યુવાનો નિષ્ફળતાનો ડર છોડીને કૌશલ્ય ઉજાગર કરે તો સફળતા નિશ્ચિત: રાજ્યમંત્રી વેકરીયા
અમરેલીની સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI) ખાતે કાયદો અને ઊર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાના અધ્યક્ષ સ્થાને ‘સ્કિલ એક્સપો’નો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય તાલીમાર્થીઓમાં રહેલી ટેકનિકલ કુશળતાને નિખારવાનો અને તેમને ઉદ્યોગોની જરૂરિયાત મુજબ તૈયાર કરવાનો હતો.
આ એક્સપોમાં અમરેલી ITI ના ૨૨ થી વધુ વિવિધ ટ્રેડના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓ દ્વારા પોતાની સૂઝબૂઝ અને ટેકનિકલ જ્ઞાનનો ઉપયોગ કરીને ૮૦ થી વધુ ‘વર્કિંગ મોડલ’ તૈયાર કરવામાં આવ્યા હતા. આ મોડલ્સમાં સોલર એનર્જી, સ્માર્ટ સિટી પ્રોજેક્ટ્સ, એડવાન્સ મશીનરી અને ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ જેવા વિષયો પર નવીન વિચારો રજૂ કરવામાં આવ્યા હતા.
રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાએ યુવાનોને સંબોધતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘સ્કિલ ઈન્ડિયા’ મિશન હેઠળ યુવાનોને આત્મનિર્ભર બનાવવાની દિશામાં રાજ્ય સરકાર મક્કમ છે. તેમણે યુવાનોને નિષ્ફળતાનો ડર છોડીને પોતાના કૌશલ્યના જોરે આગળ વધવા પ્રોત્સાહિત કર્યા હતા. મંત્રીશ્રીએ ઉમેર્યું કે જો યુવાનો પોતાની ક્ષમતાને યોગ્ય મંચ પર ઉજાગર કરે, તો તેઓ કોઈપણ મુશ્કેલ લક્ષ્ય હાંસલ કરી શકે છે.
કાર્યક્રમ દરમિયાન તેજસ્વી વિદ્યાર્થીઓ અમિત સોલંકી, હરદિપ મેર અને વિવેક ચૌહાણનું મહાનુભાવો દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી સુરેશભાઈ પાથર, શીતલ આઈસક્રીમના ઉદ્યોગપતિ શ્રી દિનેશભાઈ ભુવા તેમજ L&T અને પીડીલાઇટ જેવી નામાંકિત કંપનીઓના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આઈટીઆઈના આચાર્ય શ્રી ટી.એમ. ભટ્ટે મહેમાનોનું સ્વાગત કરી કાર્યક્રમની રૂપરેખા આપી હતી.
