પ્રાકૃતિક ખેતી અને પશુપાલન પર રાજ્યપાલશ્રીનું માર્ગદર્શન
ભાવનગર જિલ્લાના હણોલ ગામે ‘આત્મનિર્ભર હણોલ મહોત્સવ’ અંતર્ગત યોજાયેલી રાત્રી સભામાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગ્રામજનોમાં નવા ઉત્સાહનો સંચાર કર્યો હતો. રાજ્યપાલશ્રીએ હણોલ ગામની એકતા અને સ્વચ્છતાની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની ગ્રામ ઉત્થાનની સંકલ્પનાને આ ગામે ખરા અર્થમાં ચરિતાર્થ કરી છે. તેમણે ગ્રામજનોને વૃક્ષારોપણ, નશામુક્તિ અને સામાજિક સમરસતાના શપથ લેવા આહ્વાન કર્યું હતું. આ સભામાં હણોલના સર્વાંગી વિકાસ માટે જનભાગીદારીનું મોડેલ અન્ય ગામો માટે પ્રેરણારૂપ હોવાનું તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું.
પશુપાલન અને ખેતીમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ
રાજ્યપાલશ્રીએ પશુપાલકોને સંબોધતા ગાયોની ઓલાદ સુધારવા માટે વૈજ્ઞાનિક અભિગમ અપનાવવા અનુરોધ કર્યો હતો. તેમણે ‘સેક્સ સોર્ટેડ સીમન’ પદ્ધતિ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે માત્ર ૫૦ રૂપિયાના નજીવા ખર્ચે ગાય વાછરડીને જ જન્મ આપે તે ટેકનોલોજીનો લાભ પશુપાલકોએ લેવો જોઈએ. આ પદ્ધતિથી પશુપાલકોની આવક વધશે અને દૂધ ઉત્પાદનમાં મોટો ઉછાળો આવશે. વધુમાં, પ્રાકૃતિક ખેતી દ્વારા ઝેરમુક્ત અને પૌષ્ટિક આહાર પકવીને નવી પેઢીને તંદુરસ્ત બનાવવાનો સંદેશ પણ તેમણે આપ્યો હતો.
દલિત અગ્રણીના ઘરે ભોજન લઈ મહેકાવી માનવતા
રાત્રી સભા પૂર્ણ થયા બાદ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાએ સામાજિક સમરસતાનું પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું હતું. તેઓ અનુસૂચિત જાતિના અગ્રણી બાબુભાઈ સોલંકીના ઘરે પહોંચ્યા હતા અને અત્યંત સાદગીપૂર્વક જમીન પર બેસીને દેશી ભોજનનો આનંદ માણ્યો હતો. રાજ્યપાલશ્રીએ બાજરાનો રોટલો, દૂધ અને મિક્સ શાકનું ભોજન ગ્રહણ કરી પરિવારના બાળકો સાથે વડીલની જેમ સંવાદ કર્યો હતો અને તેમને ઉચ્ચ અભ્યાસ કરી દેશનું નામ રોશન કરવા પ્રોત્સાહિત કર્યા હતા.
મહાનુભાવોની ઉપસ્થિતિમાં વિકાસની ચર્ચા
આ ઐતિહાસિક રાત્રી સભામાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા, પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. કલેક્ટર ડૉ. મનીષ કુમાર બંસલ અને જિલ્લા વિકાસ અધિકારી હનુલ ચૌધરીએ ગામમાં ચાલી રહેલા વિવિધ વિકાસકામોની સમીક્ષા કરી હતી. હણોલ ગામના આત્મનિર્ભર મોડેલને રાજ્યભરમાં પ્રચલિત કરવા માટે રાજ્યપાલશ્રીએ માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે ગ્રામજનોએ પણ હર્ષોલ્લાસ સાથે રાજ્યપાલશ્રીનું સ્વાગત કર્યું હતું અને ગામને વધુ આધુનિક બનાવવાનો કોલ આપ્યો હતો.


