મિડલ ઈસ્ટ સંકટ: ‘ભારતીયોની સુરક્ષા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા’, પીએમ મોદીએ લોકસભામાં ગણાવ્યા સરકારના મહત્વના પગલાં
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભીષણ સંઘર્ષની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે લોકસભામાં દેશને સંબોધિત કરતા સરકાર દ્વારા લેવામાં આવેલા સુરક્ષાત્મક પગલાંઓની વિગતવાર માહિતી આપી હતી. વડાપ્રધાને જણાવ્યું હતું કે, ખાડી દેશોમાં ફસાયેલા ભારતીય નાગરિકોની સુરક્ષા માટે સરકાર દરેક શક્ય પ્રયાસો કરી રહી છે અને અત્યાર સુધીમાં 3.75 લાખથી વધુ ભારતીયોને સુરક્ષિત રીતે સ્વદેશ પરત લાવવામાં આવ્યા છે.
એક કરોડ ભારતીયોની સુરક્ષાનો સવાલ
પીએમ મોદીએ સંસદમાં જણાવ્યું કે, લગભગ એક કરોડ ભારતીય નાગરિકો ખાડી દેશોમાં વસે છે અને ત્યાં કામ કરે છે. આ ઉપરાંત, સમુદ્રમાં ચાલતા કોમર્શિયલ જહાજોમાં પણ ભારતીય ક્રૂ મેમ્બર્સની સંખ્યા ઘણી મોટી છે. આ સંજોગોમાં ભારતની ચિંતા સ્વાભાવિક છે. વડાપ્રધાને સ્પષ્ટ કર્યું કે, યુદ્ધ શરૂ થયું ત્યારથી જ તેઓ પશ્ચિમ એશિયાના મોટાભાગના રાષ્ટ્રાધ્યક્ષો સાથે સતત સંપર્કમાં છે અને બે રાઉન્ડ ફોન પર વાતચીત કરી છે, જેમાં તમામ દેશોએ ભારતીયોની સુરક્ષાનું સંપૂર્ણ આશ્વાસન આપ્યું છે.
24×7 હેલ્પલાઈન અને મિશન મોડમાં કામગીરી
સરકાર દ્વારા લેવામાં આવેલા તાત્કાલિક પગલાંઓની વિગતો આપતા પીએમ મોદીએ કહ્યું કે:
- ભારત અને પ્રભાવિત દેશોમાં 24×7 કંટ્રોલ રૂમ અને ઇમરજન્સી હેલ્પલાઇન સ્થાપિત કરવામાં આવી છે.
- પ્રભાવિત દેશોમાં રહેલા ભારતીય મિશન (દૂતાવાસ) સતત એડવાઈઝરી જાહેર કરી રહ્યા છે અને પ્રવાસીઓ તેમજ કામદારોને મદદ પહોંચાડી રહ્યા છે.
- તાજેતરમાં જ ઈરાનથી 1,000 ભારતીયો સુરક્ષિત રીતે પરત ફર્યા છે.
- દુર્ભાગ્યવશ જે લોકો ઘાયલ થયા છે, તેમને શ્રેષ્ઠ સારવાર મળે તે માટે સરકાર સતત દેખરેખ રાખી રહી છે.
ઉર્જા સુરક્ષા અને વ્યૂહાત્મક ભંડાર
વડાપ્રધાને માત્ર નાગરિકો જ નહીં પરંતુ દેશની આર્થિક સુરક્ષા અંગે પણ વાત કરી હતી. તેમણે જણાવ્યું કે, વીતેલા દાયકામાં ભારતે કટોકટીના સમય માટે કાચા તેલના સંગ્રહને પ્રાથમિકતા આપી છે. હાલમાં ભારત પાસે 53 લાખ મેટ્રિક ટનથી વધુનો વ્યૂહાત્મક પેટ્રોલિયમ રિઝર્વ (Strategic Petroleum Reserve) સ્ટોક ઉપલબ્ધ છે, અને સરકાર અન્ય 65 લાખ મેટ્રિક ટનના વધારાના રિઝર્વની વ્યવસ્થા પર કામ કરી રહી છે. આ ભંડાર યુદ્ધ જેવી સ્થિતિમાં દેશની ઉર્જા જરૂરિયાતોને સુરક્ષિત રાખશે.
વૈશ્વિક અર્થતંત્ર પર અસર
વડાપ્રધાને સ્વીકાર્યું હતું કે પશ્ચિમ એશિયાની સ્થિતિ અત્યંત ચિંતાજનક છે. આ સંકટને ત્રણ અઠવાડિયાથી વધુ સમય થઈ રહ્યો છે અને તેની વિપરીત અસર વૈશ્વિક અર્થતંત્ર અને લોકોના જીવન પર પડી રહી છે. આ યુદ્ધે રાષ્ટ્રીય સુરક્ષા અને આર્થિક પડકારો ઉભા કર્યા છે, પરંતુ ભારત સરકાર કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સજ્જ છે.

