LIC ના કરોડો રૂપિયા ડૂબ્યા! અનિલ અંબાણી અને રિલિઅન્સ સામે CBI નો મોટો સપાટો!
રિયલાયન્સ ગ્રુપના ચેરમેન અનિલ અંબાણીની નાણાકીય અને કાનૂની સમસ્યાઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. તાજેતરમાં જ કેન્દ્રીય તપાસ બ્યુરો (CBI) એ રિલિઅન્સ કેપિટલ લિમિટેડ (RCL), તેના ભૂતપૂર્વ ચેરમેન અનિલ અંબાણી, ભૂતપૂર્વ મેનેજિંગ ડિરેક્ટર સતીશ શેઠ તેમજ કેટલાક અજ્ઞાત સરકારી કર્મચારીઓ અને અન્ય લોકો સામે એફઆઈઆર (FIR) નોંધાવી છે. આ નવો કેસ ભારતીય જીવન વીમા નિગમ (LIC) સાથે થયેલી આશરે ₹૨,૬૮૪.૫૭ કરોડની કથિત નાણાકીય ગેરરીતિ અને છેતરપિંડી સાથે સંકળાયેલો છે.
દેશની સૌથી મોટી સરકારી વીમા કંપની LIC ની લેખિત ફરિયાદના આધારે CBI એ આ કડક કાર્યવાહી હાથ ધરી છે. આ કેસ સામે આવ્યા બાદ કોર્પોરેટ જગતમાં ફરી એકવાર મોટો ખળભળાટ મચી ગયો છે.

શું છે સમગ્ર આરોપ?
LIC દ્વારા CBI ને આપવામાં આવેલી ફરિયાદમાં ખૂબ જ ગંભીર આરોપો મૂકવામાં આવ્યા છે. ફરિયાદ અનુસાર, ૧૨ એપ્રિલ ૨૦૧૨ થી ૯ માર્ચ ૨૦૧૮ વચ્ચેના સમયગાળા દરમિયાન રિલિઅન્સ કેપિટલ લિમિટેડે LIC ને ૫ અલગ-અલગ ડિબેન્ચર્સ વેચ્યા હતા. આ ડિબેન્ચર્સના બદલામાં LIC એ રિલિઅન્સ કેપિટલને ₹૩,૯૦૦ કરોડની મોટી રકમની લોન પૂરી પાડી હતી.
તે સમયે રિલિઅન્સ કેપિટલ તરફથી એવું આશ્વાસન આપવામાં આવ્યું હતું કે આ નાણાંનો ઉપયોગ કંપનીની દૈનિક નાણાકીય જરૂરિયાતોને પૂરી કરવા, જૂના દેવાની ચુકવણી કરવા અને કંપનીના રોજના કામકાજ (વર્કિંગ કેપિટલ) માટે કરવામાં આવશે.
પરંતુ LIC નો આરોપ છે કે લોનની રકમ મળ્યા બાદ કંપનીએ તે નાણાંનો ઉપયોગ નક્કી કરેલા હેતુઓ માટે કરવાને બદલે ગેરકાયદેસર રીતે ડાયવર્ટ (અન્યત્ર ટ્રાન્સફર) કર્યા હતા. આ ભંડોળને રિલિઅન્સ ગ્રુપની જ એવી અન્ય સહયોગી કંપનીઓમાં ટ્રાન્સફર કરી દેવામાં આવ્યું, જે કંપનીઓ અગાઉથી જ ભારે ખોટમાં ચાલી રહી હતી અને નાણાકીય કટોકટીનો સામનો કરી રહી હતી.
પાછળથી જ્યારે રિલિઅન્સ કેપિટલની સ્થિતિ અત્યંત કથળી ગઈ અને કંપની નાદાર થઈ ગઈ, ત્યારે તે LIC પાસે લીધેલી લોનની ચુકવણી કરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહી. આ નાણાકીય ગેરરીતિના પરિણામે દેશની સૌથી મોટી સરકારી વીમા સંસ્થા LIC ને ₹૨,૬૮૪.૫૭ કરોડનું અતિ વિશાળ નાણાકીય નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.
અનિલ અંબાણીનો પક્ષ અને સ્પષ્ટતા
CBI ની આ કાર્યવાહી અને LIC ના આરોપો બાદ અનિલ અંબાણીના પ્રવક્તા તરફથી તાત્કાલિક નિવેદન જારી કરીને તમામ આરોપોને સખત શબ્દોમાં ફગાવી દેવામાં આવ્યા છે.
પ્રવક્તાએ પોતાના અધિકૃત નિવેદનમાં જણાવ્યું હતું કે, “આ સમગ્ર મામલો સંપૂર્ણપણે રિલિઅન્સ કેપિટલ લિમિટેડ સાથે સંકળાયેલો છે. અનિલ અંબાણી વર્ષ ૨૦૦૫ થી નવેમ્બર ૨૦૨૧ સુધી કંપનીમાં માત્ર એક નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને બોર્ડના ચેરમેન તરીકે ભૂમિકા ભજવતા હતા. નવેમ્બર ૨૦૨૧ માં ભારતીય રિઝર્વ બેંક (RBI) એ રિલિઅન્સ કેપિટલના બોર્ડને બરખાસ્ત કરીને ત્યાં પોતાના એડમિનિસ્ટ્રેટર (વહીવટદાર) ની ન્યુક્તિ કરી દીધી હતી.”

અનિલ અંબાણીના પ્રવક્તાએ વધુમાં સ્પષ્ટ કર્યું હતું કે તેમણે કોઈ પણ પ્રકારની ગેરરીતિ કે નાણાકીય અનિયમિતતા કરી નથી. તેઓ તમામ કાનૂની પ્રક્રિયાઓમાં સહયોગ આપશે અને કાયદા હેઠળ તેમને મળેલા પોતાના તમામ અધિકારોને સુરક્ષિત રાખશે.
કેસની ગંભીરતા અને ભવિષ્ય પર અસર
આ કેસ માત્ર એક કંપનીની નાદારી પૂરતો સીમિત નથી, પરંતુ તેમાં દેશના સામાન્ય નાગરિકોના નાણાં રોકનારી સરકારી સંસ્થા LIC નો કરોડો રૂપિયાનો હિસ્સો દાવ પર લાગ્યો છે. CBI હવે આ મામલે રિલિઅન્સ કેપિટલના તત્કાલીન અધિકારીઓ, બોર્ડ મેમ્બર્સ અને લોન મંજૂર કરનારા કેટલાક બેંક તેમજ સરકારી અધિકારીઓની ભૂમિકાની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.
અનિલ અંબાણી અગાઉ પણ ટેલિકોમ અને પાવર સેક્ટરની પોતાની અન્ય કંપનીઓના દેવાના બોજ હેઠળ દબાયેલા હતા. હવે CBI ની આ નવી FIR અને LIC ના કરોડો રૂપિયાના લોન ડાયવર્ઝન કેસથી તેમની કાનૂની અડચણો અને મુશ્કેલીઓમાં વધુ એક ગંભીર પ્રકરણ ઉમેરાયું છે.
