કેમ કહેવાય છે કિડનીના રોગને ‘સાયલન્ટ કિલર’? શરૂઆતના તબક્કામાં લક્ષણો વિના શરીરને પોકળ બનાવે છે આ બીમારી
માનવ શરીરમાં ચોવીસ કલાક અથાક કામ કરતા મહત્વના અંગોમાં કિડની (મૂત્રપિંડ) મોખરે છે. લોહીને શુદ્ધ કરવું, શરીરમાંથી નકામા કચરાને ગાળીને બહાર કાઢવો, બ્લડ પ્રેશરને નિયંત્રિત રાખવું અને હાડકાંને મજબૂત રાખવા જેવા અનેક જટિલ કાર્યો કિડની કરે છે. પરંતુ બદલાતી જીવનશૈલી અને ખરાબ આહાર પદ્ધતિના કારણે આજે વિશ્વભરમાં કિડનીના દર્દીઓની સંખ્યા ભયજનક સ્તરે વધી રહી છે. તબીબી ક્ષેત્રની પ્રતિષ્ઠિત જર્નલ ‘ધ લેન્સેટ’ના તાજેતરના અહેવાલે આરોગ્ય જગતમાં ખળભળાટ મચાવી દીધો છે, જેમાં ચેતવણી આપવામાં આવી છે કે જો સમયસર પગલાં લેવામાં નહીં આવે તો આગામી દોઢ દાયકામાં આ રોગ માનવજાત માટે અત્યંત ઘાતક સાબિત થશે.
વૈશ્વિક તબીબી વિજ્ઞાનની પ્રખ્યાત જર્નલ ‘ધ લેન્સેટ’માં પ્રકાશિત થયેલા ત્રણ નવા સંશોધન પત્રોએ સમગ્ર વિશ્વને ચેતવણી આપી છે કે ક્રોનિક કિડની ડિસીઝ (CKD) હાલમાં વિશ્વના સૌથી ઝડપથી વિકસતા સ્વાસ્થ્ય પડકારોમાંથી એક છે. આ અહેવાલ મુજબ, વર્તમાન સમયમાં દુનિયાભરમાં અંદાજે ૭૮૮ થી ૮૪૪ મિલિયન (આશરે ૭૮ થી ૮૪ કરોડ) પુખ્ત વયના લોકો આ સાયલન્ટ કિલર બીમારીનો સામનો કરી રહ્યા છે. રિપોર્ટનું સૌથી ચિંતાજનક પાસું એ છે કે જો આ આંકડા આ જ ગતિએ વધતા રહેશે, તો વર્ષ ૨૦૪૦ સુધીમાં કિડનીનો રોગ વૈશ્વિક સ્તરે માનવ મૃત્યુનું પાંચમું સૌથી મોટું કારણ બની જશે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) એ પણ આ ચિંતાને ટેકો આપતા જણાવ્યું છે કે કિડનીની બીમારીઓ શરૂઆતના તબક્કામાં કોઈ ખાસ સંકેત આપતી નથી, જે તેને વધુ ખતરનાક બનાવે છે.
શા માટે કિડનીને કહેવામાં આવે છે ‘શાંત રોગ’?
આરોગ્ય નિષ્ણાતો કિડનીના રોગને ‘શાંત રોગ’ અથવા ‘સાયલન્ટ કિલર’ તરીકે ઓળખાવે છે. તેનું મુખ્ય કારણ એ છે કે જ્યારે કિડનીની કાર્યક્ષમતા ઘટવા લાગે છે, ત્યારે પ્રારંભિક તબક્કામાં માનવ શરીરમાં કોઈ સ્પષ્ટ કે પીડાદાયક લક્ષણો દેખાતા નથી. દર્દીને ખબર પડે ત્યાં સુધીમાં કિડનીને મોટું નુકસાન થઈ ચૂક્યું હોય છે. નિષ્ણાતોના મતે, આજના સમયમાં ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર, મેદસ્વીતા (સ્થૂળતા), હૃદય રોગ અને વધતી ઉંમર જેવા પરિબળો કિડની ફેલિયરના કેસ વધારવા માટે મુખ્યત્વે જવાબદાર છે. આ ઉપરાંત અસ્તવ્યસ્ત દિનચર્યા અને પ્રોસેસ્ડ ફૂડ ખાવાની આદતો કિડની પર વધારાનો ભાર નાખે છે.
પુરુષો અને સ્ત્રીઓ પર રોગની અસરમાં ભિન્નતા
લેન્સેટના બીજા સંશોધન અભ્યાસમાં એક અત્યંત રસપ્રદ તથ્ય સામે આવ્યું છે કે કિડનીનો રોગ પુરુષો અને સ્ત્રીઓને એક સમાન રીતે પ્રભાવિત કરતો નથી. બંને જાતિઓમાં કિડનીની જૈવિક રચના, રોગની આગળ વધવાની ગતિ અને તબીબી સારવાર અથવા દવાઓ પ્રત્યે શરીરનો પ્રતિભાવ તદ્દન અલગ હોઈ શકે છે. આ નવી શોધના આધારે, ભવિષ્યમાં કિડનીના દર્દીઓ માટે એકસરખી સારવાર આપવાને બદલે, દરેક દર્દીની વ્યક્તિગત જરૂરિયાતો અને લિંગને આધારે પર્સનલાઈઝ્ડ મેડિસિન (વ્યક્તિગત સારવાર) આપવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.
નવી ટેકનોલોજી અને અદ્યતન દવાઓ: આશાનું નવું કિરણ
જો કે, આ ભયાનક આંકડાઓ વચ્ચે તબીબી વિજ્ઞાને આશાનું કિરણ પણ જગાડ્યું છે. પ્રથમ સંશોધન મુજબ, હવે પ્રારંભિક તબક્કામાં જ કિડનીના રોગને પકડી પાડવા માટે અંદાજિત ગ્લોમેર્યુલર ફિલ્ટરેશન રેટ (eGFR) ટેસ્ટ, આલ્બ્યુમિન્યુરિયા ટેસ્ટ, અદ્યતન ઇમેજિંગ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) જેવી આધુનિક પ્રણાલીઓનો ઉપયોગ થઈ રહ્યો છે. વહેલા નિદાનથી કિડનીને સંપૂર્ણ નષ્ટ થતી બચાવી શકાય છે. ત્રીજા અભ્યાસમાં જણાવાયું છે કે SGLT2 ઇન્હિબિટર્સ અને ગ્લુકોગન જેવા પેપ્ટાઇડ-1 રીસેપ્ટર એગોનિસ્ટ્સ જેવી નવીનતમ દવાઓ કિડની બગાડવાની પ્રક્રિયાને ધીમી કરવામાં અને હૃદયના સ્વાસ્થ્યને સુધારવામાં ઉત્તમ પરિણામો આપી રહી છે.
આહારની આ ભૂલો અને શરૂઆતના લક્ષણો ઓળખો
ન્યુટ્રિશન ક્ષેત્રના નિષ્ણાત અમન પુરીના જણાવ્યા મુજબ, આપણો ખોટો આહાર જ આપણી કિડનીનો સૌથી મોટો દુશ્મન છે. આહારમાં અતિશય પ્રોટીન સપ્લીમેન્ટ્સ, વધુ પડતું મીઠું (સોડિયમ), પ્રોસેસ્ડ શુગર અને અનહેલ્ધી ફેટનું સેવન કિડનીને સમય પહેલાં નબળી પાડી દે છે. તેમણે લોકોને ચેતવણી આપતા જણાવ્યું છે કે, જો તમારા હાથ, પગ અથવા આંખોની આસપાસ સતત સોજો રહેતો હોય, પેશાબના રંગ કે માત્રામાં ફરેફાર થયો હોય, પેશાબમાં વધુ પડતા ફીણ વળતા હોય, અતિશય થાક લાગતો હોય, ભૂખ ન લાગવી, મોઢામાં ધાતુ જેવો કડવો સ્વાદ આવવો કે રાત્રે સ્નાયુઓ જકડાઈ જવા જેવા સંકેતો દેખાય, તો તેને સામાન્ય થાક સમજીને અવગણવા ન જોઈએ. આ કિડનીની અસ્વસ્થતાના પ્રારંભિક ચેતવણીના સંકેતો હોઈ શકે છે, જેની તાત્કાલિક તપાસ જરૂરી છે.