ગણેશ મહોત્સવની ભવ્ય શરૂઆત, અદાણી પરિવારના આગમનથી ચિંચપોકલી ચા ચિંતામણી પંડાલમાં છવાયો ઉત્સાહ!
અદાણી એન્ટરપ્રાઇઝિસના ડિરેક્ટર શ્રી પ્રણવ અદાણી અને અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડ (APSEZ) ના મેનેજિંગ ડિરેક્ટર શ્રી કરણ અદાણીએ તેમના પરિવાર સાથે ગણેશ ચતુર્થીના પવિત્ર અવસર પર ચિંચપોકલી ચા ચિંતામણીના દર્શન કરી પૂજા-અર્ચના કરી હતી.
આ પ્રસંગે એગ્રો, ઓઇલ એન્ડ ગેસના મેનેજિંગ ડિરેક્ટર અને અદાણી એન્ટરપ્રાઇઝિસના ડિરેક્ટર પ્રણવ અદાણીએ જણાવ્યું હતું કે, “ચિંચપોકલી સાર્વજનિક ઉત્સવ મંડળ સાથે જોડાઈને અમે ખૂબ જ ગર્વ અનુભવીએ છીએ. પોતાના 107મા વર્ષમાં પ્રવેશનાર ચિંચપોકલી ચા ચિંતામણીનો સમૃદ્ધ વારસો ભક્તિ, એકતા અને મુંબઈના સાંસ્કૃતિક ધબકારા સાથે જોડાયેલો છે.”

ચિંચપોકલી ચા ચિંતામણી એ મુંબઈનું બીજા નંબરનું સૌથી જૂનું સાર્વજનિક ગણપતિ છે, જે હાલમાં તેના 107મા વર્ષની ઉજવણી કરી રહ્યું છે. આ મંડળનો ઇતિહાસ શહેરના જૂના મિલ વિસ્તાર એટલે કે પરેલ, ગિરગાંવ અને લાલબાગ સાથે જોડાયેલો છે. આ મંડળ સ્વાતંત્ર્ય સેનાની લોકમાન્ય બાલ ગંગાધર તિલકના વારસાને આગળ વધારી રહ્યું છે, જેમણે 1890ના દાયકામાં ગણેશ ચતુર્થીને પારિવારિક પૂજામાંથી સાર્વજનિક તહેવારમાં પરિવર્તિત કરી હતી.

પોતાની વિશેષ થીમ માટે જાણીતા આ મંડળની આ વર્ષની ઉજવણી દક્ષિણ ભારતીય મંદિર વાસ્તુશિલ્પની ભવ્યતાથી પ્રેરિત છે. આ પ્રતિમા તિરુમાલા તિરુપતિના ભગવાન વેંકટેશ્વર બાલાજીની થીમ પર આધારિત છે, જેમાં ગરુડ, કીર્તિમુખ, શંખ, ચક્ર અને કપૂરના તિલક જેવા પરંપરાગત પવિત્ર પ્રતીકો જોવા મળે છે. ભવ્ય પંડળ હૈદરાબાદ અને ભુવનગિરીના શ્રી વેંકટેશ્વર મંદિર (સ્વર્ણગિરી) ની વાસ્તુશિલ્પની ભવ્યતાને રજૂ કરે છે, જેમાં વિશાળ ગોપુરમ, પવિત્ર દીપસ્તંભ અને કંડારેલી વાયલી/વ્યાલ રક્ષક આકૃતિઓનો સમાવેશ થાય છે.
શરૂઆતના દિવસોમાં મિલ કામદારો આ ઉત્સવનો એક મહત્ત્વપૂર્ણ હિસ્સા હતા. વર્ષ 1982ની મિલ હડતાળ અને ત્યારપછીના શહેરી પરિવર્તનો છતાં, ચિંચપોકલી ચા ચિંતામણી તેના વિસ્તારમાં એક સાંસ્કૃતિક આધારસ્તંભ બનીને રહી છે. લગભગ 5,000 યોગદાનકર્તાઓ સાથે, ચિંચપોકલી સાર્વજનિક ઉત્સવ મંડળે ગણેશોત્સવથી આગળ વધીને સ્વાસ્થ્ય અને શિક્ષણ પહેલ દ્વારા સમુદાયોની સેવા કરી છે.
વર્ષ 1939થી આ ઉત્સવ ચિંચપોકલી રેલવે સ્ટેશનની પૂર્વ બાજુએ ઉજવવામાં આવી રહ્યો છે.
ચિંચપોકલી સાર્વજનિક ઉત્સવ મંડળ આટલા વર્ષોથી ગણેશોત્સવનું આયોજન કરતું આવ્યું છે. આ સંસ્થાએ ગણેશોત્સવ ઉપરાંત રક્તદાન શિબિરો, આરોગ્ય પહેલ અને બાળકો માટેના કાર્યક્રમો જેવા સામાજિક કાર્યો પણ ચાલુ રાખ્યા છે. કોવિડ-19 મહામારી દરમિયાન મંડળે પોતાની સાર્વજનિક ઉજવણી મર્યાદિત રાખીને ટેસ્ટિંગ શિબિરો, તબીબી સહાય અને રક્તદાન ડ્રાઇવ જેવી આરોગ્ય સંબંધિત પ્રવૃત્તિઓનું આયોજન કર્યું હતું.
