ગુનેગારોમાં ડર અને નાગરિકોમાં વિશ્વાસ, હર્ષ સંઘવીના સ્પષ્ટ સંદેશ
અમદાવાદ ગ્રામ્ય પોલીસ હેડક્વાર્ટર મકરબા ખાતે નવનિર્મિત ખાખી ભવનનું લોકાર્પણ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં કરવામાં આવ્યું. આ કાર્યક્રમ દરમિયાન વિરમગામ ટાઉન પોલીસ લાઇનનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું. સાથે સાથે પ્રોજેક્ટ અભયયાત્રી અને ADR શિલ્ડ પ્લેટફોર્મનું સત્તાવાર અનાવરણ કરવામાં આવ્યું. મકરબા હેડક્વાર્ટર નજીક બ્લ્યુ સર્કિટની શરૂઆત પણ આ અવસરે કરવામાં આવી.
ગુનેગારોમાં ડર અને નિર્દોષોને વિશ્વાસ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ અધિકારીઓને સંબોધતા કહ્યું કે, પોલિસિંગ એવી હોવી જોઈએ કે ગુનેગારોમાં ડર પેદા થાય. તેમણે સ્પષ્ટ કર્યું કે નિર્દોષ નાગરિકોને કોઈ પણ પ્રકારની કનડગત ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. પોલીસ અને નાગરિકો વચ્ચેનો સંબંધ વિશ્વાસ અને સંવેદનશીલતા પર આધારિત હોવો જોઈએ. નાગરિકો સાથે માનવિય અને પ્રેમપૂર્વક વર્તન રાખવા તેમણે સૂચના આપી.
અમદાવાદ ગ્રામ્ય પોલીસની અનોખી ઓળખ
હર્ષ સંઘવીએ જણાવ્યું કે અમદાવાદ ગ્રામ્ય પોલીસ આજે યુનિક પોલિસિંગ માટે ઓળખાય છે. છેલ્લા અનેક વર્ષોમાં જિલ્લામાં કરવામાં આવેલી કામગીરી બદલ તેમણે પોલીસ તંત્રને અભિનંદન પાઠવ્યા. સાથે સાથે ચૂંટાયેલા પ્રતિનિધિઓની ભૂમિકાની પણ પ્રશંસા કરી. તેમણે કહ્યું કે ધારાસભ્યો ગાંધીનગર પહોંચે ત્યારે વિસ્તારના વિકાસ માટે નવી યોજનાઓ લઈને આવે છે.
ઉદ્યોગિક વિકાસથી રોજગારીમાં વધારો
અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં થયેલા ઉદ્યોગિક વિકાસના પરિણામે હજારો લોકોને રોજગારી મળી હોવાનું નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું. ADR શિલ્ડ પ્રોજેક્ટ અંતર્ગત શ્રમિકોના રજીસ્ટ્રેશનની પ્રક્રિયાને તેમણે સરાહનીય ગણાવી. આવનાર સમયમાં રાજ્ય તેમજ રાજ્ય બહારથી આવતા શ્રમિકોનો ડેટા એકત્રિત કરવાની કામગીરી પણ હાથ ધરાશે. આ પગલાંથી સુરક્ષા અને વ્યવસ્થાપન વધુ મજબૂત બનશે.
નાગરિક સુવિધાઓમાં પરિવર્તન લાવતો કાર્યક્રમ
તેમણે જણાવ્યું કે તેરા તુજકો અપૅણ કાર્યક્રમના કારણે નાગરિકોને પોલીસ સ્ટેશનના ધક્કા ખાવાની જરૂર નથી રહી. હવે પોલીસ સ્વયં આગળ આવી ખોવાયેલ કે ચોરી થયેલી ચીજવસ્તુઓ પરત આપે છે. તાજેતરમાં માત્ર એક જ દિવસમાં સાયબર ગુનામાં પચાવી પાડવામાં આવેલી કરોડોની રકમ નાગરિકોને પરત અપાવવામાં આવી હતી. આ પહેલે લોકોમાં પોલીસ પ્રત્યે વિશ્વાસ વધાર્યો છે.
પોલીસ ભરતી માટે આધુનિક સુવિધાઓ
પોલીસ ભરતી પ્રક્રિયાને વધુ સગવડભરી બનાવવા SRPના મેદાનો ખુલ્લા મુકવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી. અહીં દોડ માટે યોગ્ય ટ્રેક, કોચિંગ સુવિધા અને ફિઝિયોથેરાપીની વ્યવસ્થા ઉપલબ્ધ કરાશે. આ પગલાંથી યુવાનોને શારીરિક તૈયારી માટે ઉત્તમ માહોલ મળશે. રાજ્યમાં ગુણવત્તાસભર પોલીસબળ તૈયાર કરવા દિશામાં આ મહત્વપૂર્ણ પગલું ગણાય છે.
સાયબર ગુનાઓ સામે કડક કાર્યવાહી
સાયબર ગુનાઓ સામે થયેલી કાર્યવાહી વિશે જણાવતા હર્ષ સંઘવીએ કહ્યું કે થોડા જ દિવસોમાં હજારો લોકોને છેતરપિંડીના પ્રયાસો થયા હતા. 1930 હેલ્પલાઇન પર સમયસર કોલ થવાથી અનેક ખાતાઓમાં રકમ બ્લોક કરવામાં આવી. શંકાસ્પદ એકાઉન્ટ્સ સામે સઘન તપાસ હાથ ધરવામાં આવી. થોડા દિવસોમાં સૈકડો ગુના નોંધાયા અને મોટી સંખ્યામાં આરોપીઓ ઝડપાયા.

