ઝોઝ ગામના કરસનભાઈ સલાટની અનોખી હસ્તકળા, પથ્થરના સાધનોને નવી ઓળખ
છોટાઉદેપુરના આદિવાસી બહુલ વિસ્તારોમાં લોકો આજે પણ પથ્થરમાં વાટેલું, ફૂટેલું અને દળેલું અનાજ ઉપયોગમાં લે છે. તેમની માન્યતા મુજબ પથ્થરમાં બનાવેલો ખોરાક વધુ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ રહે છે. આ પ્રાચીન પ્રથાના કારણે સલાટ સમુદાય દ્વારા બનાવાતા પથ્થરના સાધનોની આજે પણ ભારે માંગ જોવા મળે છે. ખાસ કરીને પોળ, ખલ તથા અન્ય માટીના વાંસણો હજી પણ અનેક ગામોમાં જરૂરી ઘરગથ્થુ વસ્તુ તરીકે વપરાય છે.
સ્થાનિક હાટ બજારમાં પથ્થરના સાધનોની તેજ માંગ
આદિવાસી વિસ્તારોમાં દર અઠવાડિયે અલગ–અલગ ગામોમાં હાટ બજાર ભરાય છે, જ્યાં ગ્રામ્યજનો પોતાની રોજિંદી જરૂરિયાતોની ખરીદી કરવા આવે છે. આ બજારમાં ખેતીનાં ઓજારો, વાસણો, હાથથી બનાવેલા દોરડા, ટોપલા અને મરી–મસાલા જેવી વસ્તુઓ સાથે પથ્થરમાંથી બનતા પોળ–ખલની ખાસ માંગ રહે છે. હાટ બજારનું આ જીવંત સ્વરૂપ ‘લોકલ ફોર વોકલ’ના વિચારને ગામડાંમાં મજબૂત રીતે ટકાવી રાખે છે.
ઝોઝ ગામના કરસનભાઈ સલાટ: અંતિમ રહી ગયેલા કુશળ કારીગરોમાંથી એક
ઝોઝ ગામના કરસનભાઈ સલાટ પેઢીઓથી મળેલી પથ્થર કળાને આજ સુધી જાળવી રાખી કામ કરે છે. તેઓ નિહાત્રો, પોળ, ખલ અને ઘંટી જેવી વસ્તુઓ સંપૂર્ણ હસ્તકૌશલ્યથી તૈયાર કરે છે. યોગ્ય પથ્થર પસંદ કરવાથી લઈને તેને આકાર આપવામાં તેમની કુશળતા મુખ્ય માનવામાં આવે છે. તેઓ છોટાઉદેપુર અને મહીસાગર વિસ્તારમાંથી ખાસ પથ્થર લાવે છે અને ત્યારબાદ તેની સૂક્ષ્મ કારીગરી કરીને સાધન તૈયાર કરે છે. કરસનભાઈ હાટ બજારમાં વેચાણ કરે છે તેમજ જરૂર પડે ત્યારે ગામોમાં જઈને જૂના પોળ–ખલને પણ ટાકી આપી મરામત કરે છે.
પોળ–ખલની ઉપયોગિતા અને ઘરના રસોઈમાં આજે પણ તેનું મહત્વ
જ્યાં શહેરોમાં પેકેટ મસાલા અને મશીનથી વટાવવામાં આવેલ દાળનો ઉપયોગ વધી રહ્યો છે, ત્યાં આદિવાસી વિસ્તારોમાં પોળમાં વાટેલો મસાલો આજે પણ વિશેષ સ્વાદ આપે છે. તહેવારો દરમિયાન, ખાસ કરીને ઢેબરા અને અન્ય વાનગીઓ બનાવતી વખતે પોળની માંગ વધુ રહે છે. કરસનભાઈ કહે છે કે આ પરંપરાનું મુલ્ય આજે પણ અખંડ છે, કારણ કે પોળમાં વાટેલો મસાલો અને દાળ લોકોનાં મનમાં અલગ સ્થાન ધરાવે છે. આ પરંપરા અને હસ્તકૌશલ્ય આજના સમયમાં પણ સ્થાનિક સંસ્કૃતિને જીવંત રાખે છે.

