સુરતમાં અકસ્માતની એક વિચિત્ર ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં એક કિશોર મોતને ભેટ્યો હતો. પરંતુ આ અકસ્માત કોઈ કાર કે અન્ય બાઈક સાથે નહિ પરંતુ પોલીસની વાન સાથે સર્જાયો હતો. મુળ ઉત્તરપ્રદેશ, જેનપુરનો વતની અંકિત રામઆશરે પટેલ અઠવાડિયા અગાઉ રોજીરોટીની શોધમાં સુરત પાંડેસરામાં કાકા-કાકીના ઘરે રહેતો હતો.રવિવારે અંકિત બાઈક લઈને નીકળ્યો હતો, ત્યારે વેસુ ચાર રસ્તા નજીક તેને અકસ્માત નડ્યો હતો. અંકિત ઉમરા પોલીસની વાન સાથે ભટકાતા તેનું મોત નીપજ્યું હતું. ઉમરા પોલીસ મથકના પીઆઈ કે.. બી. ઝાલાના જણાવ્યાં મુજબ અંકિત બાઈક પર આવી રહ્યો હતો ત્યારે વેસુ ચાર રસ્તા નજીક પોલીસની વાન સાથે ભટકાયો હતો. તેને પોલીસે સારવાર માટે હોસ્પિટલમાં પણ ખસેડ્યો હતો. પરંતુ તેનું મોત નીપજ્યું હતું. જો કે પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન અંકિતને બાઈક બરાબર ચલાવતા આવડતી નહી હોવાનું સામે આવ્યું છે.આ ઉપરાંત સમગ્ર મામલાની જાણ તેના પરિજનોને કરાઈ હતી. જો કે સુરતમાં રહેતા કાકા-કાકીએ સમગ્ર ઘટનાની જાણ અંકિતના માતા-પિતાને કરી હતી. જેથી ઉત્તરપ્રદેશથી તેના માતા-પિતા સુરત આવવા નીકળી ગયા હોવાનું જાણવા મળ્યું છે. હાલ તો પોલીસે સમગ્ર બનાવ અંગે આગળની તપાસ હાથ ધરી છે.
