વધતી ગરમી લાવશે ‘મહાસંકટ’! 2050 સુધીમાં લાખો લોકોના જીવ જવાની આશંકા, જાણો ક્લાઈમેટ ચેન્જની અસર
વર્ષ દર વર્ષે પૃથ્વીનું તાપમાન વધી રહ્યું છે અને આ ક્લાઈમેટ ચેન્જ હવે લોકોની શારીરિક સક્રિયતા પર સીધો પ્રહાર કરી રહ્યો છે. એક નવા અભ્યાસ મુજબ, વધતી ગરમી અને અસહ્ય ઉકળાટને કારણે લોકો ઘરની બહાર નીકળવાનું અને કસરત કરવાનું ટાળી રહ્યા છે. જો આ સ્થિતિ ચાલુ રહેશે, તો વર્ષ 2050 સુધીમાં દર વર્ષે અંદાજે 7 લાખ વધારાના મોત થવાની આશંકા સેવાઈ રહી છે.
કસરત કરવાની ક્ષમતામાં થઈ રહ્યો છે ઘટાડો
અભ્યાસમાં જણાવાયું છે કે ગરમીને કારણે લોકોની ફિઝિકલ એક્ટિવિટી (શારીરિક પ્રવૃત્તિ) ઓછી થઈ રહી છે. અત્યંત ગરમી અને ભેજવાળા વાતાવરણમાં કસરત કરવાની ક્ષમતા ઘટી જાય છે. અહેવાલ મુજબ, વર્ષ 2030 સુધીમાં જ ગરમીના કારણે લોકોની શારીરિક પ્રવૃત્તિમાં 15 ટકાનો ઘટાડો થઈ શકે છે. ઘણા વિસ્તારોમાં સ્થિતિ એટલી ખરાબ હશે કે લોકો ચાલવા જેવી સામાન્ય કસરત પણ કરી શકશે નહીં.
WHO ના માનકોથી દૂર છે દુનિયા
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) ના જણાવ્યા અનુસાર, 18 થી 64 વર્ષના લોકોએ અઠવાડિયામાં ઓછામાં ઓછી 150 મિનિટ મધ્યમ અથવા 75 મિનિટ સખત કસરત કરવી જોઈએ. જોકે, રિપોર્ટ કહે છે કે દુનિયામાં દર ત્રણમાંથી એક વ્યક્તિ આ માનકોને પૂરા કરી શકતી નથી. પહેલેથી જ ઓછી શારીરિક પ્રવૃત્તિ કરી રહેલા લોકો માટે વધતી ગરમી ‘કોઢમાં ખાજ’ સમાન સાબિત થશે, જેનાથી ગંભીર બીમારીઓનું જોખમ વધશે.
વધારાના મૃત્યુનું કારણ શું હશે?
ગરમીના કારણે જ્યારે લોકો કસરત ઓછી કરશે, ત્યારે હૃદયની બીમારીઓ, ડાયાબિટીસ અને મેટાબોલિક ડિસઓર્ડરનું પ્રમાણ વધશે. આ ઉપરાંત:
- હીટ સ્ટ્રોક અને ડિહાઈડ્રેશન: સીધી ગરમીથી થતા મૃત્યુમાં વધારો થશે.
- ગંભીર બીમારીઓ: શારીરિક રીતે નિષ્ક્રિય રહેવાથી જીવનશૈલીને લગતી બીમારીઓ જીવલેણ બનશે.
- વધારાના મોત (Excess Deaths): સામાન્ય સંજોગોમાં થતા મૃત્યુ કરતા, ગરમી અને તેને લગતી બીમારીઓથી થતા મૃત્યુનો આંકડો મોટો હશે, જેને ‘એક્સેસ ડેથ’ કહેવામાં આવે છે.
ભારત પર શું થશે અસર?
ભારત જેવા ગરમ દેશ માટે આ ચેતવણી વધુ ગંભીર છે. અભ્યાસ મુજબ, 2050 સુધીમાં ભારતમાં શારીરિક નિષ્ક્રિયતાને કારણે મૃત્યુદર દર 1 લાખની વસ્તીએ 10.62 સુધી પહોંચી શકે છે. નિષ્ણાતો સૂચવે છે કે અત્યારથી જ ‘હીટ-સેફ એક્સરસાઇઝ’ ગાઈડલાઈન્સ બનાવવી જોઈએ અને ગ્લોબલ વોર્મિંગને કાબૂમાં લેવા માટે વૈશ્વિક સ્તરે યુદ્ધના ધોરણે પ્રયાસો કરવા જોઈએ.

