રૂ. ૪૮ કરોડના ખર્ચે અમરેલીની ૧૯૪ ગ્રામ પંચાયતોને આધુનિક મકાનોની ભેટ, ગ્રામ સ્વરાજને મળશે નવી દિશા
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગરિમામય વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં અમરેલી જિલ્લાના ગ્રામીણ વિકાસ માટે એક ઐતિહાસિક દિવસ રહ્યો હતો. જિલ્લાની કુલ ૧૯૪ ગ્રામ પંચાયતોના નવનિર્મિત મકાનોના નિર્માણ માટે ઈ-ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો. અમરેલીના સજીયાવદર ખાતે આયોજિત આ મુખ્ય કાર્યક્રમમાં ઊર્જા અને કાયદો રાજ્ય મંત્રી કૌશિકભાઈ વેકરીયાએ અધ્યક્ષ સ્થાન શોભાવ્યું હતું.
રાજ્ય મંત્રી કૌશિકભાઈ વેકરીયાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, રૂ. ૪૮ કરોડથી વધુના માતબર ખર્ચે તૈયાર થનારા આ આધુનિક પંચાયત ભવનો ‘ગ્રામ સ્વરાજ’ની સંકલ્પનાને ખરા અર્થમાં ચરિતાર્થ કરશે. આ નવા મકાનોથી ગ્રામ્ય વહીવટમાં પારદર્શિતા આવશે અને નાગરિકોને તમામ સરકારી સેવાઓ એક જ સ્થળે સુવિધાજનક રીતે મળી રહેશે.
મંત્રીશ્રીએ અમરેલી વિધાનસભા મતવિસ્તાર માટે વિકાસના અન્ય મહત્વના લક્ષ્યાંકો પણ જાહેર કર્યા હતા:
-
શિક્ષણ: મતવિસ્તારના તમામ ગામોમાં શાળાના નવા ભવનોની કામગીરી હાલ પ્રગતિ હેઠળ છે.
-
માર્ગ સુવિધા: માર્ગ અને મકાન વિભાગ દ્વારા રાજ્ય અને પંચાયત હસ્તકના તમામ રસ્તાઓના કામ ચોમાસા પૂર્વે પૂર્ણ કરવાની નેમ રખાઈ છે.
-
આંગણવાડી: તમામ આંગણવાડીઓને ‘મોડેલ આંગણવાડી’ તરીકે વિકસાવવાનું આયોજન છે.
ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારની કામગીરી પર પ્રકાશ પાડતા મંત્રીશ્રીએ ઉમેર્યું કે, ખેડૂતોને કમોસમી વરસાદની નુકશાની પેટે સહાય અને તાજેતરમાં જાહેર કરાયેલા રૂ. ૧૦,૦૦૦ કરોડના કૃષિ રાહત પેકેજના નાણાં સીધા ખાતામાં જમા કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત, રૂ. ૧૫,૦૦૦ કરોડની ટેકાના ભાવે ખરીદી દ્વારા સરકારે કૃષિકારોને મોટી આર્થિક હૂંફ આપી છે.
સજીયાવદર ખાતે ઈ-ખાતમુહૂર્ત પૂર્વે મંત્રીશ્રીએ લાપાળિયા અને ચાંપાથળ ગામે પણ નવીન પંચાયત ભવનના ખાતમુહૂર્ત કર્યા હતા. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ સુરેશભાઈ પાથર, જિલ્લા વિકાસ અધિકારી પરીમલ પંડ્યા, વિવિધ પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

