હવે અમદાવાદથી ધોલેરા પહોંચાશે મિનિટોમાં! મોદી સરકારનો મોટો માસ્ટરપ્લાન, જાણો કેવી હશે આ ખાસ ટ્રેન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ બુધવારે એક ઐતિહાસિક નિર્ણય લેતા રેલ મંત્રાલયના અમદાવાદ (સરખેજ) – ધોલેરા સેમી હાઈ-સ્પીડ ડબલ લાઇન પ્રોજેક્ટને લીલી ઝંડી આપી દીધી છે. આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ પાછળ અંદાજે 20,667 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. આ પ્રોજેક્ટની સૌથી મોટી વિશેષતા એ છે કે તે સંપૂર્ણપણે ભારતમાં વિકસિત (સ્વદેશી) ટેકનોલોજી પર આધારિત હશે, જે ભારતીય રેલવેના ઇતિહાસમાં એક નવો અધ્યાય લખશે.
અમદાવાદ અને ધોલેરા વચ્ચેનું અંતર હવે મિનિટોમાં કપાશે
આ રેલવે લાઇન માત્ર બે શહેરોને જોડવાનું કામ નહીં કરે, પરંતુ તે ગુજરાતના આર્થિક વિકાસના નવા દ્વાર ખોલશે. આ પ્રોજેક્ટ દ્વારા અમદાવાદ, ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજન (SIR), નિર્માણાધીન ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટ અને લોથલ સ્થિત નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ (NMHC) વચ્ચે સુપરફાસ્ટ કનેક્ટિવિટી મળશે.
હાલમાં અમદાવાદથી ધોલેરા જવા માટે જે સમય લાગે છે, તેમાં આ ટ્રેન શરૂ થયા બાદ ધરખમ ઘટાડો થશે. મુસાફરો હવે સવારે અમદાવાદથી નીકળીને ધોલેરામાં પોતાનું કામ પતાવીને તે જ દિવસે આરામથી પરત ફરી શકશે. આ સુવિધાને કારણે રોજગાર માટે અવરજવર કરતા હજારો લોકોનું જીવન સરળ બનશે.
આત્મનિર્ભર ભારતનું નવું મોડેલ: સ્વદેશી ટેકનોલોજીનો ઉપયોગ
ભારત અત્યાર સુધી હાઈ-સ્પીડ ટેકનોલોજી માટે અન્ય દેશો પર નિર્ભર રહેતું હતું, પરંતુ આ પ્રોજેક્ટ ‘નવા ભારત’ની ઓળખ બનશે. વડાપ્રધાનના ‘આત્મનિર્ભર ભારત’ વિઝનને સાકાર કરતા આ પ્રોજેક્ટમાં સ્વદેશી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. આ રેલવે લાઇન સમગ્ર દેશમાં ભવિષ્યમાં બનનારા સેમી હાઈ-સ્પીડ પ્રોજેક્ટ્સ માટે એક ‘રેફરન્સ મોડેલ’ તરીકે કામ કરશે, જેના આધારે દેશના અન્ય ભાગોમાં પણ રેલવે નેટવર્કનું આધુનિકીકરણ કરવામાં આવશે.
પીએમ ગતિ શક્તિ માસ્ટર પ્લાન: લોજિસ્ટિક્સમાં ક્રાંતિ
આ પ્રોજેક્ટનું આયોજન PM-ગતિ શક્તિ નેશનલ માસ્ટર પ્લાન હેઠળ કરવામાં આવ્યું છે. જેનો મુખ્ય ઉદ્દેશ્ય મલ્ટી-મોડલ કનેક્ટિવિટી અને લોજિસ્ટિક્સ ક્ષમતામાં વધારો કરવાનો છે. આ રેલવે લાઇન ઉદ્યોગો માટે માલસામાનની હેરફેરને ઝડપી અને સસ્તી બનાવશે. સીધી કનેક્ટિવિટી મળવાથી ભારતીય રેલવેની કાર્યક્ષમતા અને સેવાની વિશ્વસનીયતામાં પણ નોંધપાત્ર સુધારો થશે. આ વિસ્તારમાં રહેતા લોકો માટે રોજગાર અને સ્વ-રોજગારની નવી તકો ઊભી થશે, જે સમગ્ર ક્ષેત્રના આર્થિક ઉત્થાનમાં મદદરૂપ થશે.
5 લાખ લોકો અને 284 ગામોને સીધો ફાયદો
આ પ્રોજેક્ટની ભૌગોલિક પહોંચની વાત કરીએ તો, તે અમદાવાદ જિલ્લાના મોટા વિસ્તારને આવરી લેશે. આ નવી રેલવે લાઇન ભારતીય રેલવેના હાલના નેટવર્કમાં આશરે 134 કિલોમીટરનો વધારો કરશે. આ પ્રોજેક્ટથી અમદાવાદ જિલ્લાના આશરે 284 ગામોની કનેક્ટિવિટી સુધરશે. આ આખા પટ્ટામાં વસતી આશરે 5 લાખ લોકોની વસ્તીને આ આધુનિક પરિવહન સેવાનો સીધો લાભ મળશે.
પર્યાવરણની રક્ષા: 10 લાખ વૃક્ષો વાવવા જેટલો ફાયદો
રેલવે એ પરિવહનનું સૌથી પર્યાવરણ અનુકૂળ સાધન છે. આ પ્રોજેક્ટ ભારતને તેના આબોહવા લક્ષ્યાંકો હાંસલ કરવામાં મોટી મદદ કરશે. આ પ્રોજેક્ટના અમલીકરણથી પર્યાવરણને જે ફાયદા થશે તે આશ્ચર્યજનક છે:
-
તેલની બચત: દર વર્ષે અંદાજે 0.48 કરોડ લિટર તેલની આયાતમાં ઘટાડો થશે.
-
કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો: CO2 ઉત્સર્જનમાં અંદાજે 2 કરોડ કિલોગ્રામનો ઘટાડો થશે. આ પર્યાવરણીય ફાયદો આશરે 10 લાખ વૃક્ષો વાવવા બરાબર માનવામાં આવે છે. આમ, આ પ્રોજેક્ટ માત્ર આર્થિક જ નહીં, પણ પર્યાવરણીય દૃષ્ટિએ પણ અત્યંત ટકાઉ (Sustainable) સાબિત થશે.

