અરજદારોના પ્રશ્નોને સંવેદનાથી સાંભળી પ્રાથમિકતા આપવા પોલીસ અધિક્ષકશ્રીનું માર્ગદર્શન
દાહોદ કલેક્ટર કચેરી ખાતે પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજાની અધ્યક્ષતામાં ‘જિલ્લા સ્વાગત કાર્યક્રમ’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પોલીસ અધિક્ષકશ્રીએ હાજર રહીને નાગરિકોની રજૂઆતો રૂબરૂ સાંભળી હતી. રાજ્ય સરકારના આ કાર્યક્રમનો મુખ્ય હેતુ લોકોની પાયાની સમસ્યાઓનો વહીવટી સ્તરે વહેલી તકે ઉકેલ લાવવાનો અને તંત્રને વધુ પારદર્શક બનાવવાનો છે.
જમીન માપણી અને સ્માર્ટ સિટીના પ્રશ્નો અંગે થઈ રજૂઆતો
આ બેઠક દરમિયાન કુલ ૫ જેટલી મહત્વની અરજીઓ રજૂ કરવામાં આવી હતી. જેમાં સ્માર્ટ સિટી યોજના હેઠળ બનેલા નવા સ્મશાન ગૃહને કાર્યરત કરવા, જમીનની માપણી કરી હક અપાવવા તેમજ જૂના નકશા મુજબ જમીન સુધારવા જેવી બાબતોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, સરકારી જમીન પર બિલ્ડરો દ્વારા કરાયેલા શોપિંગ સેન્ટરના બાંધકામ અને તેની માલિકી નક્કી કરવા બાબતે પણ અરજદારોએ રજૂઆતો કરી હતી.
પ્રશ્નોને સંવેદના સાથે સમયમર્યાદામાં ઉકેલવા અપાયા આદેશો
પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજાએ તમામ પ્રશ્નોને ધ્યાનપૂર્વક સાંભળ્યા બાદ અધિકારીઓને સૂચના આપી હતી કે આ પ્રશ્નોનો સંવેદના સાથે અને નિર્ધારિત સમય મર્યાદામાં ઉકેલ લાવવો. તેમણે પ્રજાના પ્રશ્નોને પ્રાથમિકતા આપવા પર ભાર મૂક્યો હતો. આ કાર્યક્રમમાં નિવાસી અધિક કલેક્ટર જે.એમ. રાવલ, નાયબ વન સંરક્ષક મિતેશ પટેલ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

