પરીક્ષા સમયે કાયદો વ્યવસ્થા જળવાય રહે તે માટે સભા – સરઘસના આયોજન ઉપર પ્રતિબંધ
વલસાડ જિલ્લામાં તા.૦૪/૦૧/૨૦૨૬ને રવિવારના રોજ ગુજરાત જાહેર સેવા આયોગ, ગાંધીનગર દ્વારા રાજ્ય વેરા નિરિક્ષક, વર્ગ-૩ ની પરીક્ષા યોજાશે. આ પરીક્ષાના સરળ સંચાલન માટે તેમજ પરીક્ષાર્થીઓ અસામાજિક તત્વોના ત્રાસ અને ભય વિના પરીક્ષા આપી શકે અને બિલ્ડિંગ કંડકટરશ્રીઓ અસામાજિક તત્વોના ત્રાસ અને ભય વિના શાંતિ અને સલામતી પૂર્વક પરીક્ષાનું સંચાલન કરી શકે તે દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય રહે તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી મહિપાલસિંહ ચુડાસમાએ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ૨૦૨૩ની કલમ ૧૬૩ મુજબ મળેલી સત્તાની રૂએ જાહેરનામુ બહાર પાડયુ છે. જે મુજબ, પરીક્ષા દરમિયાન સભા સરઘસના આયોજન કરવા ઉપર તથા તમામ પરીક્ષા કેન્દ્રની હદથી ૧૦૦ મીટર ત્રિજ્યાના વિસ્તારમાં ઝેરોક્ષ મશીનો અને લાઉડ સ્પીકરો બંધ રાખવા અને બિન અધિકૃત વ્યક્તિઓ, ખાનગી વાહનોને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ કરતા અટકાવવા ઉપર પ્રતિબંધ મુક્યો છે.
પરીક્ષા દરમિયાન સવારના ૧૦-૦૦થી બપોરે ૨-૦૦ વાગ્યા સુધી પરીક્ષા કેન્દ્રોની હદથી ૨૦૦ મીટર ત્રિજ્યાના વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ૪ (ચાર) કરતા વધુ માણસોની કોઇ સભા ભરવી નહી કે બોલાવવી નહી અથવા સરઘસ કાઢવું નહી. પરીક્ષા કેન્દ્રોની હદથી ૨૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં લાઉડસ્પીકર તથા કોઈપણ પ્રકારના સાઉન્ડ સીસ્ટમનો ઉપયોગ કરવો નહીં. ઉપરોક્ત પરીક્ષા સ્થળોના ૧૦૦ મીટર ત્રિજ્યાના વિસ્તારમાં પ્રવેશતા ખાનગી વાહનો તેમજ પરીક્ષાર્થીઓને ગેરરીતિમાં મદદ કરવાના બદ-ઈરાદાથી જતી બહારની અનધિકૃત વ્યક્તિઓએ પરીક્ષા કેન્દ્રોમાં પ્રવેશ કરવો નહી તેમજ પ્રવેશ કરવાની કોશિશ કરવી નહી. પરીક્ષાર્થી ઉમેદવારોની શાંતિ અને લેખનકાર્યમાં અડચણ-વિક્ષેપ- ધ્યાનભંગ થાય તેવું કોઇ કૃત્ય કરવું કે કરાવવું નહી. પરીક્ષા સંબંધી ચોરી ગણાય તેવી કોઈ પણ ચીજવસ્તુઓ અને પરીક્ષાખંડમાં ચોરી ગણી શકાય તેવા કોઈપણ પ્રકારના ઈલેક્ટ્રીક ઉપકરણો લઈ જવા નહીં.ઉપરોક્ત પરીક્ષા કેન્દ્રોની ૧૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં પરીક્ષાની તારીખે સવારે ૧૦ થી બપોરે ૨ કલાક સુધી પરીક્ષાના દિવસો દરમિયાન ઝેરોક્ષ મશીન ચાલુ રાખી શકાશે નહી.
લગ્નના વરઘોડા (સાઉન્ડ સીસ્ટમ વગર)ને કે સ્મશાન યાત્રાને કે રેલ્વે/એસ.ટી.માં મુસાફરીમાં જનાર બોનાફાઇડ વ્યકિતઓને તેમજ પરીક્ષાની કામગીરી સાથે સંકળાયેલ અધિકૃત સરકારી કર્મચારીઓ, અધિકારીશ્રીઓ, કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે મુકાયેલ કર્મચારીઓ તથા અધિકારીઓ, કેન્દ્રના સંવાહકો, સંચાલકો, સ્થળ સંચાલકો, ઝોન પ્રતિનિધિ, ખંડ નિરીક્ષકો, વોટરમેન, બેલમૅન તથા ઓળખપત્ર આપવામાં આવેલ હોય તેવી નિરીક્ષણ ટુકડીઓ સહિતના તમામ અધિકૃત કર્મચારીઓને લાગુ પડશે નહી. આ હુકમથી ઓળખપત્ર વિનાની બિન અધિકૃત વ્યક્તિઓને પરીક્ષા સ્થળની અંદર પ્રવેશ કરવા ઉપર પ્રતિબંધ મુકવામાં આવે છે.
આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કર્યે ભારતીય ન્યાય સંહિતાની કલમ-૨૨૩ હેઠળ કસુરવાર સામે પગલાં લેવા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. વલસાડ જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ સબ ઈન્સ્પેક્ટર કે તેથી ઉપરના હોદ્દા ધરાવતા તમામ પોલીસ અધિકારીશ્રીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર વિરૂધ્ધ ફરીયાદ દાખલ કરવા અધિકૃત કરવામાં આવે છે.