હજારો કર્મચારીઓની લોટરી લાગી! જૂની પેન્શન યોજનાને લઈને સુપ્રીમ કોર્ટનો સનસનાટીપૂર્ણ નિર્ણય
ભારતની સર્વોચ્ચ અદાલતે તાજેતરમાં એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણય આપતાં સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ કર્મચારીએ લાંબા સમય સુધી સળંગ સેવા આપી હોય અને ત્યારબાદ તેને કાયમી (રેગ્યુલરાઇઝ) કરવામાં આવ્યો હોય, તો તેને માત્ર ટેકનિકલ કારણો કે વહીવટી ખામીઓ દર્શાવીને પેન્શનના લાભોથી વંચિત રાખી શકાય નહીં. અદાલતે ભારપૂર્વક જણાવ્યું છે કે પેન્શન એ સરકાર કે સંસ્થા દ્વારા આપવામાં આવતી કોઈ દયા, દાન કે બક્ષિસ નથી, પરંતુ કર્મચારી દ્વારા ભૂતકાળમાં આપેલી મહેનત અને સેવાનો એક હિસ્સો છે જેને રોકી શકાય નહીં.

જસ્ટિસ પ્રશાંત કુમાર મિશ્રા અને જસ્ટિસ શ્રી ચંદ્રશેખરની બેંચે આ મહત્વનો ચૂકાદો આપતા દેશભરના હજારો કોન્ટ્રાક્ટ, એડહોક અને દૈનિક વેતન (ડેઇલી વેજ) પર કામ કરતા કર્મચારીઓને મોટી રાહત આપી છે.
ટેકનિકલ અને કૃત્રિમ બ્રેકને ગણતરીમાં ન લેવા સ્પષ્ટ આદેશ
સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં વહીવટી તંત્ર દ્વારા ઊભા કરવામાં આવતા કૃત્રિમ અવરોધો સામે કડક વલણ અપનાવ્યું છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે:
સેવામાં બ્રેક માફ: કર્મચારીની સેવામાં આવેલા નોશનલ (કાલ્પનિક), કૃત્રિમ કે વહીવટી બ્રેક, તેમજ કોર્ટના કોઈ આદેશના કારણે પડેલા અસ્થાયી ભંગને ધ્યાને લીધા વિના તેમની સેવાને સળંગ જ ગણવી જોઈએ.
કાયમી થયા પહેલાની સેવાની ગણતરી: કાયમી થતા પહેલા કર્મચારીએ કોન્ટ્રાક્ટ, અસ્થાયી કે રોજમદાર તરીકે આપેલી સેવાને પણ પેન્શન માટેની ‘લાયકાત ધરાવતી સેવા’ (Qualifying Service) તરીકે ગણવામાં આવશે.
અદાલતે નોંધ્યું કે જ્યારે કોઈ કર્મચારી પોતાના જીવનના મહત્વના વર્ષો સંસ્થાને આપે છે, ત્યારે કાયમી થયા પછી ભૂતકાળની સેવાને નકારી કાઢવી એ ન્યાયના સિદ્ધાંતોની વિરુદ્ધ છે.
પંજાબ એન્ડ હરિયાણા હાઇકોર્ટના નિર્ણયને રાખ્યો બહાલ
આ સમગ્ર મામલો પંજાબ સ્કૂલ એજ્યુકેશન બોર્ડ અને તેના કર્મચારીઓ વચ્ચેનો હતો. બોર્ડે પોતાના કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ આપવાનો ઇનકાર કર્યો હતો. પંજાબ અને હરિયાણા હાઇકોર્ટે વર્ષ ૨૦૨૦માં કર્મચારીઓની તરફેણમાં ચુકાદો આપતાં કહ્યું હતું કે કાયમી થયા પહેલાની તેમની સેવાની ગણતરી કરીને તેમને જૂની પેન્શન યોજના (OPS) હેઠળ આવરી લેવા જોઈએ.
પંજાબ સ્કૂલ એજ્યુકેશન બોર્ડે આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. સુપ્રીમ કોર્ટે બોર્ડની આ અપીલને ફગાવી દેતા હાઇકોર્ટના ૨૦૨૦ના આદેશને સંપૂર્ણપણે યોગ્ય અને કાયદાકીય રીતે ધોરણસરનો ઠેરવ્યો છે. આ નિર્ણયથી બોર્ડના કર્મચારીઓને ૧ જાન્યુઆરી, ૨૦૦૪ પહેલાં સરકારી સેવામાં જોડાયેલા માનવામાં આવશે, જેથી તેઓ નવી અંશદાયી પેન્શન યોજનાને બદલે જૂની જનરલ પ્રોવિડન્ટ ફંડ (GPF) પેન્શન યોજના પસંદ કરવાનો વિકલ્પ મેળવી શકશે.

સમાનતાનો અધિકાર અને ભેદભાવનો અંત
સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન એ વાતની પણ ગંભીર નોંધ લીધી હતી કે આ જ બોર્ડ અથવા અન્ય સરકારી વિભાગોમાં સમાન પરિસ્થિતિ ધરાવતા અન્ય કર્મચારીઓને હાઇકોર્ટ દ્વારા અગાઉ જ આ લાભો આપી દેવામાં આવ્યા હતા.
અદાલતે અવલોકન કર્યું કે એક જ પ્રકારનું કામ અને સેવા ધરાવતા કર્મચારીઓમાંથી અમુકને લાભ આપવો અને બીજા વર્ગને માત્ર વહીવટી ટેકનિકલ બાબતો આગળ ધરીને લાભોથી વંચિત રાખવા એ સ્પષ્ટપણે સમાનતાના અધિકાર (Article 14) નું ઉલ્લંઘન છે અને તે ભેદભાવપૂર્ણ વલણ દર્શાવે છે.
બોર્ડના ટેકનિકલ વાંધાઓને અદાલતે ફગાવ્યા
સુપ્રીમ કોર્ટ સમક્ષ પંજાબ સ્કૂલ એજ્યુકેશન બોર્ડે રજૂઆત કરી હતી કે કર્મચારીઓએ કાયમી થવા માટે ટાઇપરાઇટિંગ ટેસ્ટ પાસ કરવી, એક વર્ષનો પ્રોબેશન પિરિયડ પૂરો કરવો કે મેડિકલ સર્ટિફિકેટ રજૂ કરવું જેવી શરતો પૂર્ણ કરી ન હતી.
જસ્ટિસ મિશ્રાની બેંચે આ દલીલોને ફગાવી દેતા જણાવ્યું હતું કે:
બોર્ડે ૨૦૦૧ની સરકારી નીતિને પોતાની જરૂરિયાતો મુજબ (‘mutatis mutandis’) સ્વીકારી હતી.
આ શરતો માત્ર સંસ્થાકીય પ્રક્રિયાનો ભાગ હતી, તેને કોઈ નવી જ સીધી ભરતી તરીકે ગણી શકાય નહીં.
અગાઉ કાયમી થવા માટે કરાયેલી કાનૂની કાર્યવાહી અને પેન્શન મેળવવા માટેની માંગણી – આ બંનેના કારણો અને રાહતો અલગ-અલગ છે, તેથી જૂના કેસના આધારે પેન્શનનો દાવો નકારી શકાય નહીં (Res Judicata નો સિદ્ધાંત અહીં લાગુ પડતો નથી).
લાંબા સમયથી સંઘર્ષ કરતા કર્મચારીઓ માટે આશાનું કિરણ
આ ચુકાદો માત્ર એક બોર્ડ પૂરતો મર્યાદિત ન રહેતાં દેશભરના સરકારી, અર્ધ-સરકારી અને સ્વાયત્ત સંસ્થાઓમાં વર્ષોથી અસ્થાયી ધોરણે કામ કરતા લાખો કર્મચારીઓ માટે એક વરદાન સાબિત થશે. અદાલતે ખૂબ જ માનવીય અને વ્યવહારુ અભિગમ અપનાવીને એ વાત પર મહોર મારી છે કે નિવૃત્તિ પછીનું જીવન સન્માનપૂર્વક જીવવાનો દરેક કર્મચારીને હક છે.
સેવા અવધિની ગણતરી કર્મચારીએ દોરેલા છેલ્લા પગાર અને કૂલ સેવા વર્ષોના આધારે જ થવી જોઈએ. સુપ્રીમ કોર્ટના આ સ્પષ્ટ વલણથી હવે સરકારી વિભાગો ટેકનિકલ ભૂલો કે કાગળ પરના કાલ્પનિક બ્રેકનો બહાનો બનાવીને કર્મચારીઓના હક્કના પેન્શનને રોકી શકશે નહીં.
