અમદાવાદની અગ્રણી સ્કૂલોના સંચાલકોના દાવા પ્રમાણે 70 ટકાથી વધુ વાલી બાળકોને સ્કૂલે મોકલવા તૈયાર નથી. કોરોનાની વેક્સીન ન આવે ત્યાં સુધી ઓનલાઇન શિક્ષણ જ ચાલુ રાખવાનો તેમનો મત છે. સ્કૂલ સંચાલકો પણ ઉતાવળે સ્કૂલો શરૂ કરીને કોઈ રિસ્ક લેવા માંગતા નથી. મોટાભાગના સ્કૂલ સંચાલકો અન્ય સ્કૂલો ખુલ્યા પછીની સ્થિતિ બાદ નિર્ણય લેશે.
21 સપ્ટેમ્બરથી ધો.9થી 12ના બાળકોને સ્કૂલ બોલાવવાના મુદ્દે વાલીઓનો મત સ્પષ્ટ છે. મોટાભાગની સ્કૂલોએ વાલીઓને સોશિયલ મિડીયાના માધ્યમથી પૂછ્યુ હતું કે શું તેઓ પોતાના બાળકોને સ્કૂલે મોકલવા ઇચ્છે છે કે નહીં? જેના જવાબમાં મોટાભાગના વાલીઓએ ઓનલાઇન શિક્ષણ જ ચાલુ રાખવા જણાવ્યું છે. અગ્રણી ખાનગી સ્કૂલોના સંગઠનના પ્રેસિડેન્ટ અર્ચિત ભટ્ટે જણાવ્યું હતું કે, વાલીઓ કોરોનાની રસી આવ્યા બાદ જ સ્કૂલો શરૂ કરવાની તરફેણમાં છે. ઘણી સ્કૂલો ધો.10 અને 12ના વિદ્યાર્થીઓને સ્કૂલે બોલાવીને ગાઇડન્સ અને અઘરા મુદ્દા સમજાવશે. પરંતુ તે પણ વાલી મંજૂરી આપશે તો.