કેનેડાનો મોટો ખુલાસો: ખાલિસ્તાની ચરમપંથીઓ હવે રાષ્ટ્રીય સુરક્ષા માટે ગંભીર ખતરો
કેનેડાની ધરતી પર લાંબા સમયથી ચાલી રહેલી ખાલિસ્તાની ગતિવિધિઓ અંગે હવે ખુદ કેનેડાની સુરક્ષા એજન્સીઓએ લાલ આંખ કરી છે. કેનેડિયન સિક્યોરિટી ઇન્ટેલિજન્સ સર્વિસ (CSIS) એ તેના વર્ષ 2025 ના તાજેતરના જાહેર અહેવાલમાં સ્વીકાર્યું છે કે ખાલિસ્તાની ચરમપંથીઓ કેનેડાની આંતરિક સુરક્ષા અને હિતો માટે મોટું જોખમ બની રહ્યા છે. આ અહેવાલ ભારત અને કેનેડા વચ્ચેના રાજદ્વારી સંબંધો માટે પણ ખૂબ નિર્ણાયક સાબિત થઈ શકે તેમ છે.
સંસ્થાઓનો દુરુપયોગ અને હિંસક એજન્ડા
CSIS ના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો કરવામાં આવ્યો છે કે આ ચરમપંથી જૂથો પોતાના હિંસક એજન્ડાને આગળ વધારવા માટે કેનેડાની લોકશાહી સંસ્થાઓ અને સરકારી માળખાનો ગેરઉપયોગ કરી રહ્યા છે. રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, આ જૂથો કેનેડાના નાગરિકો સાથે ઘનિષ્ઠ સંપર્કો ધરાવે છે અને ઘણીવાર સામાન્ય લોકો પાસેથી એવા નામે ફંડ ઉઘરાવે છે જેની પાછળનો અસલી હેતુ હિંસક ગતિવિધિઓ હોય છે. નિર્દોષ લોકો દ્વારા આપવામાં આવેલા દાનનો ઉપયોગ ભારત અને કેનેડા બંને વિરુદ્ધ કાવતરાં ઘડવા માટે કરવામાં આવતો હોવાની આશંકા વ્યક્ત કરાઈ છે.
એર ઈન્ડિયાની દુર્ઘટના અને કાળો ઈતિહાસ
આ અહેવાલમાં 1985 ના એર ઈન્ડિયા ફ્લાઈટ 182 પર થયેલા બોમ્બ ધડાકાની કાળી યાદોને પણ તાજી કરવામાં આવી છે. આ હુમલાની 40મી વરસી બાદ આ અહેવાલ આવ્યો છે, જેમાં 329 લોકોએ જીવ ગુમાવ્યા હતા, જેમાંથી મોટાભાગના કેનેડિયન નાગરિકો હતા. આ ઘટનાને કેનેડાના ઈતિહાસનો સૌથી મોટો આતંકવાદી હુમલો માનવામાં આવે છે. તપાસ એજન્સીએ સ્પષ્ટ કર્યું છે કે આ હુમલા પાછળ જે જૂથો સંડોવાયેલા હતા, તેમના પ્રત્યેની સહાનુભૂતિ ધરાવતા તત્વો આજે પણ કેનેડાને એક સુરક્ષિત આશ્રયસ્થાન તરીકે વાપરી રહ્યા છે.
શાંતિપૂર્ણ સમર્થન અને ચરમપંથ વચ્ચેનો ભેદ
જોકે, કેનેડિયન એજન્સીએ પોતાની રિપોર્ટમાં એક સ્પષ્ટતા પણ કરી છે. તેમણે જણાવ્યું છે કે ‘સ્વતંત્ર ખાલિસ્થાન’ માટે અહિંસક રીતે અવાજ ઉઠાવવો કે લોકશાહી ઢબે પ્રચાર કરવો એ ગુનો કે ચરમપંથ નથી. કેનેડાના કાયદા મુજબ શાંતિપૂર્ણ અભિયાનો ચલાવવાની છૂટ છે. પરંતુ, મુશ્કેલી એ નાના જૂથોથી છે જેઓ કેનેડાને ‘બેઝ’ (આધાર) તરીકે વાપરીને ભારતમાં અસ્થિરતા ફેલાવવા માટે હિંસા, ભંડોળ અને આયોજન કરે છે. આ જ જૂથો કેનેડાની રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો છે.
ભારત-કેનેડા સંબંધોમાં નવો વળાંક
વર્ષ 2023 માં હરદીપ સિંહ નિજ્જરની હત્યા બાદ ભારત અને કેનેડાના સંબંધો ઈતિહાસના સૌથી નીચલા સ્તરે પહોંચી ગયા હતા. તત્કાલિન વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ભારતીય એજન્ટોની સંડોવણી હોવાના આક્ષેપો કર્યા હતા, જેને ભારતે પાયાવિહોણા ગણાવી ફગાવી દીધા હતા. જોકે, કેનેડામાં નેતૃત્વ પરિવર્તન અને માર્ક કાર્ની દ્વારા સત્તા સંભાળ્યા બાદ બંને દેશો વચ્ચે ફરીથી વિશ્વાસનું વાતાવરણ ઊભું કરવાના પ્રયાસો થઈ રહ્યા છે.
કેનેડાની પોતાની જ એજન્સી દ્વારા ખાલિસ્તાનીઓને ખતરો ગણાવતી આ રિપોર્ટ ભારતની એ જૂની દલીલને મજબૂત કરે છે કે કેનેડાએ પોતાની ધરતી પર ભારત વિરોધી તત્વોને આશરો આપવાનું બંધ કરવું જોઈએ.

