિરતા બાદ સંબંધોમાં સુધારો
બાંગ્લાદેશમાં તાજેતરમાં આવેલા રાજકીય વંટોળ અને શેખ હસીનાના રાજીનામા બાદ સ્થિતિ ઘણી અસ્થિર બની હતી. 5 ઓગસ્ટ, 2024 થી સુરક્ષાના કારણોસર આ આંતરરાષ્ટ્રીય બસ સેવા બંધ કરી દેવામાં આવી હતી. જોકે, હવે બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP) ના નેતૃત્વમાં સ્થિર સરકાર બનતા અને રાજકીય સ્થિરતા પરત આવતા, ભારત સાથે વિશ્વાસ અને સહયોગ વધારવાની દિશામાં આ એક મહત્વપૂર્ણ કદમ માનવામાં આવી રહ્યું છે.
ટ્રાયલ રન સફળ, મુસાફરો માટે ખુશીના સમાચાર
ત્રિપુરા રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (TRTC) ના વાઇસ ચેરમેન સમર રોયે માહિતી આપી હતી કે લાંબા સમયના વિરામ બાદ આ સેવા શરૂ કરવા માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. તાજેતરમાં જ આ રૂટ પર એક સફળ ‘ટ્રાયલ રન’ કરવામાં આવ્યો હતો. આ સેવાની પુનઃસ્થાપનાથી ખાસ કરીને ત્રિપુરાના લોકોને ફાયદો થશે, કારણ કે તેઓ ઢાકાના રસ્તે ખૂબ જ ઓછા સમયમાં અને સસ્તા દરે કોલકાતા પહોંચી શકશે.
બસ સેવાનું સમયપત્રક
નવા શિડ્યુલ મુજબ, મુસાફરો માટે બસની સુવિધા નીચે મુજબ રહેશે:
- અગરતલાથી ઢાકા થઈ કોલકાતા: દર મંગળવાર, ગુરુવાર અને રવિવારે બસ
- કોલકાતાથી ઢાકા થઈ અગરતલા: દર સોમવાર, બુધવાર અને શનિવારે બસ સેવાનો લાભ મળશે.

