ચૂંટણી પંચની દેશવ્યાપી મોટી કાર્યવાહી: એસઆઈઆર (SIR) પ્રક્રિયા હેઠળ ડ્રાફ્ટ યાદીમાંથી ૧૩ કરોડથી વધુ મતદારોના નામ દૂર કરાયા, દિલ્હીમાં સૌથી વધુ ૩૩ ટકાનો ઘટોડ થયો
ભારતના ચૂંટણી પંચ (Election Commission of India) દ્વારા દેશભરમાં લોકશાહીની પવિત્રતા જાળવવા અને મતદાર યાદીને સંપૂર્ણપણે પારદર્શક બનાવવાના હેતુથી હાથ ધરાયેલી ખાસ ઝુંબેશ રંગ લાવી રહી છે. ગયા વર્ષે જૂન મહિનાથી શરૂ કરવામાં આવેલી સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) એટલે કે વિશેષ સઘન સુધારણા કામગીરી અંતર્ગત અત્યાર સુધીમાં દેશના ૩૦ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આશરે ૧૩.૩૭ કરોડથી વધુ અયોગ્ય મતદારોના નામ ડ્રાફ્ટ લિસ્ટમાંથી હટાવી દેવામાં આવ્યા છે. ચૂંટણી પંચ દ્વારા સોમવારે જાહેર કરવામાં આવેલા ડ્રાફ્ટ આંકડા અનુસાર, નવી પ્રક્રિયા બાદ જૂની યાદીની સરખામણીએ કુલ મતદારોની સંખ્યામાં ૧૪.૧ ટકાનો મોટો ઘટાડો નોંધાયો છે.
દિલ્હી અને મહારાષ્ટ્રમાં સૌથી વધુ નામો રદ થયા
ચૂંટણી પંચ અને સંબંધિત રાજ્યોના મુખ્ય ચૂંટણી અધિકારીઓ (CEO) દ્વારા જાહેર કરાયેલી માહિતી મુજબ, દેશની રાજધાની દિલ્હી અને આર્થિક પાટનગર મહારાષ્ટ્રમાં મતદારોની સંખ્યામાં ચોંકાવનારો ઘટાડો જોવા મળ્યો છે. દિલ્હીમાં સૌથી વધુ ૩૨.૮૦ ટકા એટલે કે લગભગ એક તૃતીયાંશ મતદારો ઘટી ગયા છે. SIR પ્રક્રિયા પૂર્વે દિલ્હીમાં ૧.૪૫ કરોડ નોંધાયેલા મતદારો હતા, જે ઘટીને હવે માત્ર ૯૭.૫૩ લાખ રહી ગયા છે.
તેવી જ રીતે મહારાષ્ટ્રમાં પણ ૨૧.૧૦ ટકા મતદારોનો જંગી ઘટાડો નોંધાયો છે. અહીં ડ્રાફ્ટ લિસ્ટ બહાર આવ્યા બાદ મતદારોનો આંકડો ૯.૭૮ કરોડથી ઘટીને ૭.૭૧ કરોડ થઈ ગયો છે. આ સિવાય કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવમાં ૨૯.૬૦ ટકા, તેલંગાણામાં ૨૧.૭૦ ટકા અને આંદામાન અને નિકોબાર ટાપુઓમાં ૨૦.૬૦ ટકા નામો રદ કરવામાં આવ્યા છે.
નામ કમી થવા પાછળના મુખ્ય કારણો
મહારાષ્ટ્ર અને દિલ્હીના CEO કાર્યાલય દ્વારા રજૂ કરવામાં આવેલા વિશ્લેષણ મુજબ, મોટાભાગના કિસ્સાઓમાં ખોટા કે ડુપ્લિકેટ નામો બોગસ વોટિંગનું કારણ બનતા હતા. આંકડા દર્શાવે છે કે રદ કરાયેલા નામોમાં ૩.૫૬ ટકા મતદારો એવા હતા જેમના મૃત્યુ થઈ ચૂક્યા છે છતાં યાદીમાં નામ ચાલુ હતા. આ સિવાય ૧૫.૭૮ ટકા મતદારો કાયમી ધોરણે અન્ય સ્થળે સ્થાનાંતરિત થઈ ગયા હતા, લાંબા સમયથી ગેરહાજર હતા અથવા તો સરનામું બદલાઈ ગયું હતું. જ્યારે ૧.૮૧ ટકાથી વધુ નાગરિકો એવા હતા જેમના નામ એકથી વધુ મતદાન મથકો કે રાજ્યોની યાદીમાં નોંધાયેલા હતા.
બે દાયકા પછી હાથ ધરાઈ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા
ઉલ્લેખનીય છે કે છેલ્લા બે દાયકાથી ચૂંટણી પંચ દર વર્ષે માત્ર નિયમિત અથવા સંક્ષિપ્ત સુધારા (Summary Revision) જ કરતું હતું, જેમાં માત્ર નવા નામો ઉમેરવા કે વિનંતીથી નામ રદ કરવાની કામગીરી થતી હતી. પરંતુ ૨૦૦૦ ની સાલની શરૂઆત બાદ આ પ્રથમ વખત પંચે ‘એસઆઈઆર’ જેવી અત્યંત કડક અને સઘન પદ્ધતિ અપનાવી છે. આ પ્રક્રિયા હેઠળ તમામ નોંધાયેલા મતદારોએ નિયત સમયમર્યાદામાં ‘એન્યૂમરેશન ફોર્મ’ ભરીને પોતાના અથવા માતા-પિતાના જૂના દસ્તાવેજી પુરાવાઓ સાથે પોતાની યોગ્યતા સાબિત કરવાની હોય છે.
આ નવી અને કડક પ્રક્રિયા સામે જૂન ૨૦૨૫ માં સુપ્રીમ કોર્ટમાં અરજીઓ દાખલ કરીને પંચની સત્તાઓ પર સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. જોકે, દેશની સર્વોચ્ચ અદાલતે આ વર્ષે મે મહિનામાં પોતાનો ચુકાદો આપતાં ચૂંટણી પંચના આદેશને સંપૂર્ણપણે માન્ય રાખ્યો હતો અને પારદર્શક ચૂંટણી માટે આ પ્રક્રિયાને યોગ્ય ઠેરવી હતી.
ત્રીજા તબક્કાની સ્થિતિ અને ભવિષ્યની યોજના
ચૂંટણી પંચે ૧૪ મેના રોજ એસઆઈઆરના ત્રીજા તબક્કાની જાહેરાત કરી હતી. હાલમાં ૧૭ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ત્રીજા તબક્કા હેઠળ કામગીરી પૂર્ણ કરીને ડ્રાફ્ટ યાદી પ્રસિદ્ધ કરાઈ છે, જેમાં એકલા ત્રીજા તબક્કામાં જ ૬.૧૫ કરોડ નામો દૂર થયા છે. નાગાલેન્ડ અને ત્રિપુરામાં આગામી બે મહિનામાં વસ્તી ગણતરી બાદ કામગીરી થશે.
જોકે, હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરમાં હવામાનની પ્રતિકૂળતા અને અન્ય વસ્તી ગણતરીના કારણે આ ઝુંબેશ પછીથી હાથ ધરાશે. જ્યારે આસામમાં નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન્સ (NRC) ની અંતિમ યાદી પેન્ડિંગ હોવાથી ત્યાં સુધી SIR હાથ ન ધરવાનો નિર્ણય લેવાયો છે. ચૂંટણી પંચે સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ વૈધ નાગરિકનું નામ ભૂલથી ડ્રાફ્ટ યાદીમાંથી નીકળી ગયું હોય, તો તેઓ આગામી એક મહિનાની અંદર જરૂરી પુરાવાઓ રજૂ કરીને અંતિમ મતદાર યાદીમાં પોતાનું નામ ફરીથી દાખલ કરાવવા માટે અરજી કરી શકે છે.
