શું આજથી E20 પેટ્રોલ ₹૧૧૦ માં મળશે? સોશિયલ મીડિયાના દાવાઓ પર પેટ્રોલિયમ મંત્રાલયનો મોટો ખુલાસો
છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર એવા અહેવાલો અને મેસેજો ખૂબ વાયરલ થઈ રહ્યા છે કે ૫ ઓગસ્ટથી દેશમાં E20 (૨૦% ઇથેનોલ મિશ્રિત) પેટ્રોલ ₹૧૧૦ પ્રતિ લિટરના ભાવે મળશે અને ૧૦૦% શુદ્ધ પેટ્રોલ માટે ગ્રાહકોએ ₹૧૨૫ થી વધુ કિંમત ચૂકવવી પડશે. મધ્ય પૂર્વમાં અમેરિકા અને ઈરાન વચ્ચેના તણાવને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલમાં થઈ રહેલા ઉછાળા વચ્ચે આ વાયરલ મેસેજોએ સામાન્ય વાહનચાલકો અને ગ્રાહકોમાં ભારે ચિંતા ઊભી કરી હતી. પરંતુ હવે કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રાલયે આ અંગે સત્તાવાર સ્પષ્ટતા કરીને તમામ અફવાઓ પર પૂર્ણવિરામ મૂકી દીધું છે.
સોશિયલ મીડિયાના દાવાઓ સંપૂર્ણપણે પાયાવિહોણા
પેટ્રોલિયમ મંત્રાલય દ્વારા સોશિયલ મીડિયા પર ફરતા દાવાઓ પાછળનું સત્ય જાહેર કરતા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ૫ ઓગસ્ટથી E20 પેટ્રોલ ₹૧૧૦ માં વેચવાનો કે દરો બદલવાનો કોઈ નવો નિર્ણય સરકાર કે તેલ કંપનીઓ દ્વારા લેવામાં આવ્યો નથી. મંત્રાલયના જણાવ્યા મુજબ, સોશિયલ મીડિયા પર ચાલતા આ સમાચાર સંપૂર્ણપણે ભ્રામક અને ખોટા છે. દેશમાં ‘ઇથેનોલ બ્લેન્ડેડ પેટ્રોલ પ્રોગ્રામ’ હેઠળ નિયમિત ધોરણે જ E20 પેટ્રોલનું વેચાણ ચાલુ છે અને તેના ભાવમાં અચાનક આવો કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
Not everything circulating online is factual.
Before believing or sharing any information related to fuel policies or prices, verify it through official Government and Oil Marketing Company (OMC) sources.
Stay informed. Share responsibly.#FuelTheFacts #FactCheck #E20… pic.twitter.com/FZPMiHgS2z
— Ministry of Petroleum and Natural Gas #MoPNG (@PetroleumMin) August 4, 2026
₹૧૨૫ પ્રતિ લિટરનો આંકડો શું છે? મંત્રાલયનો ખુલાસો
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા ₹૧૨૫ પ્રતિ લિટરના આંકડા અંગે પેટ્રોલિયમ મંત્રાલયે સ્થિતિ સ્પષ્ટ કરી છે. મંત્રાલયે જણાવ્યું હતું કે જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ પ્રતિ બેરલ $૧૩૫ ની આસપાસ પહોંચ્યા હતા, ત્યારે જો સરકારે પેટ્રોલમાં ઇથેનોલ ન ભેળવ્યું હોત, તો દિલ્હી જેવા શહેરોમાં સામાન્ય પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર રૂ.૧૨૫ ની આસપાસ પહોંચી ગયો હોત.
ઇથેનોલ મિશ્રણને કારણે તે મુશ્કેલ સમયે પણ ગ્રાહકો પર ભાવ વધારાનું દબાણ ઓછું રાખવામાં મદદ મળી હતી. મંત્રાલયે ઉમેર્યું કે ₹૧૨૫ નો આંકડો પેટ્રોલની વર્તમાન કે નવી કિંમત નથી, પરંતુ ઇથેનોલ મિશ્રણ ન કર્યું હોત તો શું સ્થિતિ સર્જાઈ હોત તેનું માત્ર એક કાલ્પનિક ઉદાહરણ હતું.

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીનું મહત્વનું નિવેદન
બીજી તરફ, રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નીતિન ગડકરી પણ E20 અને વૈકલ્પિક ઈંધણ પર પોતાના મંતવ્યોને લઈને ચર્ચામાં છે. તાજેતરમાં આપેલા એક ઈન્ટરવ્યુમાં તેમણે સમજાવ્યું હતું કે જો ભવિષ્યમાં દેશમાં ગ્રાહકોને ૧૦૦% શુદ્ધ પેટ્રોલ અને ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ બંનેના અલગ-અલગ વિકલ્પો આપવામાં આવે, તો આંતરરાષ્ટ્રીય ક્રૂડના આધારે ૧૦૦% શુદ્ધ પેટ્રોલની કિંમત ₹૧૬૮ પ્રતિ લિટર સુધી પહોંચી શકે છે. તેની સરખામણીમાં ઇથેનોલ મિશ્રિત ઇંધણ ગ્રાહકોને ખૂબ જ સસ્તું પડશે, કારણ કે સરકાર સ્થાનિક સ્તરે રૂ.૫૪ થી રૂ.૬૬ પ્રતિ લિટરના ભાવે ઇથેનોલની ખરીદી કરે છે.
હાલમાં દેશના વિવિધ શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના દરો યથાવત છે અને સરકાર દ્વારા કિંમતોમાં કોઈ આકસ્મિક વધારો કરવામાં આવ્યો નથી. ગ્રાહકોને સોશિયલ મીડિયા પર ચાલતી આવી કોઈ પણ અફવાઓ પર વિશ્વાસ ન કરવા અને માત્ર સત્તાવાર જાહેરાતો ધ્યાનમાં લેવા અપીલ કરવામાં આવી છે.