નાતાલની ઉજવણી બની અચાનક આરોગ્ય સંકટ
મહેસાણા જિલ્લાના સતલાસણામાં આવેલી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં નાતાલની ઉજવણી દરમિયાન અચાનક અપ્રિય ઘટના બની. ઉજવણી બાદ શાળામાં ભોજન લીધા પછી કેટલાક સમયમાં જ વિદ્યાર્થિનીઓને અસ્વસ્થતા અનુભવાવા લાગી. એક પછી એક એમ કુલ 22 જેટલી વિદ્યાર્થિનીઓને ઊલટી, ગભરામણ અને ચક્કરની ફરિયાદ શરૂ થઈ. શાળામાં આનંદનો માહોલ પળવારમાં જ ચિંતામાં બદલાઈ ગયો.
ભોજન અને ચોકલેટ બાદ વધ્યો અસાર
શાળામાં નાતાલ નિમિત્તે સાંજે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. વિદ્યાર્થિનીઓના જણાવ્યા મુજબ તેમણે ભોજનમાં દૂધ અને ખીચડી લીધી હતી. ત્યારબાદ ઉજવણીના ભાગરૂપે શિક્ષિકા દ્વારા ચોકલેટ આપવામાં આવી હતી. ચોકલેટ લીધા પછી વિદ્યાર્થીઓ નૃત્ય અને અન્ય પ્રવૃત્તિમાં જોડાયા હતા. એ દરમિયાન જ અચાનક અનેક વિદ્યાર્થિનીઓને એકસાથે તબિયત બગડવા લાગી.
તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા
વિદ્યાર્થીનીઓની હાલત બગડતાં જ શાળા તંત્ર દોડતું બન્યું. અસરગ્રસ્ત તમામ વિદ્યાર્થિનીઓને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા વડનગર સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવી. હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવામાં આવતા વાલીઓ પણ મોટી સંખ્યામાં પહોંચી ગયા હતા. પોતાની દીકરીઓને બિછાને જોઈને વાલીઓમાં ચિંતા વ્યાપી ગઈ હતી. તબીબોની દેખરેખ હેઠળ તમામની સારવાર શરૂ કરવામાં આવી.
વહીવટી અને આરોગ્ય વિભાગે હાથ ધરી તપાસ
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું. સતલાસણાના ઇન્ચાર્જ મામલતદાર અને મેડિકલ ટીમ શાળાએ પહોંચી તપાસ શરૂ કરી. હોસ્ટેલમાં કુલ 157 જેટલી અનુસૂચિત જનજાતિની વિદ્યાર્થિનીઓ અભ્યાસ કરે છે, જેમાંથી 22ને અસર પહોંચી હતી. ભોજન સામગ્રી અને અન્ય સંભવિત કારણોની ચકાસણી શરૂ કરવામાં આવી છે.
તમામ વિદ્યાર્થિનીઓની હાલત સ્થિર
રાહતની વાત એ છે કે હાલ તમામ 22 વિદ્યાર્થિનીઓની તબિયત સ્થિર હોવાનું તંત્રએ જણાવ્યું છે. કોઈ ગંભીર સ્થિતિ ન હોવાનું ડોક્ટરોએ સ્પષ્ટ કર્યું છે. ફૂડ પોઈઝનિંગ ભોજનના કારણે થયું કે ચોકલેટના સેવનથી, તે અંગે હજી સ્પષ્ટતા થઈ નથી. સમગ્ર મામલે જવાબદારી નક્કી કરવા માટે તપાસ ચાલુ રાખવામાં આવી છે.

