કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી આવતી કાલે ગુરૂવારે 10મી ઓક્ટોબરે સૂરતની એક કોર્ટમાં હાજર થઇ શકશે કે કેમ એવી અટકળો વહેતી થઇ હતી. બબ્બે ત્રણ ત્રણ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી છે ત્યારે વિદેશ પ્રવાસે ઊપડી ગયેલા રાહુલ ગાંધી સામે બદનામીના થયેલા એક કેસની સુનાવણી ગુરૂવારે નીકળવાની છે.
લોકસભાની ચૂંટણી વખતે રાહુલ ગાંધીએ એક સભામાં એવી ટકોર કરી હતી કે નીરવ મોદી, લલિત મોદી, નરેન્દ્ર મોદી…બધા ચોર લોકોની અટક મોદી કેમ હોય છે ? એમના આ વિધાન સામે એક અરજી કોર્ટમાં કરવામાં આવી હતી અને આ વિધાન સમગ્ર મોદી સમાજનું અપમાન કરે છે એવી ફરિયાદ નોંધાવવામાં આવી હતી. કોર્ટે ગુરૂવાર દસમી ઓક્ટોબરે સુનાવણી કરવાની તારીખ આપી હતી. આવતી કાલે રાહુલ ગાંધીનો કેાર્ટમાં હાજર થવાનું સમન્સ બજાવવામાં આવ્યું હતું.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું હતું કે એરપોર્ટથી છેક કોર્ટના ગેટ સુધી રાહુલજીનું ભવ્ય સ્વાગત કો્ગ્રેસી કાર્યકરો કરશે. અમે એમના બોડીગાર્ડઝ્ની જેમ સતત તેમની સાથે રહીશું.
ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ બી એચ કાપડિયાએ ચાલુ વર્ષના મે માસમાં આ સમન્સ રિલિઝ કર્યુ હતું. ભારતીય ફોજદારી ધારાની 499 અને 500મી કલમ હેઠળ આ કેસ નોંધવામાં આવ્યો હતો. જુલાઇમાં થયેલી સુનાવણી વખતે કોર્ટે રાહુલ ગાંધીને સુનાવણીમાં સદેહે હાજર થવામાંથી મુક્તિ આપી હતી. પરંતુ આવતી કાલે 10મી ઓક્ટોબરે તેમણે કોર્ટમાં હાજર થવું પડશે.