સરકારશ્રી દ્વારા રવિ સિઝન માટે આણંદ જિલ્લામાં યુરિયા ખાતરની પૂરતી ફાળવણી અને સતત મોનીટરીંગ
આણંદ જિલ્લામાં ચાલુ રવિ સિઝન દરમિયાન ખેડૂતોને ખાતર માટે મુશ્કેલી ન પડે તે માટે ખેતીવાડી વિભાગ દ્વારા સચોટ આયોજન કરવામાં આવ્યું છે. નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) ના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં જિલ્લાની જરૂરિયાતને પહોંચી વળવા માટે કુલ ૫૫,૦૮૪.૯૯ મેટ્રિક ટન યુરિયા ખાતરની ફાળવણી કરવામાં આવી છે.
સીઝનવાર ખાતરની ફાળવણીની વિગત
રવિ પાકની શરૂઆતથી જ તબક્કાવાર ખાતરનો જથ્થો જિલ્લામાં ઉતારવામાં આવ્યો છે:
-
નવેમ્બર માસ: ૧૧,૦૮૫.૬૬ મેટ્રિક ટન
-
ડિસેમ્બર માસ: ૧૬,૬૦૪.૦૧ મેટ્રિક ટન
-
જાન્યુઆરી માસ (ચાલુ): ઉઘડતા સ્ટોક અને નવા સપ્લાય (રેક અને રોડ) સાથે કુલ ૨૨,૪૫૮.૫૪૫ મેટ્રિક ટન જથ્થો ઉપલબ્ધ કરાયો છે.
વર્તમાન સ્ટોક અને વિતરણ વ્યવસ્થા
હાલમાં આણંદ જિલ્લાની કુલ ૩૧૦ વિવિધ સહકારી મંડળીઓ અને માન્ય વિક્રેતા સંસ્થાઓ પાસે ૮,૯૩૬.૪૦ મેટ્રિક ટન યુરિયાનો જથ્થો ખેડૂતો માટે તૈયાર છે. સરકાર દ્વારા રોજેરોજ ખાતરની આવક અને વેચાણ પર ઓનલાઇન મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે, જેથી કાળાબજાર કે કૃત્રિમ અછત જેવી સ્થિતિ ઊભી ન થાય.
તંત્રની સજ્જતા
નાયબ ખેતી નિયામકે વધુમાં ઉમેર્યું હતું કે, જિલ્લામાં અત્યાર સુધી ખાતરની તંગી અંગેની એક પણ રજૂઆત મળી નથી. આગામી દિવસોમાં પણ જરૂરિયાત મુજબ વિવિધ ફર્ટિલાઇઝર કંપનીઓ દ્વારા સપ્લાય ચાલુ રાખવામાં આવશે. ખેડૂતોએ ખાતરની તંગીની અફવાઓથી દૂર રહીને પોતાની જરૂરિયાત મુજબ જથ્થો ખરીદવા અનુરોધ કરવામાં આવ્યો છે.

