લોર્ડ્સ ટેસ્ટમાં ઇમામ-ઉલ-હકની ઇજા પર ભારે વિવાદ: PCB તપાસ સમિતિની રચના કરી કાર્યવાહી કરશે
ઇંગ્લેન્ડ સામેની લોર્ડ્સ ટેસ્ટ દરમિયાન પાકિસ્તાનના ઓપનિંગ બેટ્સમેન ઇમામ-ઉલ-હકને થયેલી ડાબા પગની પિંડીની (Calf) ઈજા હવે મોટા શિસ્તભંગના વિવાદમાં પરિણમી છે. આ ઇજાને કારણે ઇમામ મેચની બંને ઇનિંગ્સમાં બેટિંગ કરવા મેદાનમાં ઉતરી શક્યો ન હતો. પાકિસ્તાનની હાર અને શ્રેણી ગુમાવ્યા બાદ, ઇમામની આ ઇજાની વાસ્તવિકતા સામે અનેક પ્રશ્નો ઉભા થયા છે. વાતાવરણ ગરમ થતાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ના ચેરમેન મોહસીન નકવીએ આ સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે એક સમિતિની રચના કરવાનો નિર્દેશ આપ્યો છે.
અહેવાલો મુજબ, પીસીબી ચેરમેને તપાસ સમિતિને શક્ય તેટલી વહેલી તકે આ અંગેનો અહેવાલ સુપરત કરવાનો આદેશ આપ્યો છે. જો બોર્ડની તપાસમાં કોઈ ગેરરીતિ કે શિસ્તભંગ સાબિત થશે, તો ઇમામ સામે કડક પગલાં લેવામાં આવી શકે છે.

બ્રોડ અને ક્રિકેટ દિગ્ગજોના આકરા પ્રહારો
લોર્ડ્સ ટેસ્ટના ચોથા દિવસે સવારે ઇમામ જ્યારે ગ્રાઉન્ડના કિનારે ડાબા પગ પર ટેપ લગાવીને બેટિંગ પ્રેક્ટિસ કરતો જોવા મળ્યો, ત્યારે પરિસ્થિતિ વધુ વણસી હતી. પ્રેક્ટિસ દરમિયાન તે કેમેરા સામે લંગડાતો ચાલી રહ્યો હતો, જેને જોઈને ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ ઝડપી બોલર અને કોમેન્ટેટર સ્ટુઅર્ડ બ્રોડે આકરા પ્રહારો કર્યા હતા.
બ્રોડે ખુલ્લેઆમ આક્ષેપ કરતા કહ્યું હતું કે, “આ બધું માત્ર બતાવવા (Show) માટે કરવામાં આવી રહ્યું છે. જો તે ખરેખર ઈજાગ્રસ્ત હોત તો તે ઈન્ડોર એકેડેમીમાં પ્રેક્ટિસ કરી શક્યો હોત. કેમેરા અને મીડિયા સમક્ષ શોર્ટ્સ પહેરીને આ રીતે નાટક કરવાની કોઈ જરૂર નહોતી.” ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન બેટ્સમેન ડેવિડ વોર્નરે પણ બ્રોડના આ નિવેદનને સમર્થન આપ્યું હતું.
જૂના વિવાદો ફરી સપાટી પર આવ્યા
ઇમામની આ ઈજા સામે શંકા જાગવાનું કારણ તેનો ભૂતકાળ પણ છે. ભૂતપૂર્વ મુખ્ય પસંદગીકાર મોહમ્મદ વસીમે તાજેતરમાં ખુલાસો કર્યો હતો કે 2022ની હોમ સિરીઝ દરમિયાન પણ ટીમના ફિઝિયોએ ઇમામની ઈજા અંગે શંકા વ્યક્ત કરી હતી.
આ ઉપરાંત, 2025ના ન્યુઝીલેન્ડ પ્રવાસ દરમિયાન પણ તેની સમાન ઘટનાની તપાસ થઈ હતી, જેમાં ડોક્ટરો અને સમિતિએ નોંધ્યું હતું કે તે માત્ર કઠિન પરિસ્થિતિઓમાં રમવાથી બચવા માટે ઈજાનું બહાનું બનાવી રહ્યો હતો. આ જ કારણોસર આ વખતે પીસીબી આ મામલાને અત્યંત ગંભીરતાથી લઈ રહ્યું છે.

ત્રીજી ટેસ્ટ પહેલાં વતન વાપસી નક્કી
પીસીબીના નજીકના એક સૂત્રએ પીટીઆઈ (PTI) ને જણાવ્યા અનુસાર, ત્રીજી ટેસ્ટ મેચ શરૂ થાય તે પહેલાં જ ઇમામ-ઉલ-હકને પાકિસ્તાન પરત મોકલી દેવામાં આવશે તે લગભગ નિશ્ચિત થઈ ગયું છે.
