વિપક્ષી નેતાને જેલ, યુનિવર્સિટી બંધ અને અર્થતંત્રમાં મોટો દાવ: શું તુર્કીના નવા સરમુખત્યાર બનશે રેસેપ તૈયપ એર્દોઆન?
તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોઆન લાંબા સમયથી દેશમાં પોતાની પકડ મજબૂત કરવા અને સત્તાના કેન્દ્રીકરણ તરફ આગળ વધી રહ્યા હોવાના સંકેતો મળી રહ્યા છે. આ માટે તેઓ તુર્કીના વિપક્ષ, મુક્ત મીડિયા અને અસંમતિના અવાજોને વ્યવસ્થિત રીતે નબળા પાડવાના પ્રયાસો કરી રહ્યા હોવાના આક્ષેપો વૈશ્વિક સ્તરે થઈ રહ્યા છે. તાજેતરમાં જ, એર્દોઆને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. આ વાતચીત બાદ તુર્કીમાં ત્રણ અત્યંત મોટા અને દૂરોગામી નિર્ણયો લેવામાં આવ્યા છે. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે આ નિર્ણયોથી તુર્કીમાં એર્દોઆનની સત્તા વધુ મજબૂત અને બિનહરીફ બનશે.
તુર્કીની આંતરિક રાજનીતિમાં છેલ્લા ૨૪ કલાકમાં આવેલા આ મોટા વળાંકોએ રાષ્ટ્રપતિ એર્દોઆનની રાજકીય સ્થિતિને અભેદ્ય બનાવી દીધી છે. વર્ષ ૨૦૧૩થી રાષ્ટ્રપતિ પદ પર કાબીજ એર્દોઆન વિશે આંતરરાષ્ટ્રીય સ્તરે એવું કહેવાય છે કે તેઓ અંકારાના સર્વોચ્ચ અને અજેય નેતા બનવાની મહત્વકાંક્ષા ધરાવે છે. ખાસ કરીને વર્ષ ૨૦૨૪ પછી, તેમણે આ દિશામાં સક્રિય પ્રયાસો શરૂ કર્યા હોવાનું દેખાય છે. એર્દોઆનની આ વ્યૂહરચનાનો પ્રથમ અને મુખ્ય હિસ્સો તુર્કીમાંથી મજબૂત વિપક્ષના અસ્તિત્વને નબળું પાડવાનો છે. આ કવાયતના ભાગરૂપે અગાઉ પણ તુર્કીના કેટલાક અગ્રણી વિપક્ષી નેતાઓને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે.
તુર્કીના સ્થાનિક અહેવાલો અનુસાર, ગુરુવારે ત્યાંની એક સ્થાનિક અદાલતે મુખ્ય વિપક્ષી પક્ષ ‘સીએચપી’ (CHP) ના રાષ્ટ્રીય અધિવેશનને ગેરકાયદેસર ઠેરવ્યો હતો. આ તકનીકી કારણ આગળ ધરીને અદાલતે ત્યાંના અગ્રણી વિપક્ષી નેતા ઓઝગુર ઓઝલને તેમના પદ પરથી હટાવવાનો આદેશ આપ્યો હતો, જેના પગલે ઓઝલને મુખ્ય વિપક્ષી નેતાના પદ પરથી હટી જવું પડ્યું છે. આ નિર્ણય વિપક્ષી છાવણી માટે એક મોટો આંચકો માનવામાં આવે છે.
ન્યાયતંત્રનો ઉપયોગ અને લોકશાહી સામે મોટો ખતરો: વિપક્ષનો આક્રોશ
તુર્કીની જેલમાં બંધ ઇસ્તંબુલના પૂર્વ મેયર અને પ્રભાવશાળી નેતા એકરેમ ઇમામોગ્લુએ આ નિકાલ અંગે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. ઇમામોગ્લુના જણાવ્યા અનુસાર, રાષ્ટ્રપતિ એર્દોઆન ન્યાયતંત્ર (Judiciary) નો રાજકીય હથિયાર તરીકે ઉપયોગ કરીને વિપક્ષી નેતાઓને રસ્તામાંથી હટાવી રહ્યા છે. તેમણે આ સ્થિતિને તુર્કીની લોકશાહી માટે સીધો અને ગંભીર ખતરો ગણાવ્યો છે. વિપક્ષનો આક્ષેપ છે કે એર્દોઆન દેશમાં વિપક્ષની ભૂમિકાને શૂન્ય કરવા માગે છે, જેથી ભવિષ્યમાં સરકારની નીતિઓ કે નકારાત્મક નિર્ણયોનું જનતાની વચ્ચે યોગ્ય મૂલ્યાંકન કે વિરોધ ન થઈ શકે.
જેલમાં ગયા પહેલા ઇમામોગ્લુ પોતે આગામી રાષ્ટ્રપતિ ચૂંટણી માટે એર્દોઆન સામેના સૌથી મજબૂત દાવેદાર માનવામાં આવતા હતા. પરંતુ અચાનક તેમની સામે ભ્રષ્ટાચારના ગંભીર આરોપો લગાવીને તેમને જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા, જેને વિપક્ષે સંપૂર્ણપણે રાજકીય રીતે પ્રેરિત ગણાવ્યો હતો. જેલમાંથી જ ઇમામોગ્લુએ દેશના તમામ વિપક્ષી દળો અને નેતાઓને આ કપરા સમયમાં એક થઈને સરમુખત્યારશાહી વલણ સામે લડવાની અપીલ કરી છે.
આર્થિક દાવ અને અસંમતિના અવાજને ડામવાનો પ્રયાસ: ૨ અન્ય નિર્ણયો
રાજકીય મોરચે વિપક્ષને નબળો પાડવાની સાથે સરકારે આર્થિક અને શૈક્ષણિક મોરચે પણ બે મોટા નિર્ણયો લીધા છે. દેશમાં ચાલી રહેલી તીવ્ર મોંઘવારીને નિયંત્રિત કરવા અને નાણાકીય બજારને સ્થિર કરવાના બહાના હેઠળ તુર્કી સરકારે યુએસ ટ્રેઝરી (US Treasury) ના પોતાના તમામ બોન્ડ વેચી દેવાનો આઘાતજનક નિર્ણય લીધો છે. ગુરુવારે સરકારે અંદાજે ૮ અબજ ડોલરના અમેરિકન બોન્ડ વેચી દીધા હતા. અંકારાની સેન્ટ્રલ બેંકે દાવો કર્યો છે કે આ નિર્ણય સ્થાનિક બજારોમાં ચાલી રહેલી અફરાતફરી અને ગભરાટને રોકવા માટે લેવાયો છે. ઉલ્લેખનીય છે કે પડોશી વિસ્તારોમાં ચાલી રહેલા તણાવ અને ઈરાન યુદ્ધની અસરોને કારણે તુર્કીનું અર્થતંત્ર અત્યારે ભારે કટોકટીમાંથી પસાર થઈ રહ્યું છે.
આ સિવાય, તુર્કીની જાણીતી ‘બિલ્ગી યુનિવર્સિટી’ (Bilgi University) ને પણ સરકાર દ્વારા તાત્કાલિક અસરથી બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ શૈક્ષણિક સંસ્થા પર આરોપ હતો કે ત્યાંથી એર્દોઆન સરકારની નીતિઓ વિરુદ્ધ સતત અભિયાનો અને બૌદ્ધિક વિરોધ પ્રદર્શનો ચલાવવામાં આવી રહ્યા હતા. આ નિર્ણયને કારણે દેશના બૌદ્ધિકો અને વિદ્યાર્થીઓમાં રોષ ફેલાયો છે અને તેને અભિવ્યક્તિની આઝાદી પર સીધો પ્રહાર ગણાવવામાં આવી રહ્યો છે.
વૈશ્વિક કનેક્શન: ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની વાતચીત અને અમેરિકાનું મૌન
તુર્કીમાં અચાનક લેવાયેલા આ ત્રણ મોટા અને કડક નિર્ણયોનો સીધો સંબંધ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની ફોન વાર્તાલાપ સાથે જોડવામાં આવી રહ્યો છે. બુધવારે જ એર્દોઆને ટ્રમ્પ સાથે વિગતવાર વાતચીત કરી હતી. તુર્કીના રાષ્ટ્રપતિ કાર્યાલય દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર, આ વાતચીત દરમિયાન બંને નેતાઓ વચ્ચે સીરિયા અને ઈરાનના પ્રાદેશિક મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી.
જો કે, રાજકીય વિશ્લેષકો એ વાત પર આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે કે આ ફોન કોલના તુરંત બાદ જ તુર્કીમાં વિપક્ષ અને સંસ્થાઓ પર ત્રાટકવાનો આ આખો ઘટનાક્રમ શરૂ થયો. આનાથી એવી અટકળો તેજ થઈ છે કે એર્દોઆનના આ કડક આંતરિક નિર્ણયોને ક્યાંક ને ક્યાંક અમેરિકાની છૂપી સંમતિ અથવા લીલી ઝંડી હોઈ શકે છે.
મિડિલ ઈસ્ટ ઇન્સ્ટિટ્યૂટમાં તુર્કી પ્રોગ્રામના ડિરેક્ટર ગોનુલ તોલના જણાવ્યા અનુસાર, તુર્કીમાં આંતરિક સ્તરે જે કંઈ પણ થઈ રહ્યું છે તેનાથી અમેરિકી વહીવટીતંત્ર સંપૂર્ણપણે વાકેફ છે. બધી જ માહિતી હોવા છતાં, અત્યાર સુધી અમેરિકા તરફથી તુર્કીની લોકશાહીની સ્થિતિ અંગે કોઈ નકારાત્મક ટિપ્પણી કરવામાં આવી નથી. આનાથી વિપરીત, રાષ્ટ્રપતિ ટ્રમ્પ ઘણીવાર એર્દોઆનની મજબૂત નેતા તરીકે પ્રશંસા કરતા આવ્યા છે.
ભૂરાજકીય વિશ્લેષકો આ વલણને અમેરિકાની તે વૈશ્વિક વ્યૂહરચના સાથે સરખાવે છે, જે અંતર્ગત તેઓ પોતાના હિતો માટે ચોક્કસ દેશોના શક્તિશાળી નેતાઓને પ્રોત્સાહન આપે છે. જેમ કે પાકિસ્તાનમાં જનરલ આસિમ મુનીરને મળેલા પરોક્ષ સમર્થનથી તેઓ ત્યાંના સૌથી શક્તિશાળી લશ્કરી વડા બની શક્યા છે. તુર્કીની આ વર્તમાન સ્થિતિ આગામી સમયમાં પશ્ચિમ એશિયાના ભૌગોલિક રાજકારણ અને લોકશાહીના ભવિષ્ય પર કેવા પ્રભાવો પાડે છે, તેના પર સમગ્ર વિશ્વની નજર મંડાયેલી રહેશે.

