વલસાડના મોગરાવાડી પોલીસ હેડક્વાર્ટર ખાતે તા. ૨૯ થી ૩૧ જાન્યુઆરી સુધી પ્રધાનમંત્રી વિશ્વકર્મા ટ્રેડ ફેરનું આયોજન
સિલ્વાસા સ્થિત શાખા MSME ડેવલપમેન્ટ એન્ડ ફેસિલિટેશન ઓફિસ, MSME મંત્રાલય, ભારત સરકાર દ્વારા ડીઆઈસી વલસાડના સહયોગથી તા. ૨૯ થી ૩૧ જાન્યુઆરી, ૨૦૨૬ દરમિયાન તાલીમ ભવન, પોલીસ હેડક્વાર્ટર, મોગરાવાડી, વલસાડ ખાતે ત્રણ દિવસીય પ્રધાનમંત્રી વિશ્વકર્મા ટ્રેડ ફેર/એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. એક્ઝિબેશનના ઉદઘાટન પ્રસંગે વલસાડ પોલીસ અધિક્ષકશ્રી યુવરાજસિંહ જે. જાડેજા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમમાં જનરલ મેનેજર તથા સહાયક ઉદ્યોગ કમિશનરશ્રી વાય.ટી. પાવગઢી, શાખા MSME DFO સેલવાસના સહાયક નિયામકશ્રી પ્રવીણ દોઇફોડે તેમજ અને ડીઆઈસી વલસાડના સહાયક કમિશનર શ્રી એન.સી. ગાવિત ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉપરાંત શ્રી શક્તિ સિંહ (SSO), શ્રીમતી બિંદુશ્રી એમ., શાખા MSME DFO સેલવાસના સહાયક નિયામકશ્રી રામદેવ સુતાર(OS), તથા શ્રી ભાવિક પટેલ, ટેક્નિકલ આસિસ્ટન્ટ, ડિસ્ટ્રિક્ટ ઇન્ડસ્ટ્રીઝ સેન્ટર (DIC), વલસાડે આ કાર્યક્રમના આયોજનમાં મહત્વનો ભાગ ભજવ્યો છે.
આ ટ્રેડ ફેરનો મુખ્ય હેતુ પરંપરાગત કારીગરોને તેમના ઉત્પાદનો સીધા ગ્રાહકો સુધી વેચવાની તક પૂરી પાડવાનો, બજાર વિસ્તરણ સુલભ કરવાનો, આવક વધારવાના અવસરો ઊભા કરવાનો અને આર્થિક આત્મનિર્ભરતા મજબૂત બનાવવાનો છે. આ મેળા દ્વારા પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાના કારીગરોને તેમના ઉત્પાદનોના માર્કેટિંગ માટે મંચ, ગ્રાહકો સાથે સીધો સંપર્ક સ્થાપિત કરવાની તક મળશે તેમજ ઉદ્યમ નોંધણી પૂરી પાડી પરંપરાગત કારીગરોને મુખ્ય પ્રવાહમાં લાવવાનો પ્રયત્ન કરવામાં આવશે.
