“નેહરુ-પટેલના મૂલ્યો ક્યાં?”: સંસદીય ગરિમા જાળવવા એચ.ડી. દેવગૌડાએ સોનિયા ગાંધીને કરી ભાવુક અપીલ.
ભારતીય સંસદીય ઇતિહાસમાં ખૂબ જ જૂજ વખત એવું જોવા મળે છે કે જ્યારે કોઈ પૂર્વ વડાપ્રધાન અન્ય પક્ષના વરિષ્ઠ નેતાને પત્ર લખીને સંસદની કાર્યવાહી અંગે આટલી ગંભીર ટકોર કરે. દેશના પૂર્વ વડાપ્રધાન એચ.ડી. દેવગૌડાએ સોમવારે કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધીને પત્ર લખીને બજેટ સત્ર દરમિયાન વિપક્ષ દ્વારા કરવામાં આવી રહેલા વ્યવહાર અંગે પોતાનો ઉગ્ર અસંતોષ વ્યક્ત કર્યો છે. તેમણે સીધા શબ્દોમાં જણાવ્યું છે કે સંસદની અંદર અને બહાર જે પ્રકારનું નકારાત્મક વાતાવરણ ઊભું કરવામાં આવી રહ્યું છે, તે દેશના લોકશાહી માળખા માટે કાયમી કડવાશ પેદા કરી શકે છે.
“સુધારાની રાહ જોઈને થાક્યો, એટલે પત્ર લખ્યો”
દેવગૌડાએ પત્રમાં પોતાની મનોવેદના ઠાલવતા લખ્યું છે કે, “મેં આ પત્ર પહેલા લખ્યો ન હતો કારણ કે મને આશા હતી કે સમયની સાથે પરિસ્થિતિમાં સુધારો થશે. પરંતુ દુર્ભાગ્યે, મને સુધારાના કોઈ સંકેત દેખાતા નથી.” તેમણે ચેતવણી આપી છે કે જો આવી અરાજક પ્રવૃત્તિઓ ચાલુ રહેશે, તો તેના દૂરગામી પરિણામો અત્યંત ગંભીર હશે, જે કદાચ અત્યારે કોઈ જોઈ શકતું નથી.
રાહુલ ગાંધી અને વિપક્ષી સાંસદોના વર્તન પર પ્રહાર
પૂર્વ વડાપ્રધાને પત્રમાં ખાસ કરીને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીનો ઉલ્લેખ કર્યો છે. દેવગૌડાએ જણાવ્યું હતું કે રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસના સાંસદો સંસદ અને તેના પરિસરમાં બિનજરૂરી અવરોધો ઊભા કરી રહ્યા છે. તેમણે પ્લેકાર્ડ પ્રદર્શન, સતત સૂત્રોચ્ચાર અને વ્યક્તિગત આક્ષેપોની ઘટનાઓને ‘બિન-ગંભીરતા’ નું પ્રતીક ગણાવી છે.
તેમણે ઉમેર્યું, “મારા લાંબા જાહેર જીવનમાં મેં સંસદને આટલી હદે અરાજકતામાં ક્યારેય જોઈ નથી. સંસદની બહાર જે પ્રકારે નાકાબંધી અને વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે તે અભૂતપૂર્વ અને ચિંતાજનક છે.”
આદર્શ નેતાઓના પાઠની યાદ અપાવી
પોતાના પત્રમાં દેવગૌડાએ ભારતના સ્થાપક નેતાઓ જેવા કે પંડિત જવાહરલાલ નેહરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, ડૉ. બી.આર. આંબેડકર અને મૌલાના અબુલ કલામ આઝાદના મૂલ્યોની યાદ અપાવી હતી. તેમણે કહ્યું કે તેમની સંસદીય લોકશાહીની સમજ આ મહાન નેતાઓના માર્ગદર્શન પર આધારિત છે, અને હાલની સ્થિતિ તે પાયાના મૂલ્યોથી વિપરીત છે. તેમણે વ્યક્ત કર્યું કે હાલના હોબાળાએ તેમની સંસદ પ્રત્યેની મૂળભૂત સમજને ઊંડી ઠેસ પહોંચાડી છે.
સોનિયા ગાંધીને હસ્તક્ષેપ કરવા અપીલ
દેવગૌડાએ સોનિયા ગાંધીને વિનંતી કરી છે કે તેઓ વિપક્ષના સૌથી વરિષ્ઠ નેતા તરીકે પોતાની ભૂમિકા ભજવે. તેમણે અપીલ કરી, “તમારા લાંબા રાજકીય અનુભવનો ઉપયોગ કરો અને તમારા પક્ષ તથા અન્ય વિપક્ષી દળોના નેતાઓ સાથે વાત કરો. તેમને સમજાવો કે લોકશાહીમાં સંસદની ગરિમા સર્વોપરી છે.” પૂર્વ પીએમનો ઈરાદો કોઈની ભૂમિકાને મર્યાદિત કરવાનો નહીં, પણ સંસદીય પ્રણાલીને પતનથી બચાવવાનો હોવાનું તેમણે પત્રના અંતે સ્પષ્ટ કર્યું હતું.
એચ.ડી. દેવગૌડાનો આ પત્ર એવા સમયે આવ્યો છે જ્યારે સંસદમાં સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચેનો ગજગ્રાહ ચરમસીમાએ છે. હવે જોવાનું એ રહેશે કે સોનિયા ગાંધી આ વરિષ્ઠ નેતાની સલાહને કેટલા અંશે ગંભીરતાથી લે છે અને શું આગામી દિવસોમાં સંસદના માહોલમાં કોઈ હકારાત્મક ફેરફાર જોવા મળે છે કે કેમ.

