સાવધાન! હવે જન્મ કે મૃત્યુના સર્ટિફિકેટ માટે નહીં ચાલે સામાન્ય અરજી, સરકારે કડક કર્યો આ મોટો નિયમ!
ભારતમાં જન્મ અને મરણની નોંધણી સંબંધિત નિયમોમાં એક મોટો અને મહત્વપૂર્ણ ફેરફાર થવા જઈ રહ્યો છે. કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે ‘જનમ અને મરણ નોંધણી (સુધારા) અધિનિયમ, 2026’ના તમામ નવા પ્રવધાનો 1 ઓક્ટોબર, 2026થી દેશભરમાં લાગુ થઈ જશે. નવો કાયદો ખાસ કરીને એવા કિસ્સાઓ માટે પ્રક્રિયાને અત્યંત સખત બનાવે છે જ્યાં જન્મ કે મરણની નોંધણી કરાવવામાં વિલંબ થયો હોય. આ સુધારાનો મુખ્ય હેતુ લોકોને પોતાના પરિવારના મહત્વપૂર્ણ જીવન પ્રસંગોની સમયસર નોંધણી કરાવવા માટે પ્રોત્સાહિત કરવાનો અને પ્રક્રિયામાં થતા સંભવિત ગેરરીતિઓ અટકાવવાનો છે.

બબ્બે વર્ષથી વધુના વિલંબ માટે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટનો ઓર્ડર જરૂરી
નવા કાયદા હેઠળ સૌથી મોટો અને કડક ફેરફાર એ કરવામાં આવ્યો છે કે જો કોઈ વ્યક્તિના જન્મ અથવા મૃત્યુની નોંધણી કરાવવામાં 2 વર્ષથી વધુ સમયનો વિલંબ થાય છે, તો હવે સામાન્ય વહીવટી પ્રક્રિયા દ્વારા નોંધણી થઈ શકશે નહીં. તેના માટે સંબંધિત વિસ્તારના ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ (Judicial Magistrate First Class) તરફથી સત્તાવાર આદેશ મેળવવો ફરજિયાત બનશે.
ભારતના રજિસ્ટ્રાર જનરલ મૃત્યુજંય કુમાર નારાયણે આ અંગે માહિતી આપતા એક ગેઝેટ નોટિફિકેશન બહાર પાડ્યું છે. નોટિફિકેશનમાં જણાવાયું છે કે કેન્દ્ર સરકારે આ અધિનિયમની કલમ 1 ની ઉપ-કલમ (2) હેઠળ મળેલી સત્તાઓનો ઉપયોગ કરીને 1 ઓક્ટોબર, 2026ની તારીખ નક્કી કરી છે. આ સુધારા દ્વારા 1969ના મૂળ કાયદાની કલમ 13(3)માં (જેમાં 2023માં પણ સુધારો કરાયો હતો) ફેરફાર કરવામાં આવ્યો છે, જેથી વિલંબિત નોંધણીના કિસ્સામાં ન્યાયિક ચકાસણી અને મંજૂરી મેળવવી અનિવાર્ય બની રહે.
વર્ષથી બે વર્ષ વચ્ચેના વિલંબ માટે શું છે નિયમ?
જો કોઈ જન્મ કે મૃત્યુની ઘટના નોંધાવવામાં 1 વર્ષથી વધુ પરંતુ 2 વર્ષથી ઓછો સમય થયો હોય, તો તેના માટે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ પાસે જવાની જરૂર રહેશે નહીં. આવા કિસ્સાઓમાં જિલ્લા મેજિસ્ટ્રેટ (DM), સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ (SDM) અથવા સરકાર દ્વારા અધિકૃત કરવામાં આવેલા એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટના આદેશથી નોંધણી થઈ શકશે.
આમ, સરકારે વિલંબના સમયગાળા મુજબ સત્તાઓનું વિભાજન કર્યું છે:
1 વર્ષ સુધીનો વિલંબ: નિયત પ્રક્રિયા અને વિલંબિત ફી સાથે રજિસ્ટ્રાર સ્તરે.
1 થી 2 વર્ષનો વિલંબ: SDM, DM કે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટના આદેશથી.
2 વર્ષથી વધુનો વિલંબ: પ્રથમ વર્ગના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટના કોર્ટ ઓર્ડરથી.
ઘટનાની સત્યતા ચકાસવી અધિકારીઓ માટે ફરજિયાત
નવા કાયદાની જોગવાઈ અનુસાર, વિલંબિત અરજીઓ પર માત્ર કાગળો જોઈને મંજૂરી આપવામાં આવશે નહીં. સંબંધિત રજિસ્ટ્રાર અને સક્ષમ અધિકારીઓએ નોંધણીની પ્રક્રિયા આગળ વધારતા પહેલા અથવા મંજૂરી આપતા પહેલા ઘટનાની સત્યતાની પૂરેપૂરી ચકાસણી કરવી પડશે. નિયત ફી ભર્યા બાદ અને ઘટના ખરેખર બની છે તેની સંપૂર્ણ ખાતરી થયા પછી જ રેકોર્ડમાં નોંધ કરવામાં આવશે. બે વર્ષથી વધુ જૂના કિસ્સાઓમાં અદાલત પણ પોતાની સ્તરે પુરાવાઓની ચકાસણી કરશે, જેથી બોગસ પ્રમાણપત્રો બનાવવાની શક્યતા નહિવત થઈ જાય.

કાયદાનું મહત્વ અને કાનૂની ઓળખ
ભારતમાં જન્મ અને મરણની નોંધણી 1969ના કાયદા હેઠળ અત્યંત મહત્વપૂર્ણ અને ફરજિયાત પ્રક્રિયા છે. જન્મ અને મૃત્યુના પ્રમાણપત્રો માત્ર સત્તાવાર આંકડા માટે નથી, પરંતુ તે દરેક નાગરિક માટે કાનૂની ઓળખનો પ્રાથમિક આધાર પૂરો પાડે છે.
શાળામાં પ્રવેશ મેળવવો, પાસપોર્ટ બનાવવો, સરકારી યોજનાઓનો લાભ લેવો, મિલકતમાં હક દાવો કરવો કે વીમાની રકમ મેળવવી – આ તમામ બાબતોમાં જન્મ અને મરણનું પ્રમાણપત્ર એદાલતમાં પણ પુરાવા તરીકે માન્ય ગણાય છે. વર્ષ 2023માં પણ આ કાયદામાં ડિજિટલાઇઝેશન અને પ્રક્રિયાને સરળ બનાવવા માટે સુધારા કરવામાં આવ્યા હતા, જે 1 ઓક્ટોબર 2023થી લાગુ થયા હતા. હવે 2026ના આ નવા સુધારાથી કાયદાકીય માળખું વધુ સુરક્ષિત અને ચોક્કસ બનશે.
સમયસર નોંધણી કરાવવી શા માટે જરૂરી?
સરકારનો સ્પષ્ટ ઉદ્દેશ્ય એ છે કે લોકો ઘટના બન્યાના તુરંત બાદ તેની નોંધણી કરાવવાની ટેવ પાડે. જો જન્મ કે મૃત્યુ થતાં જ તેની જાણ સ્થાનિક રજિસ્ટ્રાર (જેમ કે ગ્રામ પંચાયત, નગરપાલિકા કે મહાનગરપાલિકા)ને કરી દેવામાં આવે, તો નાગરિકોએ કોઈ પણ પ્રકારના મેજિસ્ટ્રેટના ચક્કર કાપવા પડશે નહીં કે વધારાનો ખર્ચ અને કાનૂની ગુંચવણ ભોગવવી પડશે નહીં. 1 ઓક્ટોબર, 2026થી આ નવો નિયમ અમલી બની રહ્યો હોવાથી નાગરિકો માટે પોતાના પરિવારના જૂના પેન્ડિંગ કિસ્સાઓની નોંધણી વહેલી તકે કરાવી લેવી હિતાવહ રહેશે.
