આત્મા પ્રોજેક્ટથી પ્રાકૃતિક ખેતી સુધીનો કાળુભાઇ મોરીનો સફર, વાર્ષિક એક લાખથી વધુ આવક
દાહોદ તાલુકાના બોરડી ઇનામી ગામના ખેડૂત કાળુભાઇ મોરીએ ખેતીમાં એક નવો રાહ ચીંધ્યો છે. વર્ષ ૨૦૨૦માં ‘આત્મા પ્રોજેક્ટ’ સાથે જોડાયા બાદ તેમણે પ્રાકૃતિક ખેતીની તાલીમ લીધી અને તેની શરૂઆત કરી. આજે તેઓ પોતાના ખેતરમાં માત્ર અનાજ જ નહીં, પણ ફળ-ફળાદી અને શાકભાજીની ખેતી કરીને વાર્ષિક ૧ લાખ રૂપિયાથી વધુની કમાણી કરી રહ્યા છે. તેમના ખેતરમાં આંબા, સાગ, લીંબુ અને સરગવા જેવા અનેક વૃક્ષો લહેરાઈ રહ્યા છે.
રાસાયણિક મુક્ત ખેતીથી ખર્ચ ઘટ્યો અને આવક વધી
કાળુભાઈના જણાવ્યા અનુસાર, પ્રાકૃતિક ખેતી અપનાવ્યા બાદ તેમનો ખેતી પાછળનો ખર્ચ લગભગ શૂન્ય થઈ ગયો છે અને આવક બમણી થઈ છે. તેમણે ધીમે ધીમે પોતાના તમામ ખેતરોને કુદરતી ખેતીમાં ફેરવી નાખ્યા છે. આ પદ્ધતિથી જમીન પોચી અને ફળદ્રુપ બની છે, જેના કારણે પાણીની જરૂરિયાત પણ ઓછી રહે છે. અળસિયાઓના કારણે જમીનમાં ભેજ જળવાઈ રહે છે અને વરસાદી પાણીનો સંગ્રહ પણ કુદરતી રીતે થાય છે.
જમીન અને સ્વાસ્થ્યની જાળવણીનો સંદેશ
કાળુભાઈ અન્ય ખેડૂતોને પણ રાસાયણિક ખાતર અને દવાઓ છોડવા માટે વિનંતી કરી રહ્યા છે. તેઓ કહે છે કે ઝેરી દવાઓવાળો ખોરાક ખાવાથી બાળકો અને યુવાનોમાં ગંભીર બીમારીઓ વધી રહી છે. જો આપણે આપણા પરિવારને તંદુરસ્ત રાખવો હોય, તો આપણે ઝેરમુક્ત ખોરાક પકવવો જ પડશે. ખેડૂત તરીકે આપણી જવાબદારી છે કે આપણે લોકોની થાળીમાં ઝેર નહીં પણ શુદ્ધ અને પૌષ્ટિક આહાર પીરસીએ.

