પ્રાકૃતિક ખેતી કરવા અંગે થતા વિવિધ ફાયદા અંગે શિક્ષકોને વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું
માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૦૧ જાન્યુઆરી
વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં બ્લોક રિસોર્સ સેન્ટર ખાતે શિક્ષકો માટે પ્રાકૃતિક ખેતીની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શિક્ષકોને પ્રાકૃતિક ખેતીના ફાયદાઓ અને તેને અપનાવવાની રીતો વિશે માહિતી આપવામાં આવી હતી.
આ તાલીમમાં વલસાડ જિલ્લાના આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર ધીરેન એન. પટેલે શિક્ષકોને પ્રાકૃતિક ખેતીના વિવિધ પાસાઓ વિશે વિગતવાર માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતી એ એક એવી પદ્ધતિ છે જેમાં રાસાયણિક ખાતરો અને દવાઓનો ઉપયોગ કર્યા વિના ખેતી કરવામાં આવે છે. આ પદ્ધતિમાં કુદરતી પદ્ધતિઓનો ઉપયોગ કરીને જમીનની ગુણવત્તા સુધારવામાં આવે છે અને પર્યાવરણને પણ લાભ થાય છે. તાલીમમાં શિક્ષકોને પ્રાકૃતિક ખેતીના ફાયદાઓ વિશે પણ માહિતી આપવામાં આવી હતી, જેમ કે, જમીનની ગુણવત્તા સુધારવી, પર્યાવરણનું રક્ષણ કરવું, સ્વાસ્થ્યસભર ખાદ્ય ઉત્પાદન અને ખેતીના ખર્ચમાં ઘટાડો કરવો અંગે સમજણ આપી હતી.
આ તાલીમથી શિક્ષકોને પ્રાકૃતિક ખેતીના મહત્વ વિશે જાણવામાં મદદ મળી હતી અને તેઓ તેમના વિદ્યાર્થીઓને પણ આ વિશે જાણકારી આપી શકશે. જેથી નવી પેઢીના યુવાધનમાં પ્રાકૃતિક ખેતીની બીજ રોપાય તે માટે આત્મા પ્રોજેક્ટ દ્વારા શિક્ષકો માટે આ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.
