‘હવે CID નહીં, CBI તપાસ જોઈએ’: JPSC કૌભાંડ સામે વિદ્યાર્થીઓએ આરપારની લડાઈ આદરી
ઝારખંડમાં સરકારી નોકરીઓની તૈયારી કરી રહેલા હજારો યુવાનોનો આક્રોશ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. ઝારખંડ પબ્લિક સર્વિસ કમિશન (JPSC) ની ૧૪મી સંયુક્ત સ્પર્ધાત્મક પ્રારંભિક પરીક્ષા અને JSSC-CGL સહિતની વિવિધ ભરતી પરીક્ષાઓમાં થયેલી કથિત ગેરરીતિઓ, પેપર લીક અને OMR શીટમાં વિસંગતતાઓના આરોપો સાથે વિદ્યાર્થીઓ છેલ્લા પાંચ દિવસથી અવિરત આંદોલન ચલાવી રહ્યા છે.
રાજધાની રાંચીના જયપાલ સિંહ મુંડા સ્ટેડિયમ ખાતે ૨૯ જુલાઈથી સેંકડો ઉમેદવારો અનિશ્ચિત મુદતની હડતાળ પર બેઠા છે. દરમિયાન, તાજેતરમાં દિલ્હીના જંતર-મંતર પર NEET પેપર લીક સામે વિશાળ વિરોધ પ્રદર્શન કરનાર ‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP) ના સ્થાપક અભિજીત દિપક્કેએ ઝારખંડના આંદોલનકારી વિદ્યાર્થીઓને ખુલ્લું સમર્થન આપતાં આ મુદ્દો હવે રાષ્ટ્રીય સ્તરે ચર્ચામાં આવ્યો છે.
“જેમ દિલ્હીમાં કર્યું હતું, તેમ અહીં પણ અમારી સાથે ઊભા રહો”
અભિજીત દિપક્કેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર માહિતી આપતાં જણાવ્યું હતું કે તેમણે ઝારખંડમાં વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ અને તેમના સંગઠનો સાથે સીધી વાતચીત કરી છે અને CJP તેમની તમામ વ્યાજબી માગણીઓનું પૂર્ણ સમર્થન કરે છે.
આ વાતચીત દરમિયાન વિરોધ કરી રહેલી એક અગ્રણી મહિલા આંદોલનકારીએ દિપક્કેને તેમના અગાઉના નિવેદનો યાદ અપાવતા કહ્યું હતું કે, “અમને અત્યારે તમારા સંપૂર્ણ સહકારની જરૂર છે. તમે દિલ્હીમાં દેશના ગરીબ વિદ્યાર્થીઓ માટે જે રીતે અવાજ ઉઠાવ્યો હતો, તેવી જ રીતે તમારે ઝારખંડમાં પણ આગળ આવવું પડશે. તમે જ કહ્યું હતું કે દુનિયા નમે છે, બસ તેને નમાવનાર કોઈ જોઈએ.”
CID તપાસમાં અવિશ્વાસ: વિદ્યાર્થીઓ માગી રહ્યા છે CBI અને ED ની તપાસ
મુખ્યમંત્રી હેમંત સોરેને કથિત ગેરરીતિઓની તપાસ માટે સીઆઈડી (CID) ને આદેશ આપ્યો છે, પરંતુ આંદોલનકારી ગ્રાઉન્ડ પર આ તપાસથી જરાય સંતુષ્ટ નથી. વિરોધ કરી રહેલા JPSC અને JSSC ના ઉમેદવારોનું કહેવું છે કે રાજ્યની તપાસ એજન્સીઓ પરથી તેમનો વિશ્વાસ સંપૂર્ણપણે ઊઠી ગયો છે.
Spoke to the students who are protesting in Jharkhand over irregularities in JPSC and JSSC recruitment exams.
The CJP stands with all the students in Jharkhand and support their demands. pic.twitter.com/lLSRhFVpv1
— Abhijeet Dipke (@abhijeet_dipke) August 2, 2026
ઉમેદવારોનો આરોપ છે કે પરીક્ષા સદંતર રદ કરીને આ તમામ કેસોની તપાસ સીબીઆઈ (CBI) અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) જેવી સ્વતંત્ર કેન્દ્રીય એજન્સીઓ દ્વારા જ કરાવવી જોઈએ. વિદ્યાર્થીઓ છેલ્લા સાત વર્ષમાં લેવાયેલી તમામ સરકારી ભરતી પરીક્ષાઓની તપાસ સાથે નૈતિક ધોરણે રાજ્યના મુખ્યમંત્રીના રાજીનામાની પણ માગણી કરી રહ્યા છે.
૧૪મી JPSC પ્રિલિમ્સ રદ કરવા અને OMR ના નિયમો બદલવા માગ
વિદ્યાર્થીઓ ખાસ કરીને ૧૯ એપ્રિલે લેવાયેલી ૧૪મી JPSC કમ્બાઈન્ડ પ્રિલિમિનરી પરીક્ષાને તુરંત રદ કરવાની માગ પર અડેલા છે. આ સાથે તેઓ ભરતી એજન્સીઓમાં પારદર્શિતા લાવવા માટે OMR શીટમાં પાંચમો વિકલ્પ – “નોટ એટેમ્પ્ટેડ” (જવાબ આપવા ન માગતા હોવાનો વિકલ્પ) ફરજિયાતપણે ઉમેરવાની માંગ કરી રહ્યા છે.
ગિરિડીહના એક ઉમેદવારે પોતાનો રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, “ઝારખંડના મોટાભાગના ઉમેદવારો સામાન્ય ખેડૂત અને આદિવાસી પરિવારોમાંથી આવે છે. તેઓ પોતાની આકરી મહેનત અને યોગ્યતાના આધારે સરકારી નોકરી મેળવવા માગે છે, પરંતુ ભ્રષ્ટ તત્વોના કારણે તેમનું ભવિષ્ય રોળાઈ રહ્યું છે.”
રાંચીની સડકો પર મશાલ સરઘસ: આંદોલન વધુ તેજ બનવાના એંધાણ
બીજી તરફ, રાંચીમાં એકત્રિત થયેલી એક આદિવાસી વિદ્યાર્થીનીએ જણાવ્યું કે તે વર્ષ ૨૦૨૩ થી આ પરીક્ષાઓની રાત-દિવસ તૈયારી કરી રહી છે, પરંતુ જો ગેરરીતિઓ થકી જ સીટો વેચાઈ જશે તો સામાન્ય અને હોંશિયાર વિદ્યાર્થીઓને તક ક્યાંથી મળશે?
પોતાના આક્રોશને વાચા આપવા માટે રવિવારે સાંજે હજારો વિદ્યાર્થીઓએ હાથમાં સળગતી મશાલો સાથે રાંચીના જયપાલ સિંહ મુંડા સ્ટેડિયમથી અલ્બર્ટ એક્કા ચોક સુધી એક વિશાળ મશાલ સરઘસ કાઢ્યું હતું. રાજ્યની JMM ની આગેવાની હેઠળની ગઠબંધન સરકાર સામે ભારે નારેબાજી કરવામાં આવી હતી અને ચેતવણી આપવામાં આવી હતી કે જો માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો સમગ્ર રાજ્યમાં ચક્કાજામ કરવામાં આવશે.