શાળા સમય દરમિયાન ટ્યુશનનો ધંધો? ઉદગમ સ્કૂલ સામે ગંભીર આક્ષેપ
અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલી ઉદગમ સ્કૂલ ફરી એકવાર વિવાદના કેન્દ્રમાં આવી છે. NSUIના પ્રવક્તા સુધીર રાવલે કરેલા સ્ટિંગ ઓપરેશન બાદ શાળાની શિક્ષણ પ્રણાલી અને વ્યવસ્થાપન પર ગંભીર સવાલો ઉઠ્યા છે. આ ખુલાસામાં શાળા પરિસરને શિક્ષણ કરતા વધુ વેપારનું કેન્દ્ર બનાવવામાં આવ્યું હોવાના આક્ષેપો થયા છે. નિયમો મુજબ શાળામાં ઘંધાકીય પ્રવૃત્તિ પર પ્રતિબંધ હોવા છતાં, ખુલ્લેઆમ શિક્ષણનો વેપાર ચાલી રહ્યો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
શાળા કે ટ્યુશન ક્લાસ? ઉઠતી ગંભીર ચર્ચા
ઉદગમ સ્કૂલમાં શાળા દરમિયાન જ ટ્યુશન ક્લાસ ચલાવાતા હોવાની ચર્ચાએ વેગ પકડ્યો છે. કી સ્ટોન ટ્યુશન ક્લાસીસની ઓફિસમાં કરવામાં આવેલા સ્ટિંગ ઓપરેશનમાં શાળાના વહીવટ સાથે જોડાયેલા લોકો સામે આવ્યા છે. ઉદગમ સ્કૂલની ફી લગભગ એક લાખ રૂપિયા જ્યારે કી સ્ટોન ટ્યુશનની ફી 90 હજાર રૂપિયા લેવામાં આવે છે. બંને સંસ્થાઓને મળીને “UK બેંચ” નામ આપવામાં આવ્યું હોવાનો ખુલાસો થયો છે.
સ્કૂલ સમય દરમિયાન જ ટ્યુશન ચાલ્યાના આરોપ
આક્ષેપ મુજબ, શાળા સમય દરમિયાન જ ઉદગમ સ્કૂલના કેમ્પસમાં ટ્યુશન ક્લાસ ધમધમતા રહે છે. બેરોકટોક રીતે વિદ્યાર્થીઓને ટ્યુશનમાં મોકલવામાં આવે છે, જેથી શિક્ષણ અને વ્યવસાય વચ્ચેની રેખા ભૂંસાતી જાય છે. ચર્ચા છે કે શાળા સંચાલકોને શિક્ષણ વિભાગના કેટલાક ઉચ્ચ અધિકારીઓનો આશરો મળતો હોવાના કારણે કાર્યવાહી થતી નથી. આ મુદ્દે વાલીઓ અને સ્થાનિકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.
અગાઉ પણ વિવાદોમાં રહી છે ઉદગમ સ્કૂલ
ઉદગમ સ્કૂલ અગાઉ પણ અનેક વિવાદોમાં રહી ચૂકી છે. ભૂતકાળમાં કી સ્ટોન ટ્યુશન ક્લાસ બાબતે DEO કચેરી દ્વારા નોટિસ આપવામાં આવી હતી, છતાં ટ્યુશનનો ધંધો યથાવત ચાલતો રહ્યો હતો. થોડા સમય પહેલા શાળાએ વિદ્યાર્થીઓને ચોક્કસ બ્રાન્ડના મોંઘા શૂઝ ખરીદવા ફરજિયાત કર્યા હોવાનો પણ વિવાદ થયો હતો. શાળાની વેબસાઈટ પર નિશ્ચિત બ્રાન્ડના નામ મૂકવામાં આવ્યા હતા.
યુનિફોર્મ અને સામગ્રીમાં પણ નફાખોરીના આક્ષેપ
માત્ર શૂઝ જ નહીં, પરંતુ યુનિફોર્મ અને અન્ય સામગ્રીમાં પણ નફાખોરી થતી હોવાના આક્ષેપ થયા છે. વિદ્યાર્થીઓને ચોક્કસ પાંચ દુકાનોમાંથી જ યુનિફોર્મ ખરીદવા સૂચના આપવામાં આવી હતી. સ્થાનિકોનો આરોપ છે કે મોંઘી ફી લેતી સ્કૂલો શિક્ષણના નામે વેપાર કરી રહી છે. આ તમામ ઘટનાઓ બાદ સવાલ ઉઠે છે કે ઉદગમ સ્કૂલ શિક્ષણનું કેન્દ્ર છે કે પછી રૂપિયા કમાવાની હાટડી?
શિક્ષણ વ્યવસ્થાની વિશ્વસનીયતા પર સવાલ
આ સમગ્ર મામલાએ ખાનગી શાળાઓની કાર્યપ્રણાલી પર મોટો પ્રશ્નચિહ્ન ઊભો કર્યો છે. વાલીઓ અને શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો યોગ્ય તપાસ અને કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે. જો આક્ષેપો સાચા સાબિત થાય તો શિક્ષણને વેપાર બનાવતી પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી થવી જરૂરી છે, જેથી વિદ્યાર્થીઓનું ભવિષ્ય સુરક્ષિત રહી શકે.

