Kutch: અંજારના ચંદિયા ગામે રામદેવપીર મંદિરના પૂજારીએ આજથી નવ દસ માસ અગાઉ એક કિશોરી પર નજર બગાડીને દુષ્કર્મ આચર્યું હોવાનો બનાવ બહાર આવતાં ચકચાર મચી ગઈ છે. પોલીસે પોક્સો સહિતની કલમો તળે ગુનો નોંધી આરોપીને પકડી લીધો છે.
અંજાર પોલીસે આપેલી પ્રાથમિક માહિતી મુજબ દુષ્કર્મનો બનાવ આજથી નવ-દસ મહિના અગાઉ બન્યો હતો. ગુનાનો ભોગ બનનાર કિશોરીને પગમાં દુઃખાવો થતો હોઈ માતા પિતા તેને અવારનવાર મંદિરે લઈ જતા હતાં.
મંદિરના ૪૫ વર્ષિય પૂજારી કેવલનાથ બાપુ પર પીડિત દીકરીના માવતરને અખૂટ શ્રધ્ધા હતી. કેવલનાથ ઘણીવાર પીડિતાના ઘરે પણ આવ-જા કરતો હતો.
માતાને બહાર કાઢી કિશોરી પર કુકર્મ આચરેલું
નવ-દસ માસ અગાઉ આરોપીએ પીડિતાના પિતાને ફોન કરી મા- દીકરીનું કામ હોઈ તેમને મંદિરે મોકલવા જણાવેલું. આરોપીએ તેમને મંદિરના પાછલાં રસ્તેથી આવવા કહેલું. મા-દીકરી મંદિરે ગયા ત્યારે આરોપીએ પીડિતાની માતાને બોલાવીને ખાનગીમાં કંઈક વાત કરતાં માતા દીકરીને ત્યાં જ એકલી રાખીને જતી રહી હતી. ત્યારબાદ આરોપી પીડિતાને એક રૂમમાં લઈ ગયો હતો અને પીડિતાના સખ્ત ઈન્કાર છતાં તેની મરજી વિરુધ્ધ દુષ્કર્મ આચર્યું હતું.
ગુનાનો ભોગ બનનાર કિશોરી હાલ પુખ્ત વયની છે. ગઈકાલે પૂજારીએ તેના પિતાને ફોન કરી ફરીથી તેને મંદિરે બોલાવતાં કિશોરી ગભરાઈ ગઈ હતી. માતા-પિતા પોતાની વાત નહીં માને તેમ માની તેને કશી સૂઝ પડતી નહોતી. ગઈકાલે નાગલપરમાં એક તબીબને ત્યાં તે નોકરી મેળવવા માટે ગયેલી. તબીબે તેની જોડે પ્રાથમિક પૂછપરછ, વાતચીત કરતાં દીકરી ભાંગી પડી હતી અને પોતાની સાથે પૂજારીએ કરેલાં કુકર્મની કહાણી સંભળાવી હતી. દીકરીની વાત જાણીને તબીબે તુરંત પોલીસને જાણ કરી હતી. અંજાર પોલીસના મહિલા કોન્સ્ટેબલ અને કાઉન્સેલરની ‘શી ટીમ’એ ત્યાં દોડી જઈને આખી વાત જાણી ન્યાય અપાવવાનો ભરોસો આપીને દીકરી અને તેની માતાને પોલીસ મથકે લઈ આવી હતી. ઘટનાને ગંભીરતાથી લઈ પીઆઈ એસ.ડી. સિસોદીયાએ તુરંત આરોપી વિરુધ્ધ ગુનો નોંધી રાત્રે તેની ધરપકડ કરી લીધી હતી.