સંજય રાઉતે વૈશ્વિક સંસ્થાઓની નિષ્ફળતા અને માનવતાના નુકસાન પર વ્યક્ત કરી ચિંતા.
મધ્ય પૂર્વમાં અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ત્રિપાંખિયા જંગમાં હવે ભારતીય રાજકારણના તીખા સૂર ભળ્યા છે. શિવસેના (UBT) ના સાંસદ સંજય રાઉતે રવિવારે તેમના સાપ્તાહિક સ્તંભમાં ઈરાન-ઈઝરાયેલ યુદ્ધ માટે ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને સીધા જવાબદાર ઠેરવ્યા છે. રાઉતે આ યુદ્ધને માત્ર લશ્કરી સંઘર્ષ નહીં પરંતુ એક સુનિયોજિત રમત ગણાવી છે.
“યુદ્ધ ગુનેગાર” અને પિતૃભૂમિનો વિવાદ
સંજય રાઉતે પોતાના લેખમાં લખ્યું છે કે, જે લોકો ઈઝરાયેલને પોતાની ‘પિતૃભૂમિ’ માને છે અને તેના આધારે રાજકારણ કરે છે, તેઓ જ આ રક્તપાત માટે જવાબદાર છે. તેમણે નેતન્યાહૂ અને ટ્રમ્પને “યુદ્ધ ગુનેગાર” ગણાવતા કહ્યું કે, જનતાએ તેમને દેશના કલ્યાણ માટે સત્તા આપી હતી, બીજા દેશો પર આક્રમણ કરવા માટે નહીં. રાઉતે દાવો કર્યો કે ટ્રમ્પે તેમના જમાઈ જેરેડ કુશનરના કહેવાથી આ યુદ્ધમાં ઝંપલાવ્યું છે, જે તેમની બૌદ્ધિક નાદારી દર્શાવે છે.
ઈતિહાસ અને અસ્તિત્વ પર સવાલ
રાઉતે ઈતિહાસનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે ઈરાનનો ઈતિહાસ ૩૦૦૦ વર્ષ જૂનો છે, જ્યારે ઈઝરાયેલ હજુ ૧૦૦ વર્ષ પણ જૂનું રાષ્ટ્ર નથી. તેમણે આરોપ લગાવ્યો કે યહૂદીઓએ આરબ ભૂમિ પર કબજો કરીને પોતાનું રાષ્ટ્ર બનાવ્યું છે. રાઉતના મતે, નેતન્યાહૂનો એ આરોપ ખોટો છે કે ઈરાન પાસે પરમાણુ બોમ્બ છે; કારણ કે જો ઈરાન પાસે ખરેખર અણુશસ્ત્રો હોત, તો તેણે ક્યારનાય ઈઝરાયેલ પર છોડી દીધા હોત.
તેલ અવીવમાં તબાહી અને ગ્લોબલ ઈમ્પેક્ટ
લેખમાં દાવો કરવામાં આવ્યો છે કે ઈરાનના હુમલાઓએ ઈઝરાયેલની ‘અભેદ્ય સુરક્ષા’ની માન્યતાને તોડી નાખી છે. ઈઝરાયેલની રાજધાની તેલ અવીવમાં હજારો ઘરો, રિફાઈનરીઓ અને એરપોર્ટને નુકસાન થયું હોવાનું રાઉતે જણાવ્યું છે. તેમણે ઉમેર્યું કે ઈરાને હોર્મુઝ સ્ટ્રેટમાં વિશ્વના ‘ઈંધણ’ (તેલ પુરવઠા) ને રોકીને પશ્ચિમી દેશોની કમર તોડી નાખી છે.
સંયુક્ત રાષ્ટ્રની નિષ્ફળતા
વૈશ્વિક સંસ્થાઓ પર પ્રહાર કરતા રાઉતે કહ્યું કે, “પ્રથમ તો સંયુક્ત રાષ્ટ્ર (UN) નામની સંસ્થાને તાળા મારી દેવા જોઈએ. હવે કોઈ તેમનું સાંભળતું નથી.” મોટા રાષ્ટ્રો પોતાની તાકાતથી નાના દેશોને કચડી રહ્યા છે અને સામાન્ય નાગરિકો આ હોળીમાં હોમાઈ રહ્યા છે. તેમણે આ યુદ્ધને “યહૂદીઓ વિરુદ્ધ મુસ્લિમો” ના ધાર્મિક યુદ્ધ તરીકે જોવાની અમેરિકી માનસિકતાની પણ ટીકા કરી છે.
સંજય રાઉતનું આ નિવેદન ભારતની આંતરિક રાજનીતિમાં નવા વિવાદો જન્માવી શકે તેમ છે. એકતરફ ભારત સરકાર ઈઝરાયેલ અને ઈરાન બંને સાથે સંતુલિત સંબંધો જાળવવાનો પ્રયાસ કરી રહી છે, ત્યારે વિપક્ષી નેતાના આ કઠોર વલણે રાજદ્વારી અને રાજકીય વર્તુળોમાં ચર્ચા જગાવી છે.

