રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી પ્રભાત ફેરી, વૃક્ષારોપણ અને ગૌસેવાથી ગ્રામજનો સાથે જોડાયા
ભાવનગર જિલ્લાના પાલીતાણાના હણોલ ગામે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સાદગીની અનોખી મિસાલ પેશ કરી છે. તેમણે કોઈ વૈભવી સુવિધાને બદલે ગામની સરકારી પ્રાથમિક શાળામાં રાત્રી રોકાણ કરી ગ્રામ્ય જીવન પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કર્યો હતો. વહેલી સવારે તેઓ ગ્રામજનો સાથે પ્રભાત ફેરીમાં જોડાયા હતા અને ‘સ્વચ્છતા અભિયાન’ અંતર્ગત જાતે ઝાડૂ લઈ ગામની સફાઈ કરી હતી. આ સાથે જ તેમણે ‘એક પેડ માં કે નામ’ અંતર્ગત વૃક્ષારોપણ અને ગૌસેવા કરી પર્યાવરણ અને પશુપાલનનું મહત્વ સમજાવ્યું હતું.
પ્રાકૃતિક ખેતી એ સૂક્ષ્મ જીવાણુંઓની ખેતી
રાજ્યપાલશ્રીએ નવાગામના ખેડૂત ઘનશ્યામભાઈ ધામેલીયાના ફાર્મની મુલાકાત લઈ ખેડૂતો અને કૃષિ સખીઓ સાથે આત્મીય સંવાદ કર્યો હતો. તેમણે વૈજ્ઞાનિક સમજ આપતા જણાવ્યું કે પ્રાકૃતિક ખેતી એ ખરેખર સૂક્ષ્મ જીવાણુંઓની ખેતી છે. તેમણે ખેડૂતોને સલાહ આપી કે જીવામૃત હંમેશા છાંયડામાં બનાવવું જોઈએ જેથી બેક્ટેરિયા સક્રિય રહે. જંગલનું ઉદાહરણ આપતા તેમણે ઉમેર્યું કે જો ખાતર વિના જંગલો લીલાછમ રહી શકતા હોય, તો ખેતરોમાં પણ પ્રાકૃતિક પદ્ધતિથી ઉત્તમ પાક મેળવી શકાય છે.
જમીનની ફળદ્રુપતા માટે ઘન જીવામૃતનો મંત્ર
પ્રાકૃતિક ખેતીના વિસ્તરણ માટે રાજ્યપાલશ્રીએ ‘મલ્ચિંગ’ અને ‘મલ્ટીક્રોપ’ પદ્ધતિ પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે શરૂઆતમાં એક એકર જમીનમાં ઓછામાં ઓછું બે ટન ઘન જીવામૃત આપવાથી ઉત્પાદન ઘટવાને બદલે વધશે અને બંજર જમીન પણ ફળદ્રુપ બનશે. જીવાત નિયંત્રણ માટે તેમણે અગ્નિઅસ્ત્ર, નીમાસ્ત્ર અને ખાટી છાશ જેવા દેશી ઉપચારો અપનાવવા સૂચન કર્યું હતું. તેમના મતે આ પદ્ધતિથી જમીનનો ઓર્ગેનિક કાર્બન વધે છે અને ખેતી લાંબા સમય સુધી જીવંત રહે છે.
ભવિષ્ય પ્રાકૃતિક ખેતીનું છે: સરકાર આપશે વિશેષ સહાય
કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવીયાની ઉપસ્થિતિમાં રાજ્યપાલશ્રીએ જાહેરાત કરી કે સતત ત્રણ વર્ષ સુધી પ્રાકૃતિક ખેતી કરનાર ખેડૂતોને સરકાર તરફથી વિશેષ સહાય આપવામાં આવશે. તેમણે તાલુકા કક્ષાએ પ્રાકૃતિક પેદાશોના વેચાણ માટે અલગ બજાર વ્યવસ્થા ઉભી કરવા પર પણ ભાર મૂક્યો હતો. પંચસ્તરીય પ્રાકૃતિક ખેતીને અત્યંત અસરકારક ગણાવી તેમણે ખેડૂતોને ઈમાનદારીપૂર્વક આ માર્ગે વળવા આહ્વાન કર્યું હતું, જેથી આવનારી પેઢીને તંદુરસ્ત અને ઝેરમુક્ત આહાર મળી રહે.


