વિશ્વનું ધ્યાન ભારત પર: પુતિન 4 વર્ષ બાદ ભારત પ્રવાસ પર, કયા મોટા કરારો પર થશે હસ્તાક્ષર?
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પૂરા ચાર વર્ષના ગાળા બાદ ભારતની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ 4 થી 5 ડિસેમ્બર દરમિયાન ભારતમાં રહેશે અને 23મા ભારત-રશિયા વાર્ષિક શિખર સંમેલનમાં ભાગ લેશે. આ રાજ્યકક્ષાની મુલાકાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આમંત્રણ પર થઈ રહી છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં ભારત-રશિયાના સંબંધો વધુ મજબૂત થયા છે.
જોકે, પુતિનની આ યાત્રા આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચાનો વિષય બની છે કારણ કે માર્ચ 2023 માં, આંતરરાષ્ટ્રીય ફોજદારી અદાલત (ICC – International Criminal Court) દ્વારા યુક્રેનમાં કથિત યુદ્ધ અપરાધોના આરોપમાં તેમની વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું છે.
આ વોરંટ હોવા છતાં પુતિન ભારતની યાત્રા કરી રહ્યા છે. આ પરિસ્થિતિમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું આ ICC વોરંટ ભારતમાં લાગુ થાય છે? શું નવી દિલ્હી રશિયન રાષ્ટ્રપતિ વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવા માટે બંધાયેલું છે?
તેનો જવાબ છે: ના.
ICC શું છે?
નેધરલેન્ડ્સના હેગમાં આવેલી આંતરરાષ્ટ્રીય ફોજદારી અદાલત (ICC) એક વૈશ્વિક ન્યાયાલય છે, જેની પાસે વિશ્વના નેતાઓ અને અન્ય વ્યક્તિઓ પર આંતરરાષ્ટ્રીય સમુદાયની નજરમાં સૌથી ગંભીર ગુનાઓ માટે મુકદ્દમો ચલાવવાની સત્તા છે. તે નરસંહાર (genocide), યુદ્ધ અપરાધ (war crimes), માનવતા વિરુદ્ધના અપરાધો અને આક્રમણ જેવા આરોપોની તપાસ કરે છે અને જરૂર પડ્યે મુકદ્દમો ચલાવે છે.
પુતિન વિરુદ્ધ ધરપકડ વોરંટ
2002 માં સ્થપાયેલ ICC એ માર્ચ 2023 માં પુતિન વિરુદ્ધ યુક્રેનમાંથી બાળકોના ગેરકાયદેસર દેશનિકાલ સહિત કથિત યુદ્ધ અપરાધો માટે ધરપકડ વોરંટ જારી કર્યું હતું. જોકે, આ વોરંટના કારણે પુતિનને કોઈ બીજા દેશમાં કસ્ટડીમાં લેવાની સંભાવના ખૂબ ઓછી છે.
વોરંટ પર રશિયાનો મત
રશિયા અને યુક્રેન બંને ICC ના સભ્ય (signatories) નથી. વોરંટ જારી થયા પછી, ક્રેમલિનના પ્રવક્તા પેસ્કોવે કહ્યું હતું કે, “રશિયા, અન્ય ઘણા દેશોની જેમ, આ અદાલતના અધિકારક્ષેત્રને માન્યતા આપતું નથી. કાયદેસર રીતે, આ અદાલતના કોઈપણ નિર્ણયનું રશિયન ફેડરેશન માટે કોઈ મહત્વ નથી.”
શું ભારત કાર્યવાહી કરવા બંધાયેલું છે?
ICC ને 124 દેશો દ્વારા મંજૂર કરવામાં આવ્યું છે. પરંતુ, ભારત ICC નો ભાગ નથી અને નવી દિલ્હીએ આના સ્થાપક મુખ્ય કરાર (રોમ કાયદા – Rome Statute) પર હસ્તાક્ષર કર્યા નથી. તેથી, ભારત તેની શરતોનું પાલન કરવા માટે કાયદેસર રીતે બંધાયેલું નથી.
ભારતનું વલણ હંમેશા એવું રહ્યું છે કે તે માત્ર પોતાના રાષ્ટ્રીય કાયદાઓ અને આંતરરાષ્ટ્રીય કાયદાઓનું પાલન કરે છે, જ્યાં તે પક્ષકાર હોય. ICC ના અધિકારક્ષેત્રને સ્વીકાર્યા વિના, પુતિનનો ભારત પ્રવાસ સુરક્ષિત રહે છે.
આ પહેલા પણ ભારત એવા નેતાઓની યજમાની કરી ચૂક્યું છે જેમની વિરુદ્ધ ICC ની કાર્યવાહી ચાલી રહી હતી. 2015 માં, સુદાનના તત્કાલીન રાષ્ટ્રપતિ ઓમર હસન અલ-બશીર ભારત-આફ્રિકા શિખર સંમેલનમાં ભાગ લેવા નવી દિલ્હી આવ્યા હતા. તેઓ પહેલા એવા વર્તમાન રાષ્ટ્રપ્રમુખ હતા જેમને ICC એ દારફુરમાં નાગરિક વસ્તી પર હુમલો કરાવવાના આરોપમાં દોષિત ઠેરવ્યા હતા.
પુતિન ભારતમાં કયા રસ્તાઓથી આવી શકે છે?
રાષ્ટ્રપતિ પુતિન મોસ્કોના શેરેમેત્યેવો એરપોર્ટથી દિલ્હીના ઈન્દિરા ગાંધી એરપોર્ટ સુધી પહોંચવા માટે ઘણા સંભવિત માર્ગોનો ઉપયોગ કરી શકે છે. સુરક્ષા અને રાજકીય કારણોસર, તેમના પ્રવાસ માર્ગ પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે.
સંભવિત 6 માર્ગો:
- રૂટ નંબર 1: રશિયાથી વાયા તેહરાન (ઈરાન) થઈને ભારત આવી શકે છે.
- રૂટ નંબર 2: રશિયાથી અઝરબૈજાનના બાકુના માર્ગે ભારત આવી શકે છે.
- રૂટ નંબર 3: રશિયાથી ડાયરેક્ટ રૂટ દ્વારા પણ ભારત આવી શકે છે.
- રૂટ નંબર 4: તેઓ ઉઝબેકિસ્તાનના તાશ્કંદથી દિલ્હી આવી શકે છે.
- રૂટ નંબર 5: તેઓ કઝાકિસ્તાનના અલમાટીથી ભારત આવી શકે છે.
- રૂટ નંબર 6: પુતિન કાબુલ (અફઘાનિસ્તાન) ના રસ્તે પણ ભારત આવી શકે છે.
પુતિનની આ મુલાકાત ભારત-રશિયાના સંબંધોમાં વ્યૂહાત્મક મહત્વ ધરાવે છે, ખાસ કરીને યુક્રેન સંઘર્ષ પછીના વૈશ્વિક તણાવના સમયમાં.

