બાળકો માટે સાક્ષાત કાળ બન્યો આ વાયરસ! ગણતરીના કલાકોમાં મગજ પર હુમલો, જાણો બચવાના ઉપાયો.
તાજેતરમાં ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ સંબંધિત જટિલતાઓને કારણે 22 લોકોના મોત નીપજ્યા છે, જેણે દેશભરમાં ફરી એકવાર આ જીવલેણ અને અત્યંત ખતરનાક વાયરસ સામે ચિંતા ઊભી કરી છે. ગુજરાતના આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાના જણાવ્યા અનુસાર, અત્યાર સુધી નોંધાયેલા 184 શંકાસ્પદ કેસોમાંથી 35 દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલમાં ઘણા ગંભીર દર્દીઓ હોસ્પિટલોના આઈસીયુ (ICU)માં વેન્ટિલેટર અને ઓક્સિજન સપોર્ટ પર સારવાર હેઠળ છે.
જોકે, વર્તમાન પરિસ્થિતિએ આરોગ્ય તંત્રને દોડતું કરી દીધું છે, પરંતુ ચાંદીપુરા વાયરસ ભારત માટે નવો નથી. આ વાયરસે છેલ્લા કેટલાક દાયકાઓમાં દેશમાં અનેક વખત હાહાકાર મચાવ્યો છે. તે મુખ્યત્વે એક્યુટ એન્સેફાલાઇટિસ (મગજનો તીવ્ર સોજો) માટે જવાબદાર માનવામાં આવે છે, જે ખાસ કરીને 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે ઝડપથી જીવલેણ સાબિત થાય છે.

ચાંદીપુરા વાયરસ શું છે અને તે ક્યાંથી આવ્યો?
ચાંદીપુરા વાયરસ (CHPV) એ ‘રેબ્ડોવિરિડે’ (Rhabdoviridae) પરિવાર સાથે સંબંધ ધરાવતો એક ઉભરતો વાયરલ પેથોજેન છે. આ વાયરસની પહેલીવાર ઓળખ વર્ષ 1965માં મહારાષ્ટ્રના ચાંદીપુર નામના ગામમાં ડેન્ગ્યુ જેવા રોગચાળાના નિદાન દરમિયાન થઈ હતી, જેના પરથી તેનું નામ ‘ચાંદીપુરા વાયરસ’ રાખવામાં આવ્યું છે.
આ વાયરસ મુખ્યત્વે સંક્રમિત સેન્ડફ્લાય (રેતીની માખી)ના કરડવાથી ફેલાય છે. જોકે મચ્છર અને ઇતરડી પણ આ રોગના ફેલાવામાં ભાગ ભજવે છે તેમ માનવામાં આવે છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના રિપોર્ટ મુજબ, ભારતના પશ્ચિમ, મધ્ય અને દક્ષિણ ભાગોમાં આ વાયરસના કેસો વધુ જોવા મળે છે. અન્ય સામાન્ય વાયરલ ચેપની સરખામણીમાં ચાંદીપુરા વાયરસ ખૂબ જ ઝડપથી ફેલાય છે અને ગણતરીના કલાકોમાં શરીરના ચેતાતંત્ર પર હુમલો કરીને મગજમાં ગંભીર સોજો ઉત્પન્ન કરે છે.
આ વાયરસ શા માટે આટલો ખતરનાક માનવામાં આવે છે?
ચાંદીપુરા વાયરસનું સૌથી મોટું ચિંતાજનક પાસું એ છે કે તે અત્યંત ઝડપથી એક્યુટ એન્સેફાલાઇટિસ સિન્ડ્રોમ (AES) નું કારણ બને છે. આ સ્થિતિ મગજમાં બળતરા અને સોજો પેદા કરે છે, જેનાથી ન્યુરોલોજીકલ નુકસાન, કોમા અને જો સમયસર સચોટ સારવાર ન મળે તો દર્દીનું મૃત્યુ થઈ શકે છે.
રોગના મુખ્ય લક્ષણો નીચે મુજબ છે:
-
અચાનક સખત સખત તાવ આવવો
-
અસહ્ય માથાનો દુખાવો થવો
-
સતત ઉલટી થવી
-
ખેંચ કે આંચકી આવવી (Seizures)
-
માનસિક સ્થિતિમાં ફેરફાર અથવા અસ્પષ્ટ વિચારસરણી
-
અતિશય ચીડિયાપણું
-
શારીરિક સંતુલન ગુમાવવું
-
ગંભીર કિસ્સાઓમાં દર્દીનું કોમામાં સરી પડવું
તબીબોના જણાવ્યા મુજબ, આ રોગના લક્ષણો ખૂબ જ ઝડપથી ગંભીર સ્વરૂપ ધારણ કરે છે. આથી, સહેજ પણ શંકા જાય તો વિલંબ કર્યા વગર તુરંત દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવા અત્યંત જરૂરી છે.
બાળકો પર જ સૌથી વધુ જોખમ કેમ?
અત્યાર સુધી નોંધાયેલા મોટાભાગના કિસ્સાઓમાં 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકો સૌથી વધુ ભોગ બન્યા છે. બાળકોનું રોગપ્રતિકારક શક્તિ (Immune System) અને ચેતાતંત્ર હજુ સંપૂર્ણ વિકસિત થયા હોતા નથી, જેના કારણે આ વાયરસના ગંભીર હુમલા સામે તેમનું શરીર ટકી શકતું નથી.
સામાન્ય રીતે ચોમાસાની ઋતુ દરમિયાન આ વાયરસનો પ્રકોપ વધુ જોવા મળે છે, કારણ કે આ સમયે સેન્ડફ્લાયની વસ્તીમાં ઝડપી વધારો થાય છે. ગ્રામીણ અને આદિવાસી વિસ્તારો જ્યાં આ ઝીણી માખીઓનો ઉપદ્રવ વધુ હોય છે, ત્યાં સંક્રમણ ફેલાવાનું જોખમ સૌથી વધારે રહેલું છે.

કોઈ ચોક્કસ રસી કે ઇલાજ ઉપલબ્ધ નથી
ચાંદીપુરા વાયરસના નિયંત્રણમાં સૌથી મોટો પડકાર એ છે કે અત્યાર સુધી તેની સામે રક્ષણ આપતી કોઈ માન્ય રસી (Vaccine) કે કોઈ ચોક્કસ એન્ટિવાયરલ દવા શોધાાઈ નથી. હાલમાં દર્દીની બચાવવા માટે માત્ર લાક્ષણિક અને સપોર્ટિવ સારવાર જ ઉપલબ્ધ છે, જેમાં સમાવેશ થાય છે:
-
આઈસીયુ (ICU)માં સતત મોનિટરિંગ
-
દર્દીને ઓક્સિજન થેરાપી આપવી
-
શ્વાસ લેવામાં તકલીફ હોય તો વેન્ટિલેટર સપોર્ટ આપવો
-
બોડી ફ્લુઇડ જાળવી રાખવા ગ્લુકોઝ અને IV ફ્લુઇડ્સ આપવા
-
ખેંચ અને અન્ય જટિલતાઓને રોકવા માટેની દવાઓ
વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) દ્વારા ટાંકવામાં આવેલા અભ્યાસો અનુસાર, આ વાયરસનો મૃત્યુદર (Case Fatality Rate) 56 થી 75 ટકા જેટલો ઊંચો છે. આ આંકડો ચાંદીપુરાને ભારતમાં નોંધાયેલા સૌથી જીવલેણ મગજના ચેપમાંથી એક બનાવે છે.
ભારતમાં ભૂતકાળમાં પણ જોવા મળ્યો છે આ વાયરસનો પ્રકોપ
ગુજરાતમાં હાલમાં જોવા મળી રહેલો આ રોગચાળો પહેલો નથી. આ પહેલા પણ ભારતના વિવિધ રાજ્યોમાં તેના મોટા આઉટબ્રેક નોંધાયા છે:
-
વર્ષ 2024: ભારતમાં ચાંદીપુરા વાયરસના 245 કેસો નોંધાયા હતા અને 82 લોકોના મોત થયા હતા, જેમાં ગુજરાતમાં સૌથી વધુ કેસ સામે આવ્યા હતા.
-
વર્ષ 2003: આંધ્રપ્રદેશમાં 329 શંકાસ્પદ કેસો અને 183 મૃત્યુ નોંધાયા હતા, જે ઇતિહાસનો સૌથી મોટો રોગચાળો ગણાય છે.
શું આ વાયરસ એક માણસથી બીજા માણસમાં ફેલાય છે?
સારી વાત એ છે કે અત્યાર સુધીના સંશોધનો અને પુરાવા મુજબ, ચાંદીપુરા વાયરસનું માનવ-થી-માનવમાં (હ્યુમન ટુ હ્યુમન) સંક્રમણ જોવા મળ્યું નથી. આ રોગ માત્ર સંક્રમિત સેન્ડફ્લાય અથવા અન્ય કીટકોના કરડવાથી જ ફેલાય છે.
આરોગ્ય નિષ્ણાતો સલાહ આપે છે કે ચોમાસા દરમિયાન આ વાયરસથી બચવા માટે મચ્છરદાનીનો ઉપયોગ કરવો, કીટક વિરોધી ક્રીમ (Repellents) લગાવવી, શરીર આખું ઢંકાય તેવા કપડાં પહેરવા અને ઘરની આસપાસ સેન્ડફ્લાય તથા મચ્છરોના સંવર્ધન સ્થળોનો નાશ કરવો અત્યંત જરૂરી છે.