ઇન્દોર જળ સંકટ: પાઇપલાઇન પર બનેલા શૌચાલયે ફેલાવ્યું જીવલેણ પ્રદૂષણ; 8 ના મોત, 1100 થી વધુ અસરગ્રસ્ત
સતત આઠમા વર્ષે ભારતનું સૌથી સ્વચ્છ શહેર બનેલા ઇન્દોરમાં અત્યારે એક ગંભીર સંકટ ઊભું થયું છે. ભગીરથપુરા વિસ્તારમાં દૂષિત પીવાના પાણીને કારણે ઝાડા-ઉલ્ટીનો રોગચાળો ફાટી નીકળ્યો છે, જેમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 8 લોકોના મોત થયા છે અને 1,100 થી વધુ લોકો બીમાર પડ્યા છે.
ઇન્દોરમાં પાણી કેવી રીતે દૂષિત થયું?
ઇન્દોર મ્યુનિસિપલ કોર્પોરેશન (IMC) એ આ પ્રદૂષણનું મૂળ મુખ્ય જળ પુરવઠા પાઇપલાઇનમાં રહેલા લીકેજમાં શોધી કાઢ્યું છે. આશ્ચર્યજનક વાત એ છે કે, આ પાઇપલાઇનની બરાબર ઉપર એક શૌચાલય બનાવવામાં આવ્યું હતું.
IMC કમિશનર દિલીપ કુમાર યાદવે જણાવ્યું હતું કે, આ લીકેજને કારણે ગટરનું ગંદું પાણી પીવાના પાણીની લાઇન સાથે ભળી ગયું હોવાની શક્યતા છે. નાગરિક અધિકારીઓના જણાવ્યા અનુસાર, શૌચાલયનો કચરો પાઇપલાઇનની બરાબર ઉપર આવેલા ખાડામાં વાળવામાં આવતો હતો. લાઇનમાં રહેલા નબળા સાંધા (loose joint) ને કારણે ગંદું પાણી પીવાના પાણીમાં ભળી ગયું અને સમગ્ર વિસ્તારમાં રોગચાળો ફેલાયો.
8 ના મોત, 1100 થી વધુ બીમાર: હોસ્પિટલોમાં ભીડ
મેયર પુષ્યમિત્ર ભાર્ગવે જણાવ્યું હતું કે, ભગીરથપુરાના રહેવાસીઓ દૂષિત પાણીને કારણે બીમાર પડ્યા બાદ એક અઠવાડિયામાં અનેક મોતના અહેવાલ મળ્યા છે. અત્યાર સુધીમાં 8 લોકોના મોતની પુષ્ટિ થઈ છે અને 1,100 થી વધુ લોકો બીમાર છે. જેમાંથી 136 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જેમાં 26 દર્દીઓ ICU માં સારવાર હેઠળ છે.
મધ્યપ્રદેશના મંત્રી કૈલાશ વિજયવર્ગીયએ સ્વીકાર્યું હતું કે અધિકારીઓની ગંભીર બેદરકારીને કારણે આ ઘટના બની છે. તેમણે ખાતરી આપી છે કે જવાબદાર લોકો ગમે તેટલા ઉચ્ચ હોદ્દા પર હશે તો પણ તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
મુખ્યમંત્રી મોહન યાદવે પરિસ્થિતિની સમીક્ષા કરી
મુખ્યમંત્રી મોહન યાદવે આ રોગચાળાને “ઇમરજન્સી જેવી સ્થિતિ” ગણાવી છે. તેમણે માહિતી આપી હતી કે ભગીરથપુરામાં લગભગ 40,000 લોકોનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે, જેમાંથી 2,456 શંકાસ્પદ કેસ મળી આવ્યા છે.
મુખ્યમંત્રીની જાહેરાતો:
- મૃતકોના પરિવારોને 2 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે.
- તમામ અસરગ્રસ્ત દર્દીઓની મફત સારવાર કરવાના આદેશ આપવામાં આવ્યા છે.
- “રાજ્ય સરકાર કોઈપણ બેદરકારી સહન કરશે નહીં. શહેરના તમામ વિસ્તારોમાં પાણી અને ગટર લાઇનના લીકેજની તપાસ કરવા નિર્દેશો અપાયા છે,” તેમ યાદવે ઉમેર્યું હતું.
હાલમાં IMC એ અસરગ્રસ્ત પાઇપલાઇનોને સાફ કરવાનું શરૂ કર્યું છે અને ટેન્કરો દ્વારા પીવાનું પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે. આશા વર્કરો દ્વારા ઘરે-ઘરે સર્વે પણ કરવામાં આવી રહ્યો છે.
હાઈકોર્ટે હસ્તક્ષેપ કર્યો
મધ્યપ્રદેશ હાઈકોર્ટની ઇન્દોર બેન્ચે આ મામલે હસ્તક્ષેપ કર્યો છે. કોર્ટે રાજ્ય સરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશનને ડેટા એકત્ર કરવા અને 2 જાન્યુઆરી સુધીમાં વિગતવાર સ્ટેટસ રિપોર્ટ સબમિટ કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટે અસરગ્રસ્ત રહેવાસીઓને તાત્કાલિક શુદ્ધ પીવાનું પાણી અને શ્રેષ્ઠ તબીબી સારવાર પૂરી પાડવાનો પણ આદેશ આપ્યો છે.

