કાશ્મીર પર યુએસ રાજદૂત સર્જિયો ગોરના નિવેદનથી પાકિસ્તાનમાં ભારે ખળભળાટ: ભારતે પાક. ની હતાશા પર કટોકટાક્ષ કર્યો
ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોર દ્વારા જમ્મુ અને કાશ્મીર અંગે આપવામાં આવેલા એક મહત્વપૂર્ણ અને સ્પષ્ટ નિવેદન બાદ પાકિસ્તાનમાં ભારે રાજદ્વારી ખળભળાટ મચી ગયો છે. યુએસ રાજદૂતે જમ્મુ-કાશ્મીરની તેમની પ્રથમ મુલાકાત દરમિયાન સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે જમ્મુ અને કાશ્મીર ભારતનો એક અત્યંત મહત્વપૂર્ણ અને અભિન્ન ભાગ છે. આ નિવેદન સામે પાકિસ્તાને ઉગ્ર વિરોધ નોંધાવતા ઇસ્લામાબાદ સ્થિત અમેરિકી દૂતાવાસના અધિકારીઓને સમન્સ પાઠવ્યા હતા, જેની સામે ભારતે પણ આકરો પ્રતિક્રિયા આપતા પાકિસ્તાનની મનોસ્થિતિ પર કટાક્ષ કર્યો છે.
ભારતના વિદેશ મંત્રાલય (MEA) ના પ્રવક્તા રણધીર જયસ્વાલે પાકિસ્તાનની આ સમગ્ર કવાયત પર પ્રતિક્રિયા આપતાં સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, “મને પાકિસ્તાનની હતાશા અને અકળામણ પર વધારાની ટિપ્પણી કરવાનું કોઈ વ્યાજબી કારણ દેખાતું નથી.” ભારતના આ ટૂંકા પરંતુ ધારદાર જવાબે પાકિસ્તાનના વિરોધને સંપૂર્ણપણે નકારી કાઢ્યો છે.

અમેરિકી રાજદૂતની મુલાકાત અને ટ્રાવેલ એડવાઇઝરી પર વલણ
પોતાની પ્રથમ કાશ્મીર મુલાકાત દરમિયાન અમેરિકી રાજદૂત સર્જિયો ગોર પ્રદેશની પ્રાકૃતિક સુંદરતા અને શાંતિપૂર્ણ વાતાવરણથી અત્યંત પ્રભાવિત થયા હતા. તેમણે પ્રદેશની સુંદરતાના વખાણ કરતાં જણાવ્યું હતું કે, “આ ખરેખર એક અદ્ભુત અને સુંદર સ્થળ છે. હું અહીં આવીને આ પ્રદેશને રૂબરૂ જોવા માટે ખૂબ જ ઉત્સાહિત હતો. અમારી આ મુલાકાત અત્યંત સફળ અને સકારાત્મક રહી છે.”
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે જમ્મુ અને કાશ્મીરમાં બદલાયેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અમેરિકા કેન્દ્રશાસિત પ્રદેશ માટે જારી કરવામાં આવેલી પોતાની મુસાફરી સલાહકાર (Travel Advisory) પર પુનર્વિચાર કરશે. પ્રદેશના કેટલાક મહત્વપૂર્ણ મુદ્દાઓ અને વિકાસ કાર્યો અંગે ચર્ચા કરીને તેઓ તેને વોશિંગ્ટન અને નવી દિલ્હીના ઉચ્ચ સ્તરે લઈ જવાની આશા રાખે છે.

પાકિસ્તાને યુએસ ચાર્જ ડી’અફેર્સને સમન્સ પાઠવ્યા
અમેરિકી રાજદૂતના આ નિવેદનથી અકળાયેલા પાકિસ્તાને બુધવારે, ૧૯ ઓગસ્ટ ૨૦૨૬ ના રોજ ઇસ્લામાબાદમાં આવેલી યુએસ એમ્બેસીના ચાર્જ ડી’અફેર્સ નતાલી બેકરને વિદેશ મંત્રાલયમાં સમન્સ પાઠવીને ઔપચારિક ડિપ્લોમેટિક વિરોધ પત્ર (ડીમાર્ચે) સોંપ્યો હતો. પાકિસ્તાની વિદેશ મંત્રાલયે દાવા સાથે જણાવ્યું હતું કે જમ્મુ-કાશ્મીરને ભારતનો ભાગ ગણાવતી અમેરિકી રાજદૂતની ટિપ્પણીઓ “તથ્યપૂર્ણ રીતે ખોટી” અને બેજવાબદાર છે.
પાકિસ્તાને પોતાના પરંપરાગત રાગનો પુનરોચ્ચાર કરતા જણાવ્યું કે જમ્મુ અને કાશ્મીર આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત વિવાદિત પ્રદેશ છે અને તેનું ભવિષ્ય સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) ના ઠરાવો તથા કાશ્મીરી લોકોની આકાંક્ષાઓ મુજબ નક્કી થવું જોઈએ. પાકિસ્તાને એવો પણ આક્ષેપ કર્યો હતો કે યુએસ રાજદૂતનું આ નિવેદન આંતરરાષ્ટ્રીય કાયદા અને યુએન ચાર્ટરની વિરુદ્ધ છે.
જોકે, ભારતે અગાઉ પણ અનેક વૈશ્વિક મંચો પરથી સ્પષ્ટ કર્યું છે કે જમ્મુ અને કાશ્મીર ભારતનો અવિભાજ્ય ભાગ હતો, છે અને કાયમ રહેશે. અમેરિકી રાજદૂત દ્વારા જમીની હકીકતનો સ્વીકાર કરાતાં પાકિસ્તાન ફરી એકવાર આંતરરાષ્ટ્રીય સ્તરે એકલું પડી ગયેલું નજરે પડે છે.
