આધાર કાર્ડમાં નામ, સરનામું અને જન્મતારીખ કેટલી વાર બદલી શકાય? જાણોUIDAI ના મહત્વના નિયમો
આજના સમયમાં આધાર કાર્ડ માત્ર એક ઓળખપત્ર નથી રહ્યું, પરંતુ તે દરેક ભારતીય નાગરિકના જીવનનો એક અત્યંત મહત્વપૂર્ણ અને અનિવાર્ય ભાગ બની ગયું છે. બેંકમાં ખાતું ખોલાવવું હોય, બાળકોને શાળામાં પ્રવેશ અપાવવો હોય, સરકારી યોજનાઓનો લાભ લેવો હોય કે નવો સિમ કાર્ડ ખરીદવો હોય—દરેક જગ્યાએ આધાર કાર્ડની પ્રાથમિક જરૂરિયાત ઊભી થાય છે.
પરંતુ ઘણીવાર એવું બને છે કે આધાર કાર્ડ બનવતી વખતે કે બાદમાં આપણી વિગતોમાં ભૂલ રહી જાય છે અથવા સમય જતાં તેમાં ફેરફાર કરવાની જરૂર પડે છે. જો વિગતોમાં ભૂલ હોય તો આપણા મહત્વના કામ અટકી શકે છે. જોકે, ઘણા લોકો એ વાતથી અજાણ હોય છે કે આધાર કાર્ડમાં દરેક વિગત ગમે તેટલી વાર બદલી શકાતી નથી. ‘યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા’ (UIDAI) એ દુરુપયોગ રોકવા માટે અમુક ચોક્કસ મર્યાદાઓ (Limits) નક્કી કરી છે. ચાલો વિગતવાર જાણીએ કે કઈ વિગત કેટલી વાર અપડેટ કરી શકાય છે.
આધાર કાર્ડ અપડેટ કરવાની નિયમબદ્ધ મર્યાદાઓ
UIDAI ના સુધારેલા નિયમો મુજબ, આધાર કાર્ડમાં નામ, જન્મતારીખ અને અન્ય વિગતો બદલવા માટે નીચે મુજબની મર્યાદાઓ નક્કી કરવામાં આવી છે:
નામ (Name): જો તમારા આધાર કાર્ડમાં નામની સ્પેલિંગમાં ભૂલ હોય કે લગ્ન પછી નામ બદલવું હોય, તો તમે તમારા આખા જીવનકાળ દરમિયાન માત્ર ૨ (બે) વાર જ નામમાં સુધારો કરાવી શકો છો. અનિવાર્ય અને ખાસ સંજોગોમાં જો ત્રીજી વાર ફેરફાર કરવો પડે, તો તેના માટે UIDAI ની વિશેષ પરવાનગી, આધારભૂત કાયદાકીય દસ્તાવેજો અને સોગંદનામું (Affidavit) રજૂ કરવું પડે છે.

સરનામું (Address): સરનામું બદલવા માટે કોઈ જ મર્યાદા નથી. જો તમે નોકરી, ધંધા કે અન્ય કારણોસર વારંવાર ઘર બદલતા હોવ, તો તમારી પાસે નવું યોગ્ય એડ્રેસ પ્રૂફ (જેમ કે લાઈટ બિલ, રેન્ટ એગ્રીમેન્ટ, કે બેંક પાસબુક) હોય ત્યાં સુધી તમે ગમે તેટલી વાર સરનામું અપડેટ કરાવી શકો છો.
મોબાઈલ નંબર અને ઈમેઈલ: રજિસ્ટર્ડ મોબાઈલ નંબર કે ઈમેઈલ આઈડી બદલવા માટે પણ કોઈ મર્યાદા નથી. તમે ગમે તેટલી વખત નવો નંબર લિંક કરાવી શકો છો.
જન્મતારીખ (Date of Birth): જન્મતારીખમાં સુધારો કરવા માટેના નિયમો ખૂબ જ કડક છે. તમે જીવનમાં માત્ર ૧ (એક) વાર જ જન્મતારીખ અપડેટ કરાવી શકો છો. તે માટે માન્ય જન્મનું પ્રમાણપત્ર (Birth Certificate) કે પાસપોર્ટ જેવા સરકારી દસ્તાવેજ રજૂ કરવા જરૂરી છે.
જાતિ (Gender): જેન્ડરમાં સુધારો પણ જીવનમાં માત્ર ૧ (એક) વાર જ કરી શકાય છે.
ઓનલાઈન વિ. ઓફલાઈન અપડેટ પ્રોસેસ
આધાર કાર્ડમાં ફેરફાર કરવાની બે અલગ-અલગ રીતો છે. કેટલીક સેવાઓ તમે ઘરે બેઠા મેળવી શકો છો, જ્યારે કેટલીક માટે આધાર કેન્દ્ર પર જવું જરૂરી છે:
ઘરે બેઠા ઓનલાઈન સેવા (myAadhaar Portal):
જો તમારે માત્ર સરનામું (Address) બદલવું હોય, તો તમારે કોઈ કેન્દ્ર પર જવાની જરૂર નથી. તમે UIDAI ના અધિકૃત myAadhaar પોર્ટલ પર જઈને ઓનલાઈન અરજી કરી શકો છો. આ માટે તમારા આધાર સાથે મોબાઈલ નંબર લિંક હોવો જરૂરી છે, જેના પર OTP આવશે. યોગ્ય ડોક્યુમેન્ટની સ્કેન કોપી અપલોડ કરીને તમે આસાનીથી એડ્રેસ બદલી શકો છો.
આધાર સેવા કેન્દ્ર (Aadhaar Seva Kendra) પર જવાની જરૂરિયાત:
જે સુધારામાં બાયોમેટ્રિક વેરિફિકેશન (જેમ કે ફિંગરપ્રિન્ટ, આઈરિસ સ્કેન કે ફોટો) અથવા ઉચ્ચ ચોકસાઈની જરૂર હોય—જેમ કે નામ, જન્મતારીખ, મોબાઈલ નંબર અને જેન્ડર—તેના માટે આધાર સેવા કેન્દ્ર પર રૂબરૂ જવું ફરજિયાત છે.

ધક્કા અને લાંબી લાઈનોથી બચવા માટે ખાસ ટીપ
આધાર સેવા કેન્દ્ર પર થતી ભીડ અને લાંબી કતારોથી બચવા માટે UIDAI એ ઓનલાઈન એપોઈન્ટમેન્ટ બુકિંગની સુવિધા આપી છે.
તમે ઘરે બેઠા જ UIDAI ની વેબસાઈટ પરથી નજીકના આધાર સેન્ટર માટે તમારી અનુકૂળતા મુજબ તારીખ અને સમય પસંદ કરીને એપોઈન્ટમેન્ટ બુક કરી શકો છો. નિયત સમયે કેન્દ્ર પર પહોંચીને તમે કોઈ પણ જાતની જંજટ કે ધક્કા ખાધા વગર સરળતાથી તમારું કામ પૂરું કરાવી શકો છો.
આધાર કાર્ડ એ તમારી મહત્વપૂર્ણ ઓળખ છે, તેથી તેમાં કોઈપણ વિગત અપડેટ કરાવતી વખતે સ્પેલિંગ અને દસ્તાવેજોની ચકાસણી ખાસ કરી લેવી જેથી તમારી સુધારાની મર્યાદા બિનજરૂરી રીતે વપરાઈ ન જાય.
