30 લાખ ફૂલો સાથે અમદાવાદમાં યોજાશે ભારતનો સૌથી મોટો ફ્લાવર શો
અમદાવાદમાં 14મો ઇન્ટરનેશનલ ફ્લાવર શો યોજાવા જઈ રહ્યો છે, જે નવા વર્ષ 2026ની શરૂઆતને ખાસ બનાવશે. “ભારત એક ગાથા” થીમ હેઠળ આ ફ્લાવર શો 1 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી 2026 સુધી આયોજિત કરવામાં આવશે. આ વર્ષે શોને વધુ આકર્ષક બનાવવા માટે છ અલગ અલગ થીમ આધારિત ઝોન તૈયાર કરાયા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ફ્લાવર શોનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવશે.
છ અનોખી થીમમાં રજૂ થશે ભારતની વૈવિધ્યતા
ફ્લાવર શોમાં ભારતના તહેવારો, ભારતીય નૃત્યો, પ્રાચીન કથાઓ, ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ, બાળકોનું ભારત અને ભારતની સિદ્ધિઓ જેવી થીમ રજૂ કરવામાં આવશે. દરેક ઝોનમાં ફૂલો દ્વારા ભારતની સંસ્કૃતિ અને ઇતિહાસને કલાત્મક રીતે રજૂ કરવામાં આવશે. દર્શકોને એક જ સ્થળે ભારતની વિવિધ ઝાંખી જોવા મળશે.
શાશ્વત ભારત ઝોન અને વિશેષ આકર્ષણ
ભારતની પૌરાણિક ધરોહરને દર્શાવતો “શાશ્વત ભારત” ઝોન ફ્લાવર શોનું મુખ્ય આકર્ષણ બનશે. અહીં 30 મીટર વ્યાસનું ભવ્ય ફૂલ મંડળ તૈયાર કરાશે. સાથે જ સરદાર વલ્લભભાઈ પટેલનું વિશ્વનું સૌથી મોટું ફૂલચિત્ર પણ રજૂ કરવામાં આવશે. સ્ત્રી સશક્તિકરણની થીમ પર તૈયાર કરાયેલા વિશેષ સ્કલ્પચરનું અનાવરણ પણ મુખ્યમંત્રી કરશે.
ટિકિટના દરમાં વધારો, બાળકોને ખાસ રાહત
ફ્લાવર શો માટેના ટિકિટ દર જાહેર કરવામાં આવ્યા છે, જેમાં ગત વર્ષ કરતાં રૂ.10નો વધારો કરાયો છે. સોમવારથી શુક્રવાર સુધી 12 વર્ષથી ઉપરના દર્શકો માટે ટિકિટ દર રૂ.80 રહેશે. જ્યારે શનિવાર અને રવિવારે રૂ.100 ચૂકવવા પડશે. AMC સંચાલિત શાળાના વિદ્યાર્થીઓ માટે વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવશે.
પ્રાઈમ ટાઈમ અને વિશાળ ફૂલ ઉપયોગ
AMC સિવાયની શાળાના બાળકો માટે રૂ.10 ટિકિટ નક્કી કરાઈ છે. પ્રાઈમ ટાઈમ સ્લોટ સવારે 8થી 9 અને 10થી 11 દરમિયાન પ્રવેશ માટે રૂ.500 ટિકિટ રાખવામાં આવી છે. મનપા કમિશનર બંછાનિધિ પાનીના જણાવ્યા મુજબ આ વર્ષે પ્રથમવાર સંપૂર્ણ થીમ આધારિત ફ્લાવર શો યોજાશે. અંદાજે 30 લાખ ફૂલોનો ઉપયોગ કરીને આ શોને ભારતનો સૌથી મોટો ફ્લાવર શો બનાવવામાં આવશે.

