સંસદનું ચોમાસું સત્ર પૂર્ણ: હોબાળા વચ્ચે ૧૨ મહત્વપૂર્ણ બિલો પસાર, FCRA બિલ JCP પાસે મોકલાયું
સંસદનું ચોમાસું સત્ર ભારે ગરમાવો, રાજકીય ખેંચતાણ અને વિપક્ષના વિરોધ પ્રદર્શનો વચ્ચે પૂર્ણ થયું છે. સમગ્ર સત્ર દરમિયાન વિપક્ષી દળો દ્વારા અયોધ્યા રામ મંદિરમાં પ્રસાદ ચોરીનો વિવાદ અને દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહી જેવા સંવેદનશીલ મુદ્દાઓને લઈને જોરદાર હંગામો મચાવવામાં આવ્યો હતો. વિપક્ષી નેતાઓ ગૃહમંત્રી અમિત શાહના અધિકૃત નિવેદન અને વિસ્તૃત ચર્ચા પર અડી રહ્યા હતા, જેને કારણે બંને ગૃહોમાં વારંવાર અડચણો ઊભી થઈ હતી. આ રાજકીય મડાગાંઠ વચ્ચે પણ સરકારે ૧૨ મહત્વપૂર્ણ વિધેયકોને સંસદની મંજૂરી અપાવવામાં સફળતા મેળવી છે.
FCRA બિલ JCP ને સોંપાયું, પરીક્ષા સુધારણા બિલ પસાર
સત્ર દરમિયાન સૌથી વધુ ચર્ચામાં રહેલું ‘વિદેશી યોગદાન (નિયમન) સુધારા બિલ, ૨૦૨૬’ (FCRA Bill) વિરોધ પક્ષોની તીવ્ર ટીકા અને સામાજિક સંગઠનોની માંગણીઓને ધ્યાનમાં રાખીને વિગતવાર સમીક્ષા માટે સંસદની સંયુક્ત સમિતિ (JCP) ને મોકલી આપવામાં આવ્યું છે.
બીજી તરફ, દેશભરમાં ગાજેલા NEET પેપર લીક વિવાદના પડઘા સંસદમાં પણ સંભળાયા હતા. બંને ગૃહોએ ‘જાહેર પરીક્ષાઓ (અયોગ્ય માધ્યમોનું નિવારણ) સુધારા બિલ, ૨૦૨૬’ ને લીલી ઝંડી આપી દીધી છે. લોકસભામાં આ બિલ પર આશરે ૧૦ કલાક સુધી દીર્ઘ ચર્ચા ચાલી હતી, જેમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને શાસક પક્ષના સાંસદો વચ્ચે તીખી તકરાર જોવા મળી હતી. આ ઉપરાંત, વિપક્ષના હંગામા વચ્ચે ‘રાષ્ટ્રીય સન્માનના અપમાન નિવારણ (સુધારા) બિલ, ૨૦૨૬’ પણ પસાર કરાયું હતું, જેમાં ‘જન ગણ મન’ ની જેમ જ ‘વંદે માતરમ’ ના ગાનને વિશેષ સન્માન આપવાની જોગવાઈઓ સામેલ છે.
આ મહત્વપૂર્ણ બિલોને મળી સંસદની લીલી ઝંડી
ચોમાસા સત્ર દરમિયાન દેશના નાણાકીય, કાનૂની અને સામાજિક માળખાને અસર કરતા અનેક બિલો મંજૂર કરવામાં આવ્યા હતા. જેમાં સુપ્રીમ કોર્ટ (ન્યાયાધીશોની સંખ્યા) સુધારો બિલ, વિનિયોગ (નં. ૩) બિલ, ટ્રિબ્યુનલ સુધારા બિલ, કરવેરા અને અન્ય કાયદા સુધારો બિલ, જન્મ અને મૃત્યુ નોંધણી (સુધારા) બિલ, કેરળ (નામમાં ફેરફાર) બિલ, રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમ (સુધારા) બિલ, બેંકર્સ બુક્સ ઓફ એવિડન્સ બિલ, ભારતીય આંકડાકીય સંસ્થા બિલ, સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ વિકાસ (સુધારા) બિલ તેમજ ખાણ અને ખનિજો (વિકાસ અને નિયમન) સુધારા બિલનો સમાવેશ થાય છે.
લોકસભા અને રાજ્યસભાની કામગીરી પર પૂરતી અસર
વિરોધ પ્રદર્શનોને કારણે લોકસભાની કાર્યવાહી ગંભીર રીતે પ્રભાવિત થઈ હતી. સમગ્ર સત્ર દરમિયાન એક પણ દિવસ પ્રશ્નકાળ અને શૂન્યકાળ સુચારુ રૂપે ચાલી શક્યા નહોતા, માત્ર ૨૮ અને ૨૯ જુલાઈના રોજ જ ગૃહમાં સકારાત્મક વાતાવરણ જોવા મળ્યું હતું.
રાજ્યસભા (૨૭૧મું સત્ર) ના અધ્યક્ષ સી.પી. રાધાકૃષ્ણને કામગીરીની વિગતો આપતાં જણાવ્યું હતું કે, સમગ્ર સત્ર દરમિયાન ગૃહમાં માત્ર ૩૭ કલાક અને ૪૯ મિનિટ જ વાસ્તવિક કામકાજ શક્ય બન્યું હતું. રાજ્યસભામાં સૂચિબદ્ધ ૨૮૫ તારાંકિત પ્રશ્નોમાંથી માત્ર ૧૬ પ્રશ્નો જ ગૃહ સમક્ષ રજૂ કરી શકાયા હતા, જ્યારે ૩૮૦ શૂન્યકાળમાંથી ૫૨ અને ૩૮૦ વિશેષ ઉલ્લેખોમાંથી ૯૩ વિષયો પર જ રજૂઆત થઈ શકી હતી. ખાણ અને ખનિજ સુધારા બિલ પસાર કર્યા બાદ અંતિમ દિવસે બપોરે ૧૨:૦૫ વાગ્યે રાજ્યસભાની કામગીરી અનિશ્ચિત મુદત માટે સ્થગિત કરી દેવામાં આવી હતી.