તમારું ક્રેડિટ કાર્ડ બંધ છે તો પણ બેંક કાપી શકે છે પૈસા! હરિયાણાના આ કિસ્સાએ બધાને ચોંકાવી દીધા
આજના ડિજિટલ યુગમાં બેંકિંગ સેવાઓ જેટલી સરળ બની છે, તેટલા જ ગ્રાહકો સામે નવા પડકારો પણ ઊભા થયા છે. ખાસ કરીને ક્રેડિટ કાર્ડ સંબંધિત અયોગ્ય વ્યવહારો અને હિડન ચાર્જીસને લઈને ગ્રાહકો વારંવાર પરેશાન થતા હોય છે. આવા જ એક કિસ્સામાં હરિયાણાના યમુનાનગર જિલ્લા ગ્રાહક કમિશને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) અને SBI કાર્ડ્સને ગ્રાહક સેવાઓમાં ગંભીર ખામી અને ગેરવાજબી વેપાર નીતિ (Unfair Trade Practice) માટે દોષિત ઠેરવ્યા છે. કમિશને બેંકની કાર્યશૈલી પર સખત ફિટકાર વરસાવતા ગ્રાહકને મોટી રાહત આપી છે.
તકરારનું મુખ્ય કારણ એ હતું કે બેંકે ગ્રાહકના બચત ખાતામાંથી તબક્કાવાર રીતે ક્રેડિટ કાર્ડના નામે મોટી રકમો કાપી લીધી હતી. ગ્રાહકે આ કાર્ડ ક્યારેય સક્રિય (Activate) કર્યું જ નહોતું. આ સમગ્ર મામલે સુનાવણી કરતી વખતે કમિશને બેંકની દાનત પર પણ સવાલો ઉઠાવ્યા હતા અને રકમ પરત કરવા સહિત વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો.

શું હતો સમગ્ર મામલો?
યમુનાનગરના રહેવાસી રૂપિન્દર સિંહે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં પોતાનું બચત ખાતું ધરાવતા હતા. તેમને બેંક તરફથી એક ક્રેડિટ કાર્ડ ઈશ્યૂ કરવામાં આવ્યું હતું, જે ક્રેડિટ પ્રોટેક્શન પ્લાન (CPP) હેઠળ આવરી લેવામાં આવ્યું હતું. રૂપિન્દર સિંહનો દાવો હતો કે તેમણે આ ક્રેડિટ કાર્ડનો પિન ક્યારેય જનરેટ કર્યો નહોતો, તેને એક્ટિવેટ કર્યું નહોતું કે પછી ગૂગલ પે, પેટીએમ જેવા કોઈ પણ ડિજિટલ પ્લેટફોર્મ સાથે લિંક પણ કર્યું નહોતું.
આમ છતાં, ફેબ્રુઆરી 2022 થી એસબીઆઈ દ્વારા તેમના બચત ખાતામાંથી ક્રેડિટ કાર્ડના બાકી લેણાંના નામે દર મહિને નાણાં કાપવાનું શરૂ કરવામાં આવ્યું. ગ્રાહકે જ્યારે આ બાબતે બેંકનો સંપર્ક કર્યો અને આ અજાણ્યા ટ્રાન્ઝેક્શન્સ ક્યાંથી થઈ રહ્યા છે તેની તપાસ કરવા વિનંતી કરી, ત્યારે બેંક તરફથી કોઈ સંતોષકારક જવાબ મળ્યો નહોતો. સતત કપાત થતી રહેતા ગ્રાહકની મુશ્કેલીઓ વધી ગઈ હતી.
ઓગસ્ટ 2022માં થયો મોટા ફ્રોડનો ખુલાસો
ઓગસ્ટ 2022માં ગ્રાહકને જાણ કરવામાં આવી કે તેમના ક્રેડિટ કાર્ડ પર મોટું બાકી લેણું બોલે છે. ખાતાની વિગતો તપાસતાં ખબર પડી કે 29 એપ્રિલ 2022ના રોજ મુંબઈમાં અનુક્રમે ₹40,849.60 અને ₹18,777.50ના બે મોટા ટ્રાન્ઝેક્શન્સ થયા હતા. રૂપિન્દર સિંહે સ્પષ્ટ કર્યું કે તેઓ મુંબઈ ગયા જ નહોતા અને આ ટ્રાન્ઝેક્શન્સ તેમણે કર્યા નથી.
બેંકને વારંવાર રજૂઆત કરવા છતાં જ્યારે કોઈ ઉકેલ ન આવ્યો અને ખાતામાંથી નાણાં કપાવાનું ચાલુ જ રહ્યું, ત્યારે તેમણે આખરે પોતાના હક માટે જિલ્લા ગ્રાહક વિવાદ નિવારણ આયોગના દરવાજા ખટખટાવ્યા.
બેંક અને ક્રેડિટ કાર્ડ કંપનીની દલીલો
ગ્રાહક આયોગ સમક્ષ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા અને SBI કાર્ડ્સે પોતાનો બચાવ કરતા તમામ આરોપોને નકારી કાઢ્યા હતા:
-
એસબીઆઈનો પક્ષ: બેંકે દાવો કર્યો કે ‘એસબીઆઈ કાર્ડ્સ એન્ડ પેમેન્ટ સર્વિસિસ લિમિટેડ’ એ એક અલગ સંસ્થા છે. ક્રેડિટ કાર્ડનો ઉપયોગ ગુપ્ત પિન વગર શક્ય જ નથી. જો અનધિકૃત વ્યવહાર થયો હોય તો તેમાં ગ્રાહકની પોતાની કે તેમની જાણકારી ધરાવતી કોઈ વ્યક્તિની બેદરકારી હોઈ શકે છે.
-
એસબીઆઈ કાર્ડ્સનો પક્ષ: કંપનીએ દલીલ કરી કે ગ્રાહકે તમામ નિયમો અને શરતો સ્વીકારીને કાર્ડ લીધું હતું અને ઓટો-ડેબિટ મેન્ડેટ સાઈન કર્યું હતું. મુંબઈના બંને વ્યવહારો સીવીવી (CVV) અને ગ્રાહકના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર આવેલ ઓટીપી (OTP) દ્વારા માન્ય થયેલા હતા, તેથી આ ટ્રાન્ઝેક્શન્સ સંપૂર્ણપણે સાચા છે.
ગ્રાહક કમિશનનું અવલોકન અને સખત વલણ
પ્રમુખ રાજબીર સિંહ તેમજ સભ્યો જસવિંદર સિંહ અને સુમન રાણાની ખંડપીઠે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ દસ્તાવેજોની ઝીણવટભરી તપાસ કરી હતી. કમિશને નોંધ્યું કે બેંક પોતાની દલીલોના સમર્થનમાં કોઈ પણ નક્કર પુરાવા રજૂ કરી શકી નથી.
કમિશને પોતાના ચુકાદામાં સ્પષ્ટ કહ્યું કે:
-
કાર્ડ એક્ટિવેશનનો પુરાવો નથી: બેંક એવો કોઈ દસ્તાવેજ કે પિન જનરેશનનો રેકોર્ડ રજૂ કરી શકી નથી જેથી સાબિત થાય કે ગ્રાહકે ક્યારેય આ કાર્ડ એક્ટિવ કર્યું હતું.
-
ઓટીપી અને ઓટો-ડેબિટના પુરાવાનો અભાવ: બેંકે દાવો કર્યો કે વ્યવહારો ઓટીપીથી થયા હતા અને ઓટો-ડેબિટ ઓથોરિટી હતી, પરંતુ આ અંગેનો કોઈ પણ લોગ કે દસ્તાવેજી પુરાવો કોર્ટ સમક્ષ મૂકવામાં આવ્યો નહોતો.
-
જવાબદારીમાંથી છટકબારી નહીં: એસબીઆઈ બેંક અને એસબીઆઈ કાર્ડ્સ બંને એક જ ગ્રુપનો ભાગ છે. તેથી ગ્રાહકના ખાતામાંથી ગેરકાયદેસર કપાત માટે બંને સંસ્થાઓ એકબીજા પર દોષનો ટોપલો ઢોળીને પોતાની જવાબદારીમાંથી છટકી શકે નહીં.

‘વ્યાજ કમાવવાનો છુપો એજન્ડા’: કમિશનનો પ્રહાર
15 જુલાઈના રોજ આપવામાં આવેલા પોતાના ચુકાદામાં કમિશને બેંકની મેલી મુરાદ પર પ્રહાર કરતા કહ્યું કે, “સાધનો અને દસ્તાવેજોની ચકાસણી કરતા સ્પષ્ટ થાય છે કે બેંકનો એક ‘છુપો એજન્ડા’ (Hidden Agenda) હતો. ગ્રાહકના બચત ખાતામાં પૂરતું બેલેન્સ હોવા છતાં, કુલ બાકી રકમ એકસાથે કાપવાને બદલે માત્ર ન્યૂનતમ રકમ (Minimum Amount) અથવા અંશતઃ રકમ જ કાપવામાં આવતી હતી. આનો હેતુ એ હતો કે બાકી રકમ પર માસિક ધોરણે ભારે વ્યાજ વસૂલીને પોતાનો પ્રોફિટ (નફો) વધારી શકાય.”
કમિશને ઉમેર્યું કે દેશની જવાબદારો નાણાકીય સંસ્થાઓ તરીકે બેંકોએ દરેક ગ્રાહકનો યોગ્ય રેકોર્ડ રાખવો જોઈએ, જે કરવામાં આ કિસ્સામાં બેંક સંપૂર્ણપણે નિષ્ફળ રહી છે.
ગ્રાહકના પક્ષમાં ચુકાદો અને વળતર
ગ્રાહક આયોગે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા અને SBI કાર્ડ્સ બંનેને સેવાઓમાં ઉણપ અને ગેરવાજબી વેપાર નીતિ માટે દોષિત ઠેરવ્યા હતા. કમિશને ગ્રાહકની અરજી ગ્રાહ્ય રાખતા નીચે મુજબનો આદેશ આપ્યો:
-
₹1.26 લાખનો રિફંડ: ગ્રાહકના ખાતામાંથી ગેરકાયદેસર રીતે કાપી લેવામાં આવેલી ₹1,26,000 ની રકમ વ્યાજ સાથે તુરંત પરત કરવાનો આદેશ આપવામાં આવ્યો.
-
માનસિક ત્રાસ અને કાનૂની ખર્ચનું વળતર: બેંકની બેદરકારીના કારણે ગ્રાહકે ભોગવવો પડેલો માનસિક ત્રાસ અને કોર્ટ-કચેરીના ધક્કા ધ્યાને રાખીને વધારાના ₹11,000 વળતર અને કાનૂની ખર્ચ પેટે ચૂકવવાનો હુકમ કર્યો.
આ ચુકાદો એવા તમામ ક્રેડિટ કાર્ડ ધારકો માટે એક મહત્વપૂર્ણ ઉદાહરણ પૂરું પાડે છે જેઓ અજાણ્યા ચાર્જીસ કે અણવપરાયેલા ક્રેડિટ કાર્ડના નામે બેંકોની દાદાગીરીનો ભોગ બને છે. જો ગ્રાહક જાગૃત હોય અને સાચો હોય, તો ગ્રાહક અદાલતમાંથી ન્યાય ચોક્કસ મળે છે.